ગુજરાતમાં એસટી કર્મચારીઓએ આંદોલનનું કર્યું એલાન, એક સપ્તાહ સુધી યોજશે વિરોધ કાર્યક્રમ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat ST Employees Protest: જાહેર પરિવહનની જીવાદોરી સમાન ગુજરાત એસટીના ખાનગીકરણ અને કર્મચારીઓના પડતર પ્રશ્નો મુદ્દે ગુજરાત એસટી મઝદૂર મહાસંઘ દ્વારા 18થી 25 જૂન સુધી આંદોલનનું એલાન કરાયું છે. જેમાં એસટીના કર્મીઓ હાથ પર કાળી પટ્ટી બાંધી, નિગમની મુખ્ય તથા તમામ વિભાગીય કચેરીઓ, બસ ડેપો બહાર ઘંટનાદ સાથે રામધૂન બોલાવી ધરણાં પર બેસીને દેખાવો કરશે.
કર્મચારીઓમાં રોષનું મુખ્ય કારણ શું છે?
એસટી નિગમની મનસૂફી સામે કર્મચારીઓએ હવે બાંયો ચડાવી છે. કરોડો ચૂકવીને ખાનગી એજન્સી પાસેથી બસ ભાડે લેવા તેમજ આઉટસોર્સિંગથી ચાર હજાર ડ્રાઈવર, કંડક્ટરની ભરતી કરવાના નિગમના નિર્ણયથી તેઓ રોષે ભરાયા છે. તેમજ વર્ષોથી પડતર પ્રશ્નો જેવા કે સાતમું પગાર પંચ લાગુ કરવા, દોઢ વર્ષથી બાકી ચડત મોંઘવારી અરિયર્સ ચૂકવવા, કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવા વગેરે મુદ્દે આંદોલન છેડવાની તૈયારી કરી દીધી છે.
આંદોલનનું આખું શેડ્યૂલ
જેમાં 18મી, 19મી અને 20મી જૂને કર્મચારીઓ હાથ પર કાળી પટ્ટી બાંધી વિરોધ દર્શાવશે. જ્યારે 22મી અને 23મી જૂને વિવિધ બસ ડેપો, વર્કશોપ, વિભાગીય કચેરીઓ બહાર કર્મીઓ સૂત્રોચ્ચાર કરીને ઘંટનાદ સાથે રામધૂન બોલાવશે. બાદમાં 24મી જૂને તેઓ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, વાહનવ્યવહાર મંત્રી તેમજ નિગમના વડાને ટેગ કરી સોશિયલ મીડિયા પર પણ આંદોલન ચલાવશે. આખરે 25મી જૂને નિગમની તમામ વિભાગીય કચેરીઓ સામે સવારે 11 વાગ્યાથી ધરણાં પર બેસી વિરોધ પ્રદર્શન કરશે.









