Gujarat

બોચાસણમાં મહંત સ્વામી મહારાજના સાનિધ્ય ગુરૂ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી

By GS TEAM
10 Jul 20252 mins read
બોચાસણમાં મહંત સ્વામી મહારાજના સાનિધ્ય ગુરૂ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી

 અમદાવાદ, ગુરૂવાર

બોચાસણમાં બિરાજતા ગુરુહરિ પ્રગટ મહંત સ્વામી મહારાજના પાવન સાનિધ્યમાં “ગુરુપૂર્ણિમા ઉત્સવ” દેશ – પરદેશના હજારો ભક્તો માટે “ગુરુવંદના” નો અમુલ્ય અવસર બન્યો હતો. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આર્ધ્ય સ્થાપક  શાસ્ત્રીજી મહારાજ દ્વારા નિર્મિત આ મહા મંદિરમાં પ્રતિવર્ષે ઉજવાતો “ગુરુપૂર્ણિમા ઉત્સવ” આ વર્ષે “तस्मै श्री गुरुवे नमः” કેન્દ્રિય વિચાર અંતર્ગત આયોજીત હતો. બોચાસણ સ્થિત વાસદ – વટામણને જોડતા ધોરીમાર્ગ ઉપર “શ્રી સ્વામિનારાયણ બાગ”ના વિશાળ સભાગૃહમાં ભવ્યતાથી ઉજવાયેલ ઉત્સવનો લાભ લેવા માટે વહેલી સવારથી હજારો હરિભક્તો – ભાવિકોની વિશાળ મેદની ઉમટી હતી. 

શ્રી સ્વામિનારાયણ બાગના વિશાળ સભાગૃહમાં સવારેસંતો – યુવકો દ્વારા ધૂન –પ્રાર્થના – સ્તુતિગાન- ગુરુ મહિમા ગાન દ્વારા “ગુરુપૂર્ણિમા ઉત્સવ” સભાનો પ્રારંભ થયો હતો. “तस्मै श्री गुरुवे नमः” કેન્દ્રિય વિચારને લક્ષમાં રાખી વિવિધ પ્રવચનો – પ્રસંગ કથન – વિડીયો દર્શન – નૃત્યો ના સંયોજનથી ગૂંથાયેલ સમગ્ર કાર્યક્રમ  રોચક રહ્યો હતો.

આધ્યાત્મિક માર્ગમાં અક્ષરબ્રહ્મ સ્વરૂપ ગુરુની પ્રાપ્તિ દુર્લભ છે, પરંતુ તે પ્રાપ્તિ થયા પછી આ માર્ગે આગળ વધવા જે સાધના કરવાની છે, તેનું ઉચિત માર્ગદર્શન ઉત્સવ સભાના પ્રત્યેક ચરણે પ્રાપ્ત થતું હતું. વિદ્વાન સંતો બ્રહ્મવિહારી સ્વામી,  આદર્શજીવન સ્વામી,  આનંદ સ્વરૂપ સ્વામી અને સદગુરુ સંતો  કોઠારી સ્વામી (ભક્તિપ્રિય સ્વામી),  ત્યાગવલ્લભ સ્વામી, ઘનશ્યામચરણ સ્વામી,વિવેકસાગર સ્વામી, વગેરે સંતોના  પ્રવચનો આ પ્રસંગે પ્રસ્તુત થયા હતા. 

ૉઆ પ્રસંગે નૂતન પ્રકાશનો વિમોચન થયા હતા જે અંતર્ગત  “BAPS સત્સંગ ગુજરાતી” યુ ટ્યુબ ચેનલ, “BAPS સ્વામિનારાયણ પ્રકાશ” મોબાઈલ એપ્લિકેશનનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આશીર્વાદ આપતા જણાવ્યુ હતું કે “ગુરુમાં નિર્દોષ બુદ્ધિ સહિત સેવા કરવી. ગુરુને રાજી કરવાનો ખપ રાખવો. અંતર્દૃષ્ટિ કરી, ઊંડા ઉતરી અંતરનો કચરો સાફ કરીએ તો પરિણામ આવે. સમર્થ ગુરુવર્યો શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ મળ્યા છે પરંતુ આપણે અંતર્દૃષ્ટિ કરી, તૈયારી દાખવીએ તો કામ થઈ જાય.”  કાર્યક્રમના અંતે સૌ વતી સદગુરુ સંતો તેમજ વરિષ્ઠ સંતોએ સ્વામીને પુષ્પહારથી વધાવ્યા હતા.

અંતમાં સૌ સંતો – હરિભક્તોએ ઠાકોરજી અને તમામ ગુણાતીત ગુરુવર્યોની સ્મૃતિ સાથે મંચ ઉપર બિરાજિત ગુરુહરિ  પૂજ્ય મહંત સ્વામી મહારાજ સમક્ષ મંત્ર પુષ્પાંજલી અર્પણ કરીને ગુરુવંદના કરી હતી.