પ્રાણીઓના વેકેશનનો પ્રારંભ : ગુજરાતના અભ્યારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાન ચાર મહિના માટે બંધ
Gujarat Wildlife Tourism: ગુજરાતમાં 15 જૂનથી તમામ અભયારણ્યો તેમજ રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પ્રાણીઓના વેકેશનનો પ્રારંભ થઈ ગયો છે. હવે મુલાકાતીઓ ચાર મહિના એટલે કે 15 ઑક્ટોબર બાદ અભયારણ્યો તેમજ રાષ્ટ્રીય ઉદ્યાનોની મુલાકાત લઈ શકશે.
પ્રાણીઓનો પ્રજનનકાળ હોવાથી ચાર મહિના માટે બંધ
વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની જોગવાઈ મુજબ ચોમાસા દરમિયાન આ વિસ્તારમાં ભારે વરસાદના કારણે અચાનક પૂર, ચક્રવાત તેમજ ખરાબ રસ્તા જેવી પરિસ્થિતિ ઉભી થાય છે. વધુમાં આ સમયગાળો અનેક પક્ષીઓ, સસ્તન પ્રાણીઓ, સરીસૃપ વગેરે પ્રજાતિઓ માટે પ્રજનન કાળ હોવાથી તેમાં અવરોધ થવાની શકયતાને ધ્યાનમાં લેતાં, વન વિભાગ દ્વારા ગુજરાતના તમામ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો ખાતે આવતાં પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તેમ વન વિભાગના જાહેરનામામાં જણાવાયું છે.
આ પણ વાંચો: વિમાનના કાટમાળને એરપોર્ટના હેંગરમાં લઈ જઈ તપાસ કરાશે, નાનામાં નાનો ટુકડો પણ મહત્ત્વનો
ખાનગી કે સરકારી વેબસાઈટ-પોર્ટલ પર પ્રવાસીઓ માટે ઓનલાઈન બુકિંગ પણ બંધ
આગામી 16 ઑક્ટોબરથી તમામ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો પ્રવાસીઓ માટે રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે. આ પ્રતિબંધના સમયગાળા દરમિયાન કોઈપણ ખાનગી કે સરકારી વેબસાઈટ-પોર્ટલ પર પ્રવાસીઓ માટે આ સ્થળોની મુલાકાત કરવા ઓનલાઈન બુકિંગ પણ કરવામાં આવતું નથી, જેની પ્રવાસીઓને ખાસ નોંધ લેવા વન વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.