- 5 થી વધુ આશાવર્કરોની વિરોધ કરી રજૂઆત બાદ આણંદ જિલ્લા પંચાયતની કાર્યવાહી
- વડોદરા આરોગ્યની મિટિંગના બહાને લઈ જઈ બ્રેઈનવૉશ કરી ધર્મપરિવર્તન કરવા દબાણ કર્યું, વિરોધ બાદ હેડ નર્સે કામનું ભારણ વધારી હેરાન કર્યાઃ આશાવર્કરો
આણંદ : ખંભાતના બામણવા ગામના પીએચસીમાં ફરજ બજાવતી હેડ નર્સે વડોદરા ખાતે આરોગ્યની મિટિંગના બહાને લઈ જઈ પાંચથી વધુ આશાવર્કરોનું બ્રેઈનવૉશ કરી ધર્માંતરણ કરવાનું દબાણ કર્યું હતું. આ મુદ્દે આશાવર્કરોએ વિરોધ કરી આરોગ્ય વિભાગમાં રજૂઆત કરતાં હેડ નર્સની ત્વરિત બદલી કરી દેવાઈ છે.
ખંભાતના બામણવા ગામના પીએચસીના સપનાબહેન સોલંકી સહિત પાંચ આશાવર્કરોએ જણાવ્યું છે કે, બામણવા પીએચસીના હેડ નર્સ તરીકે ફરજ બજાવતાં નમ્રતાબેન મેકવાન છેલ્લા છ મહિનાથી પોતાના ધર્મનો વ્યાપ વધારવા માટે પીએચસીના તાબામાં આવતી આશાવર્કર બહેનોને મિટિંગના નામે બોલાવીને ખ્રિસ્તી ધર્મની વાતો કરતી હતી. હિન્દુ દેવી દેવતા વિશે અયોગ્ય ટિપ્પણી કરતી હતી. પાંચથી વધુ આશાવર્કરને ખ્રિસ્તી ધર્મના પુસ્તકો વાંચવા આપી ધર્મ અંગિકાર કરવા દબાણ કરતી હતી. ગત શનિવારે વડોદરા ખાતે આરોગ્યની મિટિંગના બહાને ખ્રિસ્તી ધર્મના પાદરીઓની ધર્માંતરણની મિટિંગમાં લઈ જઈ કલાકો સુધી આશાવર્કર બહેનોનું બ્રેઈનવૉશ કરવાનો પ્રયાસ કરાયો હતો. ધર્માંતરણ મુદ્દે આસાવર્કરોએ તેનો વિરોધ કર્યો હતો. વિરોધ બાદ કામનું ભારણ વધારી, હાજરી મુદ્દે કનડગત કરી આશાવર્કરોને હેડ નર્સ હેરાન કરતી હતી. આ મુદ્દે આશાવર્કર બહેનોએ આણંદ જિલ્લા આરોગ્ય અધિકારીને રજૂઆત કરી હતી.
આણંદ જિલ્લા આરોગ્ય વિભાગને રજૂઆત મળતા ગંભીરતાને ધ્યાનમાં લઈ ખંભાતના બામણવા ગામ પીએચસીના હેડ નર્સની તાત્કાલિક અસરથી ભાલેજ પીએચસીમાં બદલી કરી દેવાઈ છે.
ફરિયાદના આધારે હેડ નર્સ સામે તપાસ કરી પગલાં લેવાશે :નાયબ જિલ્લા આરોગ્ય અધિકારી
આ અંગે નાયબ જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પૂર્વીબેન નાયકે જણાવ્યું હતું કે, બામણવા ગામે પીએચસીમાં ફરજ બજાવતાં નમ્રતાબેન મેકવાન મિટિંગના નામે આશાવર્કરોને ખોટી રીતે હેરાન કરી રહ્યાં હોવાની ફરિયાદ મળી હતી. જેથી તેઓની તાત્કાલિક બદલી ભાલેજ પીએચસીમાં કરી દેવામાં આવી છે. આશાવર્કર બહેનોની ફરિયાદના આધારે તેમની સામે તપાસ કરીને પગલાં લેવામાં આવશે.
માત્ર બદલી કરી ભાજપની જિલ્લા પંચાયતનો મામલો દબાવવાના પ્રયાસનો આક્ષેપ
બામણવાની આશા વર્કર બહેનોને ધર્મ પરિવર્તન માટે દબાણ કરનાર નમ્રતા મેકવાની તાત્કાલિક બદલી કરીને આંખો મામલો દબાવવાનો પ્રયાસ જિલ્લા પંચાયતના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યો હોવાનો આશાવર્કરોએ આક્ષેપ કર્યો છે. ભાજપની જ જિલ્લા પંચાયતમાં થઈ રહેલી આવી પ્રવૃત્તિ સામે જિલ્લાના હિન્દુ સંગઠનોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે.


