Get The App

VIDEO| લોહી માટે 'લોહી ઉકાળા': નસવાડી બ્લડ બેંકનું રિન્યુઅલ અટકતા દર્દીઓની હાલત કફોડી, તંત્રની લાલિયાવાડી સામે ભારે રોષ!

Updated: May 8th, 2026

GS TEAM

Google News
Google News
VIDEO| લોહી માટે 'લોહી ઉકાળા': નસવાડી બ્લડ બેંકનું રિન્યુઅલ અટકતા દર્દીઓની હાલત કફોડી, તંત્રની લાલિયાવાડી સામે ભારે રોષ! 1 - image


Healthcare Crisis in Naswadi: છોટાઉદેપુર જિલ્લાના છેવાડાના માનવી સુધી આરોગ્ય સુવિધા પહોંચાડવાના સરકારના દાવાઓ વચ્ચે નસવાડીમાંથી એક ચોંકાવનારી વિગત સામે આવી છે. નસવાડી સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC)માં કાર્યરત બ્લડ બેંકના રિન્યુઅલની મંજૂરી ગાંધીનગરથી ન આવતા હાલ બ્લડ સ્ટોરેજની કામગીરી ઠપ્પ થઈ ગઈ છે. અધિકારીઓની વહીવટી શિથિલતાનો ભોગ અત્યારે ગરીબ દર્દીઓ અને સગર્ભા મહિલાઓ બની રહી છે.

80 કિલોમીટર સુધીનો રઝળપાટ

નસવાડી તાલુકાના આશરે 210 ગામોના દર્દીઓ સારવાર માટે આ આરોગ્ય કેન્દ્ર પર નિર્ભર છે. બ્લડ બેંકમાં મંજૂરીના અભાવે અત્યારે લોહીનો સંગ્રહ કરી શકાતો નથી. જો કોઈ દર્દીને તાત્કાલિક લોહી ચઢાવવાની જરૂરિયાત ઊભી થાય, તો તેમને રાજપીપલા, ડભોઇ, વડોદરા કે બોડેલી જેવા શહેરોમાં 30 થી 80 કિલોમીટર દૂર રિફર કરવામાં આવે છે. કટોકટીના સમયે આટલું લાંબુ અંતર કાપવું દર્દી માટે જીવલેણ સાબિત થઈ શકે છે.

પ્રસૂતિ માટે આવતી મહિલાઓ જોખમમાં

સૌથી ગંભીર સ્થિતિ પ્રસૂતિ માટે આવતી મહિલાઓની છે. ડિલિવરી દરમિયાન અચાનક લોહીની જરૂર પડે ત્યારે સ્થાનિક સ્તરે બ્લડ ઉપલબ્ધ ન હોવાથી તેમને અન્ય હોસ્પિટલમાં ખસેડવાની નોબત આવે છે. અંતરિયાળ વિસ્તારના ગરીબ પરિવારો માટે એમ્બ્યુલન્સ કે ખાનગી વાહનમાં દર્દીને લઈ જવું આર્થિક અને માનસિક રીતે અત્યંત કષ્ટદાયક બની રહ્યું છે.

આ પણ વાંચો: છોટા ઉદેપુરમાં આગની બે ઘટના: નસવાડીમાં આદિવાસી પરિવારનું ઘર રાખ, બોડેલીમાં બંધ દુકાનમાં લાગી આગ

અધિકારીઓની બેદરકારી સામે રોષ

સ્થાનિક લોકોમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. આરોગ્ય વિભાગના જવાબદાર અધિકારીઓએ સમયસર રિન્યુઅલની પ્રક્રિયા કેમ પૂર્ણ ન કરી? ગાંધીનગર દરખાસ્ત મોકલ્યા પછી ફોલોઅપ લેવામાં ક્યાં કચાશ રહી ગઈ? આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. છેવાડાના માનવીના વિકાસની વાતો કરતી સરકારના વહીવટી અધિકારીઓ પોતાની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહ્યા હોવાનું ચિત્ર સ્પષ્ટ દેખાય છે.

હવે જોવાનું એ રહે છે કે, શું ઉચ્ચ કક્ષાએથી આ મામલે ત્વરિત હસ્તક્ષેપ કરીને બ્લડ બેંકને ફરી ધમધમતી કરવામાં આવશે કે પછી દર્દીઓને લોહી માટે આમ જ રઝળવું પડશે?