Gujarat

સનાતન ધર્મનાં પ્રસાર અને વિશ્વશાંતિ અર્થે ધગધગતા અગ્નિ કુંડો વચ્ચે કઠોર જપ-તપ

By GS TEAM
22 Mar 20262 mins read
સનાતન ધર્મનાં પ્રસાર અને વિશ્વશાંતિ અર્થે ધગધગતા અગ્નિ કુંડો વચ્ચે કઠોર જપ-તપ

વિસાવદરના લીમધ્રામાં ચૈત્રી નવરાત્રી પ્રસંગે સાધુનું અનોખું અનુષ્ઠાન : હિન્દુ સંસ્કૃતિ, સનાતન ધર્મનો પ્રચાર થાય, ગૌમાતા ક્યારેય દુઃખી ન થાય, સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થપાય અને જીવમાત્રનું કલ્યાણનો ઉદેશ્ય

જૂનાગઢ, : ચૈત્રી નવરાત્રીમાં વિસાવદરના લીમધ્રામાં સનાતન ધર્મની સ્થાપના, ગૌરક્ષા અને વિશ્વશાંતિની પ્રાર્થના સાથે ધગધગતા નવ અગ્નિ કુંડ વચ્ચે રામદેવપીર આશ્રમના મહંત કઠોર તપશ્ચર્યા કરી રહ્યા છે. આ ધર્મકાર્યમાં ભક્તિ અને શક્તિનો અદભૂત સંગમ સર્જાયો છે. દરેકના ઘરે ગાય માતાની સેવા-પૂજા થાય ત્યાં સુધી આ દર વખતે નવરાત્રીમાં આકરૃ અનુષ્ઠાન ચાલશે. આમાં નવ યજ્ઞા છે, જે નવ ગ્રહોને અપત છે. નવ દુર્ગા અને નારાયણી શક્તિને આ આહુતિ આપવામાં આવે છે. 

નવરાત્રીમાં ઠેર ઠેર અનુષ્ઠાન થતા હોય છે, પરંતુ જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના લીમધ્રા ગામે આસ્થાનું એક અનોખું દ્રશ્ય જોવા મળી રહ્યું છે. લીમધ્રાના રામદેવપીર આશ્રમ ખાતે મહંત રામદાસ બાપુ દ્વારા લોકકલ્યાણ અને ગૌરક્ષા અર્થે ધગધગતા અગ્નિ કુંડ વચ્ચે બેસીને અત્યંત કઠોર તપ કરવામાં આવી રહ્યું છે. રામદેવપીર આશ્રમમાં ચૈત્રી નવરાત્રી નિમિત્તે નવ ગ્રહોના શાંતિ અર્થે એક વિશેષ યજ્ઞાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યજ્ઞાની વિશેષતા એ છે કે, અહીં આશ્રમના મહંત નવ-નવ ધગધગતા યજ્ઞા કુંડની મધ્યમાં, ઉઘાડે શરીરે બેસીને કઠોર તપશ્ચર્યા કરી રહ્યા છે. આકરી ગરમી અને આસપાસ પ્રજ્વલિત અગ્નિની જવાળાઓ વચ્ચે મહંત એકચિત્તે પ્રભુ ભક્તિમાં લીન જોવા મળે છે. આ દ્રશ્ય જોઈને ભલભલા આશ્ચર્યચકિત થઈ જાય છે. 

આ કઠોર સાધના પાછળ મહંતનો ઉમદા ઉદ્દેશ્ય છુપાયેલો છે. સનાતન ધર્મની રક્ષા, હિન્દુ સંસ્કૃતિ અને સનાતન ધર્મનો પ્રચાર-પ્રસાર થાય, ગૌમાતાની યોગ્ય રીતે સેવા થાય અને તે ક્યારેય દુઃખી ન થાય, સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થપાય અને જીવમાત્રનું કલ્યાણ થાય. આ અનોખા યજ્ઞા અને મહંતના દર્શન કરવા માટે આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી રહ્યા છે. હાલ મંત્રોચ્ચાર અને ભક્તિમય નાદથી વાતાવરણ ગુંજી ઉઠયું છે.