જાતિનો દાખલો આપવા મામલતદાર કચેરી દ્વારા કરાતી હેરાનગતિ
જાતિના દાખલા વગર કોઇ ફોર્મ ના અટકે તે માટે દાખલો કાઢી આપવા સૂચના આપવામાં આવી
વડોદરા, તા.3 ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થતાં જ ગામોમાં ધીમે ધીમે ચૂંટણીનો માહોલ જામતો જાય છે. ગઇકાલે જાહેરનામાની પ્રસિધ્ધી સાથે જ ઉમેદવારીપત્રો ભરવાની શરૃઆત થઇ છે. જાતિના પ્રમાણપત્રના કારણે ઉમેદવારો વિમાસણમાં હતા પરંતુ દરેક મામલતદારને જાતિનો દાખલો તાત્કાલિક કાઢી આપવાની સૂચના આપી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે પંચાયતોની ચૂંટણીમાં એસસી, એસટી અને ઓબીસીની અનામત બેઠકો પણ છે જેથી આ બેઠકો પર અનામતવાળી વ્યક્તિ જ ઉમેદવારી કરી શકશે. પરંતુ પંચાયતની ચૂંટણીમાં ઝંપલાવવા માંગતા ઉમેદવારો પાસે જાતિનો દાખલો ના હોય તો તાત્કાલિક મેળવવા માટે દોડાદોડી કરવા લાગ્યા છે. તાલુકા કક્ષાએ કેટલાંક મામલતદારો દ્વારા જાતિનો દાખલો આપવા માટે યેનકેન પ્રકારે હેરાનગતિ કરવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે જેના પગલે કલેક્ટર કચેરીએ મામલતદારોને સૂચના આપવાની ફરજ પડી છે.
જાતિના દાખલાનો પ્રશ્ન છેક જિલ્લા કલેક્ટર સુધી આવ્યો હતો જેથી મામલતદારોને સૂચના આપવાની ફરજ પડી છે કે જાતિના દાખલા વગર કોઇનું ફોર્મ ના અટકે તે માટે ખાસ ધ્યાન રાખવું. પેઢીનામું તેમજ કોઇ નજીકના સંબંધી પાસે જાતિનો દાખલો હોય તો તેનો આધાર બનાવીને વહેલીતકે જાતિનો દાખલો કાઢી આપવો જેથી કોઇ ઉમેદવાર ચૂંટણીમાં ઝંપલાવવામાં માંગતો હોય તો તેનાથી તે વંચિત રહી ના શકે.
ઉલ્લેખનીય છે કે અગાઉની ચૂંટણીમાં મામલતદાર સમક્ષ પોતાની જાતિ અંગે સંતોષકારક પુરાવા રજૂ કર્યા હોય તો ઉમેદવારને જાતિનો દાખલો અપાતો હતો અને તેમાં ઉલ્લેખ કરાતો હતો કે આ દાખલો માત્ર ચૂંટણી પુરતો આપવામાં આવ્યો છે. આ વખતની ચૂંટણીમાં જાતિનો દાખલો કાઢી આપવા માટેની જ સૂચના આપી દેવામાં આવી છે જેથી આ દાખલો જે તે ઉમેદવારને ભવિષ્યમાં પણ કામ લાગી શકે.