પાલિતાણામાં અર્ધો લાખ ભાવિકોએ છ'ગાઉ યાત્રા કરી પુણ્યનું ભાથું બાંધ્યું
- પવિત્ર શેત્રુંજય પર્વત પર 'જય જય આદિનાથ'નો નાદ ગુંજતો રહ્યો
- સખત ગરમી વચ્ચે ખુલ્લા પગે યાત્રા કરનારની સંખ્યા મોટા પ્રમાણમાં જોવા મળી, 1500 થી વધુ સ્વયંસેવકો ખડેપગે રહ્યાં : 45 જગ્યાએ સંઘપૂજન થયું
જૈન તીર્થધામ પાલિતાણામાં આજે તા.૧૨-૩ને ફાગણ સુદ-૧૩ના રોજ વહેલી સવારથી છ'ગાઉની યાત્રાનો ભક્તમય માહોલ વચ્ચે પ્રારંભ થયો હતો. જય તળેટીથી પ્રારંભ થયેલી છ'ગાઉ દરમિયાન ચંદન તલાવડીમાં ધાર્મિક વિધિ બાદ સિદ્ધવડ ખાતે યાત્રા પૂર્ણ થઈ હતી. છ'ગાઉની યાત્રાને લઈ ૮૮ ભક્તિપાલ ઉભા કરી યાત્રિકો માટે ચા-દૂધ, ઉકાળો, ગાંઠિયા, થેપલા, દહીં, ફ્રૂટ, ખાખરા, લચ્છી, છાશ, પૂરી અને સાંજે વ્યક્તિપાલમાં ચૌવિહારની વ્યવસ્થા કરવામાં આવી હતી. યાત્રિકોને સગવડતાને ધ્યાને લઈ શેઠ આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા સિક્યુરીટી સ્ટાફ, ઉકાળેલું પાણી અને મેડિકલ ટીમની વ્યવસ્થા જાળવી રાખવામાં આવી હતી. છ'ગાઉ યાત્રા કરવા આવેલા યાત્રિકો માટે ૧૫૦૦થી વધુ સ્વયંસેવકો જય તળેટીથી સિદ્ધવડ સુધી સેવામાં ખડેપગે રહ્યા હતા. સખત ગરમી વચ્ચે પણ ખુલ્લા પગે યાત્રા કરનારની સંખ્યા મોટા પ્રમાણમાં રહી હતી. એક અંદાજ મુજબ આશરે ૫૦,૦૦૦થી વધુ ભાવિકોએ પાલિતાણામાં છ'ગાઉની યાત્રા કરી હતી. જેના કારણે યાત્રા રૂટના ડુંગર પર ભાવિકોનું કીડિયાળું ઉભરાયેલું જોવા મળ્યું હતું. સિદ્ધવડ ખાતે ૪૫ જગ્યાએ આશરે ૬૫ રૂપિયા જેટલું સંઘ પૂજન કરવામાં આવ્યું હતું. છ'ગાઉ યાત્રાને લઈ એસ.ટી. વિભાગ તરફથી સિદ્ધવડથી એકસ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે, ગઈકાલે ૧૧મી માર્ચે કચ્છી સમાજ દ્વારા છ'ગાઉની યાત્રા કરવામાં આવી હતી. જેમાં ત્રણેક હજાર યાત્રિકો જોડાયા હતા.
હડતાલના કારણે ઘણાં યાત્રિકો યાત્રાથી વંચિત રહ્યાં
પાલિતાણામાં છ'ગાઉની યાત્રામાં યુવાનોની સાથે અશક્ત લોકો, વૃદ્ધો સહિતના યાત્રિકો ઉમટી પડયાં હતા. પરંતુ ડોળી કામદારોની છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલી અચોક્કસ મુદ્દતની હડતાલને પગલે આવા યાત્રિકો યાત્રાથી વંચિત રહ્યા હતા. જે લોકો છ'ગાઉની યાત્રા કરી શક્યા ન હતા. તેમણે શેત્રુંજય પટની ભાવયાત્રા કરી હતી.