વડોદરા પોલીસનું નાક કપાયુંઃ દરજીપુરાના ચકચારી દિપેન મર્ડર કેસનો આરોપી હાર્દિક કોર્ટ કેન્ટીનમાંથી ફરાર

વડોદરાઃ વડોદરાના હરણી નજીક દરજીપુરા ખાતે પ્રેમ પ્રકરણમાં આડખીલીરૃપ બનતા મિત્ર દિપેન પટેલની ઘાતકી હત્યા કરવાના ચકચારી બનાવમાં પકડાયેલા બે ભાઇઓ પૈકીનો મુખ્ય આરોપી હાર્દિક પ્રજાપતિ આજે બપોરે કોર્ટની કેન્ટીનમાંથી ફરાર થઇ જતાં પોલીસનું નાક કપાયું છે.
દરજીપુરા ખાતે ભાડાના મકાનમાં રહેતો અને આરટીઓ એજન્ટ તરીકે કામ કરતો હાર્દિક પ્રજાપતિ એક યુવતીના પ્રેમમાં હોવાથી આરટીઓમાં નંબર પ્લેટ લગાવવાની એજન્સી ધરાવતા દિપેન પટેલે તેને અટકાવ્યો હતો. જેથી ગઇ તા.૫મી મે એ હાર્દિકે દિપેનની છળ પૂર્વક હત્યા કરી લાશ હાલોલની કેનાલમાં ફેંકી દીધી હતી.
પાંચ દિવસ પછી દિપેનનો મૃતદેહ મળી આવતાં સમગ્ર બનાવ પરથી ભેદ ઉકેલાયો હતો અને હરણી પોલીસે દિપેનની હત્યા કરનારા હાર્દિક કૈલાસભાઇ પ્રજાપતિ તેમજ તેને મદદરૃપ થયેલા ભાઇ હિતેશ પ્રજાપતિ(બંને રહે.મંદિરવાળું ફળિયું,દરજીપુરા મૂળ ભાવનગર)ની ધરપકડ કરી હતી.
આ બનાવમાં પકડાયેલા બંને ભાઇઓને વડોદરા સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા હતા.આજે તેમની તારીખ હોવાથી પોલીસ જાપ્તા હેઠળ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.જે દરમિયાન બંને ભાઇઓને તરસ લાગતાં એલઆરડી નરવતદાન રાસદાન અને વિશ્વમ રામભાઇ તેમને બપોરે દોઢેક વાગ્યાના અરસામાં કોર્ટની કેન્ટીનમાં લઇ ગયા હતા.આ વખતે હત્યાનો મુખ્ય આરોપી હાર્દિક પ્રજાપતિ પોલીસને ચકમો આપી ફરાર થઇ ગયો
23 આરોપીમાંથી બે જ ભાઇઓને તરસ લાગી અને પોલીસને લાગણી થઇ આવી
કોર્ટમાંથી ભાગી છૂટેલા ચકચારી હત્યા કેસના મુખ્ય આરોપી માટે પોલીસે દર્શાવેલી લાગણી કોર્ટ સંકુલમાં ચર્ચાનો વિષય બની હતી.જેલમાંથી કુલ ૨૩ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.કોર્ટના દરેક ફ્લોર પર પાણીની વ્યવસ્થા છે.આમ છતાં હત્યા કેસના બંને આરોપી ભાઇઓને તરસ લાગતાં પોલીસ કેન્ટીનમાં લઇ ગઇ હતી અને તે દરમિયાન તક જોઇને હાર્દિક ભાગી છૂટયો હતો.
પોલીસ ટીમો દ્વારા કેમેરાના ફૂટેજ અને બસ ડેપો પર તપાસ
ફરાર આરોપીને શોધવા માટે અકોટા પોલીસ સ્ટેશનના પીઆઇ ડી વી બલદાનિયા અને અન્ય અધિકારીઓએ જુદીજુદી ચાર ટીમો બનાવી હતી.જે ટીમોએ સીસીટીવી ફૂટેજ તપાસવાની કામગીરી હાથ ધરી હતી.આ ઉપરાંત એસટી ડેપો,રેલવે સ્ટેશન અને ટોલ નાકા જેવા સ્થળોએ પણ પોલીસે તપાસ કરી હતી.
પૂરતો પોલીસ સ્ટાફ નહિ હોવાથી ટુકડે ટુકડે કેદીઓની હેરાફેરી કરવાનું ભારે પડયું
પૂરતા સ્ટાફના અભાવે કેદીઓને ટુકડે ટુકડે લાવવા લઇ જવાની હેરાફેરી કરવાનું પોલીસને ભારે પડયું હતું અને તેને કારણે તક મળતાં જ હાર્દિક પ્રજાપતિ ફરાર થઇ ગયો હતો.
મળતી માહિતી મુજબ,સેન્ટ્રલ જેલમાંથી કુલ ૩૩ આરોપીને કોર્ટમાં લઇ જવાના હતા.પરંતુ સ્ટાફ ઓછો હોવાથી ૨૩ જણાને જ લઇ જવામાં આવ્યા હતા.ત્યારબાદ જેલમાંથી બાકીના આરોપીને લઇ જવા માટે પીએસઆઇ એલ જે પરમાર ઉપર જેલમાંથી ફોન આવ્યો હતો.જેથી તેમણે કોર્ટમાંથી પરત ફરેલા ૧૧ આરોપીને જેલમાં પરત મોકલ્યા હતા અને ત્યાંથી બીજા આરોપી લઇ આવ્યા હતા.આ હેરાફેરી દરમિયાન રજિસ્ટરમાં હાર્દિક પ્રજાપતિની નોંધ નહિ દેખાતાં તે ભાગી ગયો હોવાનું ખૂલ્યું હતું.
હત્યારો એક મહિનાથી મરચાંની ભૂકી- કટર લઇ ફરતો હતો
અનગઢ પાસે મહીસાગરમાં ધક્કો મારીને કાર ઊતારી દીધી હતી,શંકા ના જાય તે માટે દિપેનને શોધવાનો ઢોંગ પણ કર્યો હતો
દિપેન પટેલની હત્યા કરી તેના પુરાવાનો નાશ કરવા માટે હાર્દિક પ્રજાપતિએ તમામ તૈયારી કરી રાખી હતી.પરંતુ તેમ છતાં તે પકડાઇ ગયો હતો.
દિપેન પ્રેમમાં આડખીલીરૃપ બનતો હોવાથી હાર્દિકે તેની હત્યા કરવાનું નક્કી કરી લીધંુ હતું.આ માટે તે એક મહિનાથી કટર અને મરચાંની ભૂકી લઇને ફરતો હતો. તા.૭મી મેએ રાતે દિપેન કારમાં લગ્નમાં જવા નીકળ્યો ત્યારે હાર્દિકે તેને પણ લગ્નમાં જવાનું છે તેમ કહી લિફ્ટ લીધી હતી અને કારમાં જ હત્યા કરી હતી.
ત્યારબાદ હાર્દિકે હાલોલ નજીક કણેટીયા ખાતે કેનાલમાં લાશ ફેંકી દઇ કારને સાફ કરી અનગઢ ખાતે મહીસાગરમાં ઊતારી દીધી હતી.ત્યારબાદ દિપેનનો ડીકંપોઝ થયેલો મૃતદેહ મળ્યો હતો.જ્યારે તા.૧૧મીએ મહીસાગરમાંથી કાર મળી હતી.જેમાં લોહીના ડાઘ,પથ્થર,ચંપલ અને નંબર પ્લેટ હતા.કોઇને શંકા ના જાય તે માટે હાર્દિક દિપેનના પરિવારજનો સાથે તપાસમાં પણ જોડાતો હતો.પોલીસની છ જેટલી ટીમોએ ઝીણવટભરી તપાસ કરી હાર્દિક અને તેના ભાઇ હિતેશને ઝડપી પાડયા હતા.








