Get The App

ચિંતાજનક આંકડા: ગુજરાતના લોકો પર માથાદીઠ દેવું રૂ. 65,100; આવક કરતાં અઢી ગણું દેવું

Updated: Feb 20th, 2026

GS TEAM

Google News
Google News
ચિંતાજનક આંકડા: ગુજરાતના લોકો પર માથાદીઠ દેવું રૂ. 65,100; આવક કરતાં અઢી ગણું દેવું 1 - image

Debt of Gujarat Government : ગુજરાત સરકારનું દેવું 1999-2000માં માત્ર રૂ. 18,510 કરોડ હતું. તે ચાલુ વર્ષે રૂ. 4.56 લાખ કરોડ થવાનો બજેટ અંદાજ હતો અને હવે સુધારેલો અંદાજ રૂ. 4.30 લાખ કરોડનો સરકારે મૂક્યો છે. સાતેક ટકાના વ્યાજના દરે દસ વર્ષે દેવું બમણું થાય એમ ગણીએ તો 1999-2000નું દેવું અત્યારે આશરે વધુમાં વધુ રૂ. 1.25 લાખ કરોડ થાય. પણ એ હકીકતમાં ચાર લાખ કરોડ રૂપિયા ઉપર પહોંચી ગયું છે.

આવતે વર્ષે એટલે કે 2026-27માં તે રૂ. 4.87 લાખ કરોડ થશે, તેના પછીના વર્ષે તે રૂ. 5.12 લાખ કરોડ થશે; અને તેના પછીના વર્ષે એટલે કે 2028-29માં તે રૂ. 5.67 લાખ કરોડ થશે એવો અંદાજ મૂકવામાં આવ્યો છે. ગુજરાત રાજકોષીય જવાબદારી ધારો-2005 મુજબ જે નિવેદન બજેટની સાથે જ અંદાજપત્ર પ્રકાશન નં. 30 તરીકે બહાર પાડવામાં આવ્યું છે તેમાં આ વિગત આપવામાં આવી છે. આમ, આગામી ત્રણ જ વર્ષમાં સરકારનું દેવું રૂ. 80,000 કરોડ જેટલું વધવાનું છે.

2021-22માં રાજ્ય સરકારનું દેવું રૂ. 3.08 લાખ કરોડ હતું. હવે તે ચાલુ વર્ષે રૂ 4.56 લાખ કરોડ થાય તો એનો અર્થ એ થાય કે તેમાં ત્રણ જ વર્ષમાં આશરે 30 ટકાનો વધારો થયો. એટલે કે વાર્ષિક સરેરાશ દસ ટકાનો વધારો થયો. આ વધારો ઘણો વધારે કહેવાય એમાં કોઈ શંકા નથી. હજુ પણ સરકારના દેવામાં વધારો થવાનો જ છે એવો જે અંદાજ મૂકવામાં આવ્યો છે તે પણ ચિંતાપ્રેરક છે. આ સંદર્ભમાં નીચે આપેલા કેટલાક મુદ્દા નોંધનીય છે.

મહત્ત્વના મુદ્દા

(1) ગુજરાતની જીડીપી એટલે કે ગુજરાતના લોકોની કુલ આવક આવતે વર્ષે જે થશે તેના સંદર્ભમાં રાજ્ય સરકારનું દેવું આશરે 15 ટકા થશે.

(2) સરકારે ચાલુ વર્ષે સુધારેલા અંદાજ મુજબ રૂ. 89,500 કરોડનું નવું દેવું લીધું છે અને આવતે વર્ષે એ એક લાખ કરોડ રૂપિયાનું નવું દેવું લેવાની છે એવો અંદાજ મૂક્યો છે. આમ, ચાલુ વર્ષ કરતાં આવતે વર્ષે સરકાર રૂ. 10,500 કરોડ જેટલું વધારે દેવું લેવાની છે. એટલે સરકારનું કુલ દેવું વધવાનું જ છે એમાં કોઈ શંકા રહેતી નથી.

(3) ગુજરાત સરકાર જે નવું દેવું વરસોવરસ લે છે તેની રકમ પણ બેફામપણે વધતી જાય છે. 2022-23માં 52,300 કરોડ રૂ., 2023-24માં 40,400 કરોડ રૂ. અને 2024-25માં 51,300 કરોડ રૂપિયાનું દેવું લીધેલું. ચાલુ વર્ષે 89,500 કરોડ રૂપિયાનો અંદાજ મૂકવામાં આવ્યો છે અને હવે આવતે વર્ષે તો એક લાખ કરોડ. રૂપિયાનો અંદાજ મૂકવામાં આવ્યો છે! આમ, નવું દેવું લેવાની રકમ 2023-24 કરતાં બમણા કરતાં પણ વધી ગઈ!

(4) ગુજરાતની હાલની વસ્તી 7 કરોડની ધારવામાં આવે અને તેના વડે ચાલુ વર્ષના રૂ. 4.56 લાખ કરોડના દેવાને ભાગવામાં આવે તો સરેરાશ માથાદીઠ દેવું રૂ. 65,100 થાય છે. ગુજરાતમાં કુટુંબનું સરેરશ કદ 4.7 છે. એટલે એક પરિવારને માથે રૂ. 65,100 x 4.7 = 3,05,970 રૂપિયાનું દેવું થાય. ગુજરાતમાં કેટલા પરિવારોની સરેરાશ વાર્ષિક આવક આટલી હશે તે એક મોટો સવાલ છે. જો કે, આ દેવું એ પરિવારોનું નથી પણ સરકારનું છે.

(5) સંક્ષિપ્ત અંદાજપત્રમાં સરકાર પાસે રૂપિયો ક્યાંથી આવશે અને સરકારનો રૂપિયો ક્યાં જશે તેની વિગતો આપવામાં આવી છે. તે એમ જણાવે છે કે આવતે વર્ષે સરકારની એક રૂપિયાની આવકમાં 24.72 પૈસાની આવક દેવામાંથી આવશે. આ રકમ ચાલુ વર્ષનું બજેટ આવ્યું ત્યારે 23.53 ટકા જણાવવામાં આવી હતી. આમ દેવા પરનો સરકારનો આધાર વધ્યો છે. બીજી તરફ, આવતે વર્ષે 10.69 ટકા રકમ જૂનું દેવું ભરપાઈ કરવામાં વપરાશે એમ સંક્ષિપ્ત અંદાજપત્ર જણાવે છે. આમ એ બે વચ્ચેનો તફાવત જે ગયે વર્ષે 14.70 પૈસા હતો તે વધીને ચાલુ વર્ષે 15.24 પૈસા થવાનો છે. અને આવતે વર્ષે તે 14.03 પૈસા થવાનો છે. તો સરકારની આર્થિક પરિસ્થિતિ સુધરી કઈ રીતે કહેવાય? દેવાની આવક અને જાવકની બાબતમાં કોઈ ઝાઝો ફરક પડ્યો નથી એ એક હકીકત છે.

(6) રાજ્ય સરકારની કર આવક અને કરવેરા સિવાયની આવક, એટલે કે ફી, દંડ, ભાડું વગેરે જેવી આવક, જોરદાર વધે છે તેમ છતાં સરકારનું દેવું મોટા પ્રમાણમાં વધે છે એ એક આશ્ચર્યજનક ઘટના છે. 2021-22માં સરકારની કરવેરાની આવક રૂ. 1.29 લાખ કરોડ હતી અને આવતે વર્ષે એ રૂ. 2.21 લાખ કરોડ થવાની છે. આમ, કરવેરાની આવકમાં પાંચ જ વર્ષમાં 71.31 ટકાનો જંગી વધારો થયો છે. એટલે કે સરેરાશ દર વર્ષે 14 ટકાથી પણ વધારે દરે કરવેરાની આવક વધી.

(7) બીજી તરફ કરવેરા સિવાયની આવક પણ વધતી જ જાય છે. 2022-23માં કરવેરા સિવાયની આવક રૂ. 18,433 કરોડની હતી અને તે આવતે વર્ષે રૂ. 29,828 કરોડની થવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. એનો અર્થ એ કે દર વર્ષે સરેરાશ આશરે 17 ટકાના દરે કરવેરા સિવાયની આવક પણ વધે છે. આટલી ઝડપથી તો ગુજરાતના લોકોની આવક એટલે કે જીડીપી વધતી જ નથી. જીડીપી તો દસ કે અગિયાર ટકાના દરે જ વધે છે. આમ, કર આવક અને બિન-કર આવક બંને ભેગાં કરીએ તો પણ દેવાને તે પહોંચી વળે તેમ છે જ નહિ.

(8) આનો સ્પષ્ટ અર્થ એ છે કે સરકારની કરવેરાની આવક અને કરવેરા સિવાયની આવક જોરદાર વધતી હોવા છતાં પણ સરકારનું દેવું બેફામપણે વધતું જાય છે. સરકાર વધારે કરવેરાની આવક ઊભી કરે છે અને છતાં દેવું વધારે લે છે કેમ તે ન સમજી શકાય તેવી બાબત છે.

(9) આવતે વર્ષે રાજ્ય સરકારની પોતાની કુલ કર આવક અને બિન-કર આવક રૂ. 1.94 લાખ કરોડ થવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે પરંતુ સરકારનું કુલ દેવું આવતે વર્ષે રૂ. 4.87 લાખ કરોડ થવાનો અંદાજ મૂકાયો છે. આનો અર્થ એ થાય કે સરકારની કર આવક અને બિન-કર આવક બંનેના બમણા કરતાં પણ વધુ તો સરકારનું દેવું હશે. એટલે સરકાર અઢી વર્ષ સુધી માત્ર દેવું જ ચૂકવે અને બીજું એક રૂપિયાનું પણ કોઈ ખર્ચ ન કરે તો પણ દેવું પૂરું ન થાય તેવી પરિસ્થિતિ છે. અને એ તો શક્ય જ નથી. એટલે દેવું વરસોવરસ ચાલુ રહેવાનું છે અને વધવાનું છે એ નક્કી થઈ ગયું છે. સરકાર દેવું ઘટાડવાના કોઈ પ્રયાસ કરે છે તેવું પણ દેખાતું નથી.

શું થઈ શકે?

ઉપરોક્ત ચર્ચાના સંદર્ભમાં કેટલાક મુદ્દા અગત્યના છે:

(1) કરવેરાની આવક કેવી રીતે વધારવી અને દેવું લેવાનું ઓછું કેવી રીતે કરવું એ અગત્યનું છે. અત્યારે તો રાજ્ય સરકાર પાસે એવું કશું આયોજન હોય એમ દેખાતું નથી, ઇરાદો પણ જણાતો નથી. સરકારે રાજ્યના ધનવાનો પર કરવેરા કેવી રીતે વધારે નાખી શકાય તે વિચારવું પડે અને કરવેરાની આવક વધારવી પડે કે જેમાંથી દેવું આંશિક રીતે ભરપાઈ થઈ શકે.

(2) સરકાર દેવું કરે છે કારણ કે તે કરવેરા અમુકથી વધારે પ્રમાણમાં નાખી શકતી નથી. તેનું કારણ એ કે કરવેરા એ સંપૂર્ણપણે રાજકીય બાબત છે. પરંતુ સરકાર કેવા ખર્ચમાં પૈસા વાપરે છે તે તો મહત્ત્વનું છે જ. સરકાર ઘણો ખર્ચ અટકાવી શકે તેમ છે અને બંધ કરી શકે તેમ છે. જો એમ થાય તો, સરકારને નવું ઓછું દેવું લેવાની જરૂર પડે અને તો દેવાનો બોજો ઘટતો જાય.

દેવાની ચિંતા કરવાની કે નહિ?

હિંદુ સંસ્કૃતિમાં એક ચાર્વાક દર્શન છે. એ નાસ્તિક દર્શન છે. એ ઈશ્વરના અસ્તિત્વમાં માનતું નથી અને તે એમ કહે છે કે જે છે તે અહીં જ છે, મનુષ્યનો જન્મ અને મનુષ્ય જ મહત્ત્વનો છે. મનુષ્યના જન્મ પહેલાં કશું હતું અને મનુષ્યના જન્મ પછી કશુંક સ્વર્ગ કે નર્ક જેવું છે એવી માન્યતામાં ચાર્વાક દર્શનને કોઈ રસ નથી. એટલે તે એમ કહે છે કે ‘દેવું કરીને પણ ઘી પીઓ’. ટૂંકમાં, જલસાથી જીવો. ચાર્વાક દર્શનની આ ઉક્તિ બહુ જાણીતી છે અને ગુજરાત સરકારના બધા પ્રધાનો ભલે ઈશ્વરમાં માનનારા હોય; પણ તેઓ આ ઉક્તિને વરેલા છે, તેના પ્રત્યે પ્રતિબદ્ધ પણ લાગે છે.

એક બહુ જાણીતા રશિયન-બ્રિટિશ અમેરિકન અર્થશાસ્ત્રી છે એ. પી. લર્નર (1903-1982). સરકારના દેવા અંગે એમનો એક સિદ્ધાંત એવો છે કે, “આંતરિક દેવું એ દેવું છે જ નહિ.” અર્થશાસ્ત્રના બધા વિદ્યાર્થીઓ આ સિદ્ધાંત ભણે છે. ગુજરાત સરકારના કેટલા પ્રધાનો અર્થશાસ્ત્ર ભણ્યા છે તેની તો ખબર નથી પણ તેઓ બધા જ ચાર્વાક અને લર્નરને અનુસરે છે એ એક હકીકત છે. લર્નર એમ કહે છે કે જો સરકારનું દેવું એટલે કે જાહેર દેવું આંતરિક હોય, એટલે કે તે દેશમાંથી જ, એટલે કે દેશની બેંકો કે દેશના લોકો, કે દેશની સંસ્થાઓ વગેરે પાસેથી લેવામાં આવતું હોય તો તેની ચિંતા કરવાની જરૂર નથી, એને દિવ્ય ગણવું જ ના જોઈએ. તેમની દલીલ એવી છે કે એ તો દેશના પૈસા દેશમાં જ રહે છે, લોકો કે બૅંકો વાપરે તેણે બદલે એ પૈસા સરકાર વાપરે છે, એટલે પૈસા તો દેશની અંદર જ રહે છે, અને માટે જ એ દેવાની ચિંતા કરવાની જરૂર નથી. વિદેશી દેવાની ચિંતા કરાય, દેશની અંદરથી જ લેવામાં આવતા દેવાની નહિ એમ એમનું કહેવું છે.

ચાર્વાકની દલીલ દર્શનશાસ્ત્રની છે, અને લર્નરની દલીલ અર્થશાસ્ત્રીય છે. બંનેનો સ્વીકાર ગુજરાત સરકારે કરેલો લાગે છે. એટલે જ ગુજરાત સરકારના દેવામાં બેફામ વધારો થયો છે અને હજુ વધારે ઝડપથી વધારો થઈ રહ્યો છે. સરકાર માટે એ ચિંતાનો મુદ્દો બનવો તો જોઈએ. પરંતુ એમ લાગે છે કે રાજ્ય સરકાર એની ઝાઝી ચિંતા કરતી લગતી નથી. ચિંતા એટલી જ કરવાની રહે છે કે એ દેવું ક્યારે પરત ચૂકવવામાં આવશે, અથવા પૂરું થશે. હાલ તો એમ લાગે છે કે નજીકના ભવિષ્યમાં ગુજરાત સરકારનું દેવું પૂરું થઈ જાય એમ તો છે જ નહિ.