ગુજરાતમાં આવતીકાલે યોજાશે ગુજકેટની પરીક્ષા, 1.18 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓએ કોવિડ ગાઇડલાઇન્સનું કડકપણે પાલન કરવાનું રહેશે
ગાંધીનગર, 5 ઓગસ્ટ 2021 ગુરૂવાર
ગુજરાતમાંમાં આવતીકાલે યોજાનારી ગુજકેટની પરીક્ષા યોજાશે, જેમાં 1.18 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.પરીક્ષા સવારે 10થી બપોરે 4 વાગ્યા સુધી પરીક્ષા ચાલશે. જેમાં વિદ્યાર્થીઓ ગણિત, બાયોલોજી, કેમેસ્ટ્રી, અને ફિજીકસ વિષયોની પરીક્ષા આપશે. દરેક વિષય દીઠ એક કલાકનો સમય મળશે. રાજ્યના તમામ જીલ્લા મથકે પરીક્ષા યોજાશે. એ-ગ્રુપમાં 48 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે બી-ગ્રુપમાં 68 હજાર 500 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. 33 જિલ્લામાં કુલ 574 બિલ્ડીંગમાં 5,932 બ્લોકમાં પરીક્ષાનું આયોજન કરાયું છે.
કોરોના પ્રોટોકોલ પ્રમાણે એક વર્ગમાં માત્ર 20 વિદ્યાર્થીઓને જ બેસાડવામાં આવશે. કોવિડ પોઝિટિવ હશે તે વિદ્યાર્થી પરીક્ષા આપી નહીં શકે. એક પરીક્ષા કેન્દ્રમાં 17 જેટલા કર્મચારીઓ હાજર રહેશે. તો અંદાજે 10 હજારથી વધુ કર્મચારીઓ હાજર રહેશે. તમામ પરીક્ષા કેન્દ્રો પર કોવિડના નિયમોનું ચુસ્તપણે પાલન થાય તેવી ઝોન અધિકારીઓ ને કડક સૂચના આપી છે. ઝોન પ્રમાણે એક એક કન્ટ્રોલ રૂમ ત્યાર કરી દેવામાં આવ્યો છે જેમાં મુખ્ય કન્ટ્રોલ રૂમ ગાંધીનગર ખાતે રહેશે.
આ પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક તેમજ એખલાસભર્યા વાતાવરણમાં પરીક્ષા આપી શકે પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના વિસ્તારોમાં અસામાજિક ગુંડાતત્વો એકઠા થઈ પરીક્ષાર્થીઓને ખલેલ પહોંચાડે નહિ તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઈ રહે તે માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પડાયું છે. સંજય શ્રીવાસ્તવ તરફથી એક જાહેરનામા દ્વારા તા. 06/08/2021 ના રોજ સવારના 10-00 કલાકથી સાંજના 16-00 કલાક દરમિયાન પરીક્ષા માટેના જુદાજુદા કેન્દ્રો ઉપર કેટલાક પ્રતિબંધ ફરમાવ્યા છે.
આ જાહેરનામામાં જણાવ્યા મુજબ અમદાવાદ શહેર ખાતેના નિયત કરવામાં આવેલ પરીક્ષા કેન્દ્રો ઉપર આગામી તા.06/08/2021 ના રોજ સમય બપોરના 10-00 ક્લાકથી 16-00 કલાક સુધી પરીક્ષા કેન્દ્રોની આજુબાજુ 100 મીટરની ત્રિજયામાં આવેલા તમામ ઝેરોક્ષ/ફેક્સના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓને ઝેરોક્ષ તેમજ ફેક્સ મશીનના ઉપયોગ પર, મોટા અવાજે લાઉડ સ્પિકર કે બેન્ડવાજા વિગેરે ધ્વનિવર્ધક સાધનોના ઉપયોગ પર, પરીક્ષા કેન્દ્રોમાં મોબાઈલ લઈ જવા પર, પરીક્ષા કેન્દ્રોની 200 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા થવા પર તેમજ પરીક્ષાર્થીઓ તથા ફરજ પરના સ્ટાફ કે અધિકૃત વ્યકિત સિવાય કોઈ અનઅધિકૃત વ્યકિતને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.