અમદાવાદના બગોદરાની હચમચાવતી ઘટના, મંદિર પરિસરમાં પ્રેમી પંખીડાએ ગળે ફાંસો ખાધો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના બગોદરા વિસ્તારમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. બગોદરામાં આવેલા એકલ માતાના મંદિરના પરિસરમાં એક પ્રેમી પંખીડાએ ઝાડ સાથે દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી.
મૃતકોની ઓળખ પોલીસ તપાસમાં સામે આવી
મળતી માહિતી અનુસાર, મૃતક યુવતીનું નામ કિંજલબેન રાઠોડ (રહે. કેશરડી, બાવળા) છે. જ્યારે મૃતક યુવક ગૌતમ જાદવ (રહે. મીઠાપુર, હાલ રહે. ચિયાડા) હોવાનું ખુલ્યું છે. ચોંકાવનારી વિગત એ છે કે, યુવક ગૌતમ પરિણીત હતો અને હાલ ચિયાડા ગામે પોતાની પત્ની સાથે રહેતો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, આ પ્રેમી પંખીડા છેલ્લા 15 દિવસ પહેલા ઘરેથી ભાગી ગયા હતા.
આ ઘટનાની જાણ થતા જ બગોદરા પોલીસ અને 108ની ટીમ સ્થળ પર પહોંચી હતી. મૃતકો પાસેથી પોલીસને ત્રણ મોબાઈલ ફોન, એક બેગ અને વિવિધ ડોક્યુમેન્ટ્સ સહિતનો સામાન મળી આવ્યો છે. પોલીસે આ તમામ વસ્તુઓ કબજે કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસ કાર્યવાહી બગોદરા પોલીસે બંને મૃતકોના મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારી, પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે. આ પ્રેમી પંખીડાએ આપઘાત કરવા પાછળનું સચોટ કારણ શું છે અને તેમને કોઈએ મજબૂર કર્યા હતા કે કેમ, તે દિશામાં પોલીસ ઊંડી તપાસ કરી રહી છે.








