Gujarat

વચનોમાં નંબર-1 અને સુરક્ષામાં '0'... વિકાસની દોટમાં વડીલો અસુરક્ષિત, ગુજરાત મોડેલની પોલ ખુલી

By GS TEAM
23 May 20262 mins read
TukuTouch Logo
ચૂંટણીની મોસમમાં વોટબેન્કને રિઝવવા માટે દીવાલો પર અને નેતાઓના ભાષણોમાં ‘શાંતિ, સલામતી અને વાઈબ્રન્ટ ગુજરાતની ગેરંટી’ જેવા સ્લોગનો અવારનવાર ચમકતા રહે છે. પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ છે. નેશનલ ક્રાઈમ બ્યૂરો (NCRB)ના સત્તાવાર સરકારી આંકડાઓએ જ ‘સલામત ગુજરાત’ના દાવાઓની હવા કાઢી નાખી છે. રાજ્યમાં હવે યુવાનો તો ઠીક, પરંતુ 60 વર્ષથી વધુ વયના સિનિયર સિટીજનો પણ ઘરમાં કે રસ્તા પર સુરક્ષિત નથી. છેલ્લા એક જ વર્ષમાં રાજ્યમાં વૃદ્ધોની હત્યા, દુષ્કર્મ, જાતીય સતામણી, લૂંટ અને છેતરપિંડીના કુલ 350 ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયા છે, જે દર્શાવે છે કે એકલા રહેતા વડીલો હવે સંપૂર્ણપણે ગુનેગારોના નિશાને છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વચનોમાં નંબર-1 અને સુરક્ષામાં '0'... વિકાસની દોટમાં વડીલો અસુરક્ષિત, ગુજરાત મોડેલની પોલ ખુલી

Gujarat Senior Citizen Safety: ચૂંટણીની મોસમમાં વોટબેન્કને રિઝવવા માટે દીવાલો પર અને નેતાઓના ભાષણોમાં ‘શાંતિ, સલામતી અને વાઈબ્રન્ટ ગુજરાતની ગેરંટી’ જેવા સ્લોગનો અવારનવાર ચમકતા રહે છે. પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ છે. નેશનલ ક્રાઈમ બ્યૂરો (NCRB)ના સત્તાવાર સરકારી આંકડાઓએ જ ‘સલામત ગુજરાત’ના દાવાઓની હવા કાઢી નાખી છે. રાજ્યમાં હવે યુવાનો તો ઠીક, પરંતુ 60 વર્ષથી વધુ વયના સિનિયર સિટીજનો પણ ઘરમાં કે રસ્તા પર સુરક્ષિત નથી. છેલ્લા એક જ વર્ષમાં રાજ્યમાં વૃદ્ધોની હત્યા, દુષ્કર્મ, જાતીય સતામણી, લૂંટ અને છેતરપિંડીના કુલ 350 ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયા છે, જે દર્શાવે છે કે એકલા રહેતા વડીલો હવે સંપૂર્ણપણે ગુનેગારોના નિશાને છે.

વડીલો વિરુદ્ધના ગુનાઓ 

•કુલ નોંધાયેલા કેસ 350 ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયા.

•35થી વધુ અસહાય વૃદ્ધોની હત્યા.

•5 વૃદ્ધા દુષ્કર્મનો ભોગ બની અને 1 વડીલ મહિલા જાતીય સતામણીનો શિકાર થઈ.

•81 વડીલોના આશિયાનામાં ચોરીની ઘટનાઓ.

•60 સિનિયર સિટીજનો ગઠિયાઓનો ભોગ બન્યા.

•25 વૃદ્ધો પાસેથી રસ્તા પર દાગીના ઝૂંટવી લેવાયા.

•વડીલોના ઘેર લૂંટ ચલાવી હોય તેવા 15 કિસ્સા પ્રકાશમાં આવ્યા.

અમદાવાદ બન્યું વૃદ્ધો માટે સૌથી અસલામત શહેર

રાજ્યભરમાં સિનિયર સિટીજનોને લઈને સૌથી વધુ ગુનાઓ ગુનાખોરીની ગ્રાફમાં મોખરે રહેતા અમદાવાદ શહેરમાં નોંધાયા છે. અમદાવાદમાં જ માત્ર વૃદ્ધોના ઘેર ચોરી થઈ હોય તેવા 65 કિસ્સા સામે આવ્યા છે. આ ઉપરાંત, શહેરમાં 5 વડીલોના ઘેર લૂંટની મોટી વારદાતો થઈ હતી, જ્યારે રસ્તા પરથી પસાર થતા 13 જેટલા વૃદ્ધો પાસેથી સ્નેચિંગ કરી દાગીના અને રોકડ રકમ છીનવી લેવામાં આવી હતી.

કાગળ પરની યોજનાઓ અને તંત્રની ઘોર નિષ્ક્રિયતા

સરકાર તરફથી સીસીટીવી કેમેરા અને લેટેસ્ટ ટેકનોલોજીથી સજ્જ હાઈટેક સાધનો માટે દર વર્ષે મોટા-મોટા બજેટ મંજૂર કરવામાં આવે છે. સિનિયર સિટીજનોની સુરક્ષા માટે 'વૃદ્ધ રજિસ્ટ્રેશન' અને 'નાઇટ પેટ્રોલિંગ' જેવી યોજનાઓ પણ શરૂ કરાઈ છે. પરંતુ તંત્રની ઘોર નિષ્ક્રિયતાના કારણે આ બધી કવાયત માત્ર સરકારી પ્રસિદ્ધિ પૂરતી સીમિત રહી ગઈ છે. ગુનેગારોમાં પોલીસનો કોઈ ડર રહ્યો ન હોય તેમ એકલા રહેતા વૃદ્ધોને સોફ્ટ ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે, જેના કારણે વડીલોની સુરક્ષા હવે માત્ર ભગવાન ભરોસે જ દેખાઈ રહી છે.

5,325 આરોપીઓની ધરપકડ સામે માત્ર 29 દોષિત ઠર્યા!

કાયદો અને વ્યવસ્થાની નબળી કડી આંકડાઓમાં પણ સ્પષ્ટ દેખાય છે. સિનિયર સિટીજનો સામે થયેલા ગુનાઓમાં પોલીસે કુલ 5,325 આરોપીઓની ધરપકડ કરીને જેલ ભેગા કર્યા હતા, જેમાં 48 મહિલા આરોપીઓ પણ સામેલ હતી. જોકે, નબળી તપાસ અથવા પુરાવાના અભાવે કોર્ટમાં માત્ર 29 આરોપીઓ જ દોષિત સાબિત થઈ શક્યા છે, જ્યારે 516 આરોપીઓ નિર્દોષ જાહેર થઈને છૂટી ગયા છે. આ સિવાય, વડીલોને લગતા અન્ય 139 કેસો હજુ પણ પોલીસ અને કોર્ટના ચોપડે પેન્ડિંગ (લંબિત) પડ્યા છે. ચૂંટણી સભાઓમાં 'મા-બહેનો અને વડીલોની સુરક્ષા' પર કલાકો સુધી ભાષણો આપતા શાસકો હાલ આવા સંવેદનશીલ મુદ્દાઓ પર મૌન સેવીને બેઠા છે.