14 હજાર વૉટનો કરંટ પણ જેનો જુસ્સો ન તોડી શક્યો: આણંદના ભાવિક ભરવાડે વર્લ્ડ પેરા એથ્લેટિક્સમાં ગોલ્ડ જીતી રચ્યો ઇતિહાસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Bhavik Bharwad Wins World Para Athletics Gold Medal: કહેવાય છે કે, જીવનની ગમે એટલે મુશ્કેલી આવે, પણ જો વ્યક્તિ મન મક્કમ રાખી અથાક મહેનત કરે તો સફળતા તને મળે જ છે. આ વાતનું ઉત્તમ ઉદાહરણ આણંદના તારાપુરનો તરવરિયો યુવાન ભાવિક ભરવાડ છે. 12 વર્ષની ઉંમરે ભાવિકને 14 હજાર વૉટનો કરંટ લાગ્યો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, તેણે નાની ઉંમરે કોણીથી અડધો હાથ ગુમાવવો પડ્યો.
આ દુર્ઘટના પછી તેને નવું જીવન તો મળી ગયું, પરંતુ મનમાં પારાવાર તોફાન સર્જાયું. જો કે, તેણે રાખમાંથી સજીવન થતા ફિનિક્સ પક્ષીની જેમ દુઃખ-દર્દમાંથી બહાર આવીને અભ્યાસ અને એથ્લેટિક્સમાં મન પરોવી દીધું. તેની મહેનત રંગ પણ લાવી. 100 મીટરની દોડમાં તેણે રાજ્ય કક્ષાએ બે અને રાષ્ટ્રીય સ્તરે એક ગોલ્ડ મેડલ જીત્યા. આ તેના માટે મોટી સિદ્ધિની સાથે પ્રોત્સાહન આપનારી ઘટના પણ હતી. ત્યાર પછી હાલમાં જ માર્ચમાં યોજાયેલી વર્લ્ડ પેરા એથ્લીટ ગ્રાન્ડ પ્રિક્સ 2026માં પણ તેણે ગોલ્ડ મેડલ જીત્યો.
હવે ભાવિકનું સપનું 400 મીટર દોડમાં ઓલિમ્પિકમાં ક્વોલિફાય થઈને દેશને ગૌરવ અપાવવાનું છે. હાલ ભાવિક કેરલમના ત્રિવેન્દ્રમમાં ભારતના બેસ્ટ કોચ રાજમોહન સર પાસે પ્રેક્ટિસ કરે છે.
અકસ્માતથી એથ્લેટિક્સ સુધીની સફર
ભાવિક ભરવાડે આ પ્રેરણાદાયી સફર વિશે ગુજરાત સમાચાર ડિજિટલ સાથે વાત કરતા જણાવ્યું કે, 'મારું નામ ભાવિક ભરવાડ છે અને હું આણંદના તારાપુરનો વતની છું. હું મારા માતા-પિતા, નાના ભાઈ-બહેન અને દાદા-દાદી સાથે સંયુક્ત કુટુંબમાં રહું છું. 12 વર્ષની ઉંમરે મને ઇલેક્ટ્રિક શોક લાગ્યો હતો, જેના કારણે મારા જમણા હાથને કોણીથી કાપવો પડ્યો અને ડાબા હાથની બે આંગળીઓ પણ ગુમાવવી પડી. આ ઘટના પછી મેં જીવનનો સૌથી મોટો ધર્મ એટલે કે 'એક્સેપ્ટ' કરવાનું શીખી લીધું. મેં નક્કી કરી લીધું કે ભલે શરીરમાં તકલીફ છે, પણ મારે એવી રીતે જીવવું છે કે સામે વાળાને ક્યારેય એવું મહેસૂસ ના થાય કે મારાથી કંઈ કામ નહીં થાય; મારું બધું જ કામ હું મારી જાતે જ કરું છું.'
પહેલીવાર રાજ્ય કક્ષાએ બે ગોલ્ડ મેડલ જીત્યા
સ્પોર્ટ્સ અને અભ્યાસ અંગે ભાવિક ભરવાડે જણાવ્યું કે, 'મેં ધોરણ 12 સાયન્સ બી ગ્રૂપ સાથે પૂરું કર્યું, પરંતુ સ્પોર્ટ્સ અને સાયન્સ બંને સાથે સંભાળવા અઘરા હતા. તેથી મારા મામા સહિતના વડીલોની સલાહથી મેં આણંદની આર્ટ્સ કોલેજમાં ગ્રેજ્યુએશન કર્યું. શરૂઆતમાં હું કબડ્ડી અને એથ્લેટિક્સ રમતો, પરંતુ દાદા અને મામાના સપોર્ટથી મેં એથ્લેટિક્સ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. એક સમય એવો હતો, જ્યારે મારા પપ્પા સ્પોર્ટ્સ માટે સપોર્ટ નહોતા કરતા, પરંતુ તેઓ સામેથી મને ખેલ મહાકુંભમાં લઈ ગયા અને તે સમયે 6-7 હજાર રૂપિયાના મોંઘા શૂઝ પણ અપાવ્યા. એ વખતે મેં રાજ્ય કક્ષાએ બે ગોલ્ડ મેડલ જીત્યા, જેનાથી પપ્પાને મારામાં પૂરેપૂરો વિશ્વાસ બેઠો અને તેમનો સંપૂર્ણ સપોર્ટ મળવા લાગ્યો. ત્યારબાદ મને નડિયાદમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં એડમિશન લીધું અને મનસુખ સરના માર્ગદર્શન હેઠળ મારી સફર આગળ વધી.'
'ગોલ્ડ મેડલની ખુશીમાં અચાનક જ મારું નામ 400 મીટર દોડમાં લખાવી દેવાયું'
400 મીટર દોડને લઈને ભાવિક ભરવાડે જણાવ્યું કે, 'હું પહેલા માત્ર 100 મીટરની દોડ કરતો હતો અને રાષ્ટ્રીય સ્તરે તેમાં ગોલ્ડ મેડલ પણ જીત્યો. એ દિવસે ગોલ્ડ મેડલ જીત્યાની ખુશીમાં અમે રાત્રે પિઝા પાર્ટી કરી અને સૂઈ ગયા. ત્યાર પછી બીજા દિવસે સવારે મનસુખ સરે અચાનક 400 મીટરમાં મારું નામ આપી દીધું. 400 મીટર એ એથ્લેટિક્સની સૌથી ડેડલી અને ખતરનાક ઇવેન્ટ છે, જેનાથી હું ખૂબ ડરતો હતો. આમ છતાં સરના આગ્રહથી હું દોડ્યો અને તેમાં પણ ગોલ્ડ મેડલ જીતી લીધો. રેસ પૂરી કર્યા પછી મારું આખું શરીર તૂટી ગયું હતું અને મેં કહી દીધું હતું કે હવે હું જિંદગીમાં ક્યારેય 400 મીટર નહીં દોડું, પણ કોચના માર્ગદર્શનથી મેં મારો માઇન્ડસેટ મજબૂત કર્યો અને 400 મીટરને જ મારી ઇવેન્ટ બનાવી લીધી.'
ગંભીર ઈજા સાથે મેદાનમાં ઉતર્યો
ભાવિક ભરવાડે જણાવ્યું કે, 'વર્ષ 2023ની એશિયન ગેમ્સ માટે મારું પરફોર્મન્સ શાનદાર હતું. મેં 6-7 મહિના ઘરથી દૂર રહીને સખત મહેનત કરી હતી, પરંતુ ટ્રાયલના માત્ર 10 દિવસ પહેલા જ મને પગમાં એચિલિસ ટેન્ડન ગ્રેડ 3ની ગંભીર ઈજા થઈ ગઈ. ડૉક્ટરોએ કહી દીધું કે હવે સર્જરી કરવી પડશે, બે વર્ષ રિકવરીમાં જશે અને હવે સ્પોર્ટ્સ નહીં રમી શકાય. પણ મારો ઈરાદો પાક્કો હતો. હું તો પ્લાસ્ટર સાથે દિલ્હી પહોંચ્યો, ટ્રાયલના એક દિવસ પહેલા જાતે પ્લાસ્ટર કાઢ્યું અને અસહ્ય પીડા વચ્ચે એક પગે જમ્પ કરીને 400 મીટર પૂરી કરી, જેમાં હું માત્ર બે માઇક્રો સેકન્ડથી પાછળ રહી ગયો. ત્યાર પછી અમદાવાદમાં મારી સર્જરી થઈ અને ફિઝિયો કરાવતા રવિન્દ્ર સર અને મનસુખ સરના 24 કલાકના સપોર્ટથી મેં 7-8 મહિનામાં જ અશક્ય લાગતું કમબેક કરી બતાવ્યું.'
ગ્લોબલ પ્લેટફોર્મ પર ગુજરાતનો ડંકો
ભાવિક ભરવાડે જણાવ્યું કે, હું 16 વર્ષની ઉંમરે મારી પહેલી ઈન્ટરનેશનલ કોમ્પિટિશન રમવા દુબઈ ગયો, જ્યાં સ્ટ્રેસને કારણે હું ચોથા નંબરે રહ્યો. એ હારથી મેં નક્કી કર્યું કે હવે મારે ગોલ્ડ મેડલ જ લાવવો છે. ત્યારબાદ બેંગલુરુમાં ટ્રાયલ આપીને જાપાનના કોબેમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય થયો, જે મારી જિંદગીની સૌથી મોટી સિદ્ધિ હતી. હું પ્યોર વેજિટેરિયન હોવાથી જાપાનમાં ડાયટ અને વાતાવરણનો પ્રશ્ન સર્જાયો. રેસમાં મારું બેસ્ટ આપવા જતા 350 મીટર સુધીમાં મારા મસલ ખેંચાઈ ગયા અને વ્હીલચેરમાં બહાર આવવું પડ્યું. જો કે, ગોસ્પોર્ટ્સ ફાઉન્ડેશનના સ્પોન્સરશિપ સપોર્ટથી મેં શારજાહ, દુબઈ અને પેરિસમાં રમીને ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યા અને ગોસ્પોર્ટ્સ બેસ્ટ ઓફ ધ યરનો એવોર્ડ પણ મેળવ્યો.
દિનચર્યા અને આધ્યાત્મિકતા
દિનચર્યા અંગે ભાવિક ભરવાડે જણાવ્યું કે, 'મારી દિનચર્યા એકદમ ફિક્સ હોય છે. હું રોજ સવારે 4 કે 5 વાગ્યે ઉઠી જાઉં છું. ત્યારબાદ યોગ અને ગ્રાઉન્ડ પર મોબિલિટી વર્કઆઉટ કરું છું. બપોરે જમીને 2થી 3 વાગ્યા સુધી રોજ એક કલાક હું ભગવદ્ ગીતાના પાઠ કરું છું અને પછી સાંજે 4.30 વાગ્યે ફરી વર્કઆઉટ કરવા જાઉં છું.'
હવે લક્ષ્ય પેરા ઓલિમ્પિકમાં દેશને ગોલ્ડ અપાવવાનું
પોતાના લક્ષ્ય અંગે ભાવિક ભરવાડે જણાવ્યું કે, 'છેલ્લા 6-7 વર્ષથી હું મારા ઘરથી દૂર રહીને જ પ્રેક્ટિસ કરી રહ્યો છું. થોડો સમય લંડન કેમ્પમાં ટ્રેનિંગ લીધા બાદ અત્યારે હું કેરળના ત્રિવેન્દ્રમમાં ભારતના બેસ્ટ કોચ રાજમોહન સર પાસે પ્રેક્ટિસ કરી રહ્યો છું. હવે મારી લાઇફનો એક જ ગોલ છે કે આવનારી પેરા એશિયન ગેમ્સ અને પેરા ઓલિમ્પિક્સમાં હું ભારત માટે ગોલ્ડ મેડલ જીતું. 400 મીટરમાં મિલ્ખાસિંહ પછી ઓલિમ્પિકમાં કોઈ ક્વોલિફાય નથી થયું, મારે એવી પ્રથમ વ્યક્તિ બનીને દેશને ગૌરવ અપાવવું છે.'
અંતમાં ભાવિક ભરવાડે જણાવ્યું કે, 'મારો સૌને એ જ સંદેશ છે કે તમારી લિમિટ પુશ કરતા શીખો, આત્મવિશ્વાસ રાખો અને સ્થિતિ ગમે તે હોય તેને 'એક્સેપ્ટ' કરીને ક્યારેય પાછું વળીને ના જુઓ.'








