Gujarat

જામનગરમાં ગરમીનો પારો ઉંચકાયો : તાપમાન 38 ડિગ્રી પહોંચતાં બફારાથી લોકો પરેશાન

By GS TEAM
29 May 20261 min read
TukuTouch Logo
ભેજનું પ્રમાણ 66 ટકા નોંધાતા અસહ્ય ઉકળાટનો અનુભવ: પવનની ગતિ પ્રતિ કલાકના 35 કી.મી. નોંધાઈ

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં ગરમીનો પારો ઉંચકાયો : તાપમાન 38 ડિગ્રી પહોંચતાં બફારાથી લોકો પરેશાન

Jamnagar Summer : જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પારો સતત ઉંચકાઈ રહ્યો છે. આજે પ્રથમ વખત મહત્તમ તાપમાન 38.0 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જતા લોકો ગરમી અને બફારાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.

હવામાન વિભાગના આંકડા મુજબ આજે શહેરનું લઘુત્તમ તાપમાન 28.0 ડિગ્રી નોંધાયું હતું. સવારે જ ગરમીનો અહેસાસ શરૂ થઈ ગયો હતો અને બપોરના સમયે આકરા તાપને કારણે રસ્તાઓ પર લોકોની અવરજવર ઓછી જોવા મળી હતી. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 66 ટકા સુધી પહોંચી જતા અસહ્ય ઉકળાટનો અનુભવ થયો હતો. ગરમી સાથે ભેજના પ્રમાણમાં વધારો થતા લોકો પરસેવાથી અકળાઈ ઉઠ્યા હતા. ખાસ કરીને બપોર દરમિયાન બહાર નીકળતા નાગરિકોને ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો. આજે પવનની ગતિ 35 કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ હતી. તેમ છતાં ગરમી અને ભેજના કારણે લોકોને રાહતનો અનુભવ થયો નહોતો. 

હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં પણ ગરમી અને બફારાનો માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આરોગ્ય નિષ્ણાતોએ નાગરિકોને બપોરના સમયે જરૂરી કામ સિવાય બહાર ન નીકળવા, પૂરતું પાણી પીવા તથા ગરમીથી બચવા સાવચેતી રાખવા અનુરોધ કર્યો છે.