કુન્દનિકા નરોત્તમદાસ કાપડિયા ઉર્ફે કુન્દનિકા મકરંદ દવે ઉર્ફે “સ્નેહઘન” ..ની ચિર વિદાય..!!!!
અમદાવાદ, તા. 30 એપ્રિલ 2020 ગુરૂવાર
અધ્યાત્મ વિદ્યાનો સાક્ષાત્કાર પમેલા અને આપણા ઋષિતુલ્ય કવિ મકરંદ દવેના પરમ સખા, ગુજરાતની નારી સ્વાતંત્ર્ય ચળવળની જનક સમી નવલકથા 'સાત પગલાં આકાશમાં' ના લેખિકા કુન્દનિકા કાપડિયા ગત્ 29-4-2020ની રાતના અંતિમ પ્રહરે,’પરોંઢ થતાં પહેલા’, 'પરમ સમીપે' પહોંચવા આ ફાની દુનિયા છોડીને ચાલી નીકળ્યા છે.
વાર્તાકાર, નવલકથાકાર કુંદનીકા કાપડિયાના જીવન પુસ્તકનું અંતિમ પૃષ્ઠ આજે રાત્રે બરાબર 2:30 વાગે સમાપ્ત થયું છે. લીંબડીમાં તા.11-1-1927એ તેમનો જન્મ. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ગોધરામાં. 1948માં ભાવનગર યુનિ.માંથી રાજકારણ અને ઈતિહાસ વિષયો સાથે બી.એ. 1955 થી 1957સુધી ‘યાત્રિક’ ને 1962થી 1980 સુધી ‘નવનીત’નાં સંપાદક. 1985 નો સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર.એમની પ્રથમ રચના ‘પ્રેમનાં આંસુ’ નામની ટૂંકીવાર્તા છે. ધૂમકેતુ, શરદબાબુ, ટાગોર, શેક્સપિયર અને ઈબ્સનમાંથી પોતાને સર્જનકાર્યની પ્રેરણા મળી હોવાનું એ જણાવે છે. એમના વાર્તાસંગ્રહોમાં ‘પ્રેમનાં આંસુ’ (1954) તથા ‘વધુ ને વધુ સુંદર’ (1968), ‘કાગળની હોડી’ (1978) અને ‘જવા દઈશું તમને’ (1983) મુખ્ય છે.
ફિલસૂફી, સંગીત ને પ્રકૃતિ જેવા વિષયોને વિશેષ રીતે પ્રયોજતી એમની વાર્તાઓમાં રહસ્યમયતા કોઈ ને કોઈ રીતે આલેખાયેલી હોય છે. એમણે લખેલી ત્રણ નવલકથાઓ પૈકી પહેલી ‘પરોઢ થતાં પહેલાં’ (1968) જીવનમાં પડેલા દુઃખના તત્ત્વને અતિક્રમીને મનુષ્ય પોતાના આનંદરુપ સાથે શી રીતે અનુસંધિત થઈ શકે એ મૂળભૂત પ્રશ્ન છેડીને કલાત્મક ધ્વનિમયતાથી પરોઢનાં આશાકિરણની ઝાંખી કરાવતી કથા છે.
‘અગનપિપાસા’ (1972) બુદ્ધિ કરતાં હૃદય પરની આસ્થા પ્રગટ કરીને નવો દ્રષ્ટિકોણ પ્રગટ કરતી કથા છે.‘સાત પગલાં આકાશમાં’ (1984) નામની એમની બહુચર્ચિત દીર્ધનવલ આધુનિક નારીના વિદ્રોહની કંઈક અંશે દસ્તાવેજી કથા છે. એમણે ત્રણેક અનુવાદો આપ્યા છેઃ શ્રીમતી લોરા ઈંગ્લસ વાઈલ્ડર નામની લેખિકાની નવલકથાનો અનુવાદ ‘વસંત આવશે’ (1962) મેરી એલન ચેઝના જીવનના-ખાસ કરી બાળપણના અનુભવોનો સાહિત્યિક સુષમાવાળો અનુવાદ ‘દિલભર મૈત્રી’ (1963) અને બંગાળી લેખિકા રાણી ચંદના- પ્રવાસવર્ણનનો અનુવાદ ‘પૂર્ણકુંભ’ (1977).
ઉપરાંત એમના પ્રકીર્ણ લેખોનો સંગ્રહ ‘દ્વાર અને દીવાલ’ (1955), પ્રાર્થનાસંકલન ‘પરમસમીપે’ (1982) પણ નોંધપાત્ર છે. તેમની યશસ્વી નવલકથા ‘સાત પગલાં આકાશમાં’ સ્ત્રી અને પુરુષો વચ્ચેના સંબંધોની સંકુલ અને નાજુક સમસ્યાઓના સંદર્ભે નારીજીવનની વ્યથાને નિરુપતી, સ્ત્રીનું અસ્તિત્વ અને તેની અસ્મિતા વચ્ચેના સંઘર્ષની કથા છે. આ કથાનું શીર્ષક લાક્ષણિક છે.
સાત પગલાં દ્વારા સપ્તપદી-લગ્નજીવન સુચવાય છે, તો ‘આકાશ’ દ્વારા એ વ્યવધાનમાંથી મળતી મુક્તિ સુચવાય છે. પરંતુ આ વાત ઉપસાવવા જતાં નાયિકા વસુધાની પડછે વ્યોમેશના પાત્રને સભાનપણે એક પક્ષી, કુંઠિત અને સ્ત્રીઓને અન્યાય કરનારા પુરુષોના પ્રતિંનિધિ જેવું થયું છે તેમણે પોતાના ઘણાં ચિંતનાત્મક લખાણો ”ઈશા કુન્દનિકા”ના નામે લખ્યાં છે. આવા સારસ્વત મા ઈશાના આજે થયેલા ‘ઇશગમન’ને નમન. તેમની ખોટ તેમની વલસાડ નજીકની કર્મભૂમિ ‘ નંદિગ્રામ’ને તો શું, પરંતુ સમગ્ર ગૂજરાતના સાહિત્ય અને સંસ્કાર જગતને કદી નહી પૂરાય.
ચહેરા પર પૂનમ 'ને
આંખોમાં અમાસ છે,
ત્યાં સુદ અને વદ
બેઉનો
અદભૂત સમાસ છે...!!
સંજોગો વિકટ હોય ત્યારે...
કુન્દનિકા કાપડીઆ
હે પ્રભુ,
સંજોગો વિકટ હોય ત્યારે,
સુંદર રીતે કેમ જીવવું?
તે મને શીખવ.
બધી બાબતો અવળી પડતી હોય ત્યારે,
હાસ્ય અને આનંદ કેમ ન ગુમાવવાં?
તે મને શીખવ.
પરિસ્થિતિ ગુસ્સો પ્રેરે તેવી હોય ત્યારે,
શાંતિ કેમ રાખવી?
તે મને શીખવ.
કામ અતિશય મુશ્કેલ લાગતું હોય ત્યારે,
ખંતથી તેમાં લાગ્યા કેમ રહેવું?
તે મને શીખવ.
કઠોર ટીકા ને નિંદાનો વરસાદ વરસે ત્યારે,
તેમાંથી મારા ખપનું ગ્રહણ કેમ કરી લેવું?
તે મને શીખવ.
પ્રલોભનો, પ્રશંસા, ખુશામતની વચ્ચે
તટસ્થ કેમ રહેવું?
તે મને શીખવ.
ચારે બાજુથી મુશ્કેલીઓ ઘેરી વળે,
શ્રધ્ધા ડગુમગુ થઈ જાય,
નિરાશાની ગર્તામાં મન ડૂબી જાય ત્યારે,
ધૈર્ય અને શાંતિથી તારી કૃપાની પ્રતીક્ષા કેમ કરવી?
તે મને શીખવ.
[કુન્દનિકા કાપડીઆ લિખિત “પરમ સમીપે” માંથી સાભાર]