ગુજરાત હાઇકોર્ટમાં રજાના દિવસે સુનાવણી હાથ ધરાઈ, ચંડોળા ડિમોલિશનને લીલીઝંડી
Chandola Talav Demolition : ચંડોળા ડિમોલિશન મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં બંને પક્ષોની રજૂઆત સાંભળ્યા બાદ હાઇકોર્ટ દ્વારા અરજીને નકારી કાઢી હતી અને ડિમોલિશનની કાર્યવાહીને લીલીઝંડી આપી હતી. આ દરમિયાન મીડિયાને મૌખિક રીતે રોકવામાં આવ્યા હતા. કોઈપણ જાહેરત વિના મૌખિક રીતે કવરેજ કરવા પર મનાઈ ફરમાવવામાં આવી હતી.
18 અરજદારોએ ડિમોલિશન મામલે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. આજે પરશુરામ જયંતિ નિમિત્તિ જાહેર રજા હોવા છતાં હાઇકોર્ટની કાર્યવાહી ચાલુ રહી હતી અને 18 અરજીઓ સ્વીકારવામાં આવી હતી. હાઇકોર્ટના લેખિત હુકમ વિના જ અધિકારીઓએ ક્રાઇમ ડી. સી. પી. અજિત રાજયાન અને સોલા પોલીસ સ્ટેશનના પી. આઇ. કે. એન. ભૂકણ દ્વારા હાઇકોર્ટના મુખ્ય દરવાજે પત્રકારોને રોકી દીધા હતા.
ડિમોલિશન પર સ્ટેની અરજી હાઇકોર્ટે નકારી
ગુજરાત હાઇકોર્ટમાં અરજદારોએ રજૂઆતમાં દાવો કર્યો હતો કે નિયમોની વિરુદ્ધ ડિમોલિશન થઈ રહ્યું છે. અહીં વસવાટ કરતાં લોકો બાંગ્લાદેશી હોવાનું સાબિત થયું નથી. ઘર તોડી પાડવા માટે અમને કોઈપણ પ્રકારની નોટીસ આપવામાં આવી નથી. આ મામલે હાઇકોર્ટે અરજી નકારી કાઢી ડિમોલિશનની કાર્યવાહીને લીલીઝંડી આપી હતી.
અરજદારના ઍડ્વૉકેટે જણાવ્યું હતું કે 18 લોકોએ ડિમોલિશન સ્ટે માટે અરજી કરી હતી, પરંતુ હાઇકોર્ટે સ્ટે આપવાની સ્પષ્ટ મનાઈ કરી દીધી છે. જેથી આગામી સમયમાં અરજદારો તેમના પુનર્વસન માટે અરજી કરી શકે છે. અરજદારો 50 વર્ષથી અહીં રહે છે. જો અરજદારો ગેરકાયદે વસવાટ કરતાં હોય તો પણ તેમને 15 દિવસની નોટિસ આપવી જોઈએ. પહલગામના આતંકવાદી હુમલા બાદ જે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને પોલીસે જે લોકોને પકડ્યા હતા તેમાં મોટાભાગના લોકો ભારતીય નીકળ્યા હતા.
જ્યારે સરકારે હાઇકોર્ટમાં જણાવ્યું હતું કે પોલીસ કાર્યવાહીમાં ચાર બાંગ્લાદેશીઓની અલ કાયદા સાથે સંડોવણી સામે આવી છે અને તેમની ધરપકડ કરાઈ છે. પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકારે સંપૂર્ણ માહિતી આપી નથી. આ ઉપરાંત મહિલા અને બાળકોને પ્રોસ્ટિટ્યુશનમાં ધકેલવામાં આવતાં હોવાની માહિતી સામે આવી છે. જે રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરારૂપ છે. ચંડોળા તળાવ વિસ્તારમાં ડ્રગ્સ, બનાવટી દસ્તાવેજો બનાવવા, મની લોન્ડ્રીંગ સહિતના ગુન્હાઓ થતાં હોવાનું પણ જાણવા મળ્યું છે.