ગુણરત્નસૂરિજીની રવિવારે ડિજિટલ ગુણાનુવાદસભા યોજાશે
આચાર્ય રશ્મિરત્નસૂરિજીના માર્ગદર્શનમાં સવારે 10 થી 12 કલાકે સભામાં 50 આચાર્યો સંદેશો, 25 પ્રવક્તાઓ સંવેદના રજૂ કરશે
જિનશાસનની પ્રથમ ઘટના
સુરત તા-17 જુલાઇ 2020, શુક્રવાર
જૈનશાસનમાં દીક્ષાદાનેશ્વરી આ.ભ.શ્રીગુણરત્નસૂરીશ્વરજી મ.સા.એ ગત મંગળવારે બ્રહ્મમુહૂર્તમાં મહાનિવાર્ણના પંથે પરમ પ્રયાણ કર્યુ હતું. પૂજ્યશ્રીના આજીવન ચરણોપાસક આચાર્ય શ્રી રશ્મિરત્ન સૂરિજી મ.સા.ના માર્ગદર્શન હેઠળ તા-૧૯મી જુલાઇએ રવિવારે સવારે ૧૦થી ૧૨ કલાકે પ્રથમવાર શ્રીગુણરત્નસૂરીશ્વરજીની થ્રીડી ડિજિટલ ગુણાનુવાદસભા યોજાશે.
જિનશાસનમાં પ્રથમવાર આયોજિત આ ડિજિટલ ગુણાનુવાદમાં ૫૦થી વધુ મુર્ધન્ય આચાર્ય ભગવંતોનાં શ્રદ્ધાંજલિ સંદેશાઓ હશે તથા ખ્યાતનામ ૨૬ પ્રવક્તાઓ અને ઉદ્યોગપતિઓની સંવેદના રજૂ કરાશે. જેનુ લાઇવ પ્રસારણ સોહમ ચેનલ તથા યુટયુબ ચેનલ પરથી કરવામાં આવશે. વર્તમાન પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને આ સુવિધા કરવામાં આવી છે. આ અંગે રશ્મિરત્નસૂરિજીએ કહ્યુ કે પૂજ્યશ્રીએ ૬૮ વર્ષ, ૫ મહિના અને ૯૮ દિવસ સંયમ પાળ્યુ છે. તે દરમિયાન દર ૪૮માં દિવસે અનુપાતથી દીક્ષા આપી છે. આમ જોવા જઇએ તો દીક્ષાનાં ૨૫માં વર્ષે પ્રથમ દીક્ષા અર્પણ કરી ત્યારબાદ ૪૦ વર્ષ સુધી દીક્ષાઅર્પણનો માર્ગ પ્રવાહિત કર્યો. એમા પણ ચાતુર્માસ બાદ કરતા એવરેજ દર ૨૧માં દિવસે દીક્ષા આવે છે. જે એક વિશ્વ વિક્રમ ગણી શકાય. ૪૦૦ વર્ષના ઇતિહાસમાં આ પ્રાયઃ પ્રથમ ઘટના છે. તેથી જ સાચા અર્થમાં અજોડ દીક્ષાદાનેશ્વરી બન્યા છે. રવિવારે પૂજય દીક્ષા દાનેશ્વરીના અનુગામીની ઓળખાણ કરવામાં આવશે.
નવસારીમાં ગુણોત્કીર્તન કાર્યક્રમ યોજાયો
તપોવન
સંસ્કારધામ નવસારી ખાતે પં.પ્રવર પદ્મદર્શનવિજયજી અને રાજરક્ષિતવિજયજી મ.ની
નિશ્રામાં ગુણોત્કીર્તન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુણરત્નસૂરિજીના ગુણવૈભવને
રજૂ કરતા પદ્મદર્શનવિજયજીએ જણાવ્યુ હતું કે પૂજ્યશ્રી ગુણોના સાગર હતાં. સંયમ, સ્વાધ્યાય, શાસ્ત્ર સર્જન અને સમતા એ એમનું જીવન હતું. . સૂરિપ્રેમના સમુદાયને
ક્યારેય ન પુરી શકાય એવી ખોટ પડી છે.