SIR News: ભારતીય ચૂંટણી પંચના આદેશ બાદ ગુજરાતમાં શરુ કરાયેલી મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત 11 ડિસેમ્બર સુધીની મુદત વધારવામાં આવી છે ત્યારે આજ સુધીમાં રાજ્યના 27 જિલ્લામાં 100 ટકા કામગીરી પૂરી થઈ છે. જો કે કેટલાક જિલ્લામાં હજુ સંપૂર્ણ કામગીરી પૂરી થઈ નથી. ચૂંટણીપંચ દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ ગુજરાતના 40.44 લાખ મતદારોનું કામયી સ્થળાંતર થઈ ચૂક્યું છે.
18 લાખથી વધુના અવસાન
ચૂંટણીપંચ દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ ગત 27 ઑક્ટોબરથી રાજ્યભરમાં શરુ કરાયેલી સર(સ્પેશ્યિલ ઈન્ટેન્સિવ રિવિઝન)ની કામગીરી અંતર્ગત ગણતરીનો તબક્કો 11 ડિસેમ્બરના રોજ પૂર્ણ થઈ રહ્યો છે. ફોર્મ પરત આવવાની સમયમર્યાદામાં આવતીકાલે છેલ્લો દિવસ છે ત્યારે રાજ્યમાં કુલ વિતરણ થયેલા 5,08,43,291 ફોર્મ પૈકી માત્ર 1877 ફોર્મ હવે મળવાના એટલે કે પરત આવવાના બાકી છે. આમ ગણતરીના તબક્કાની 99.99 ટકા કામગીરી પૂરી થઈ છે.
રાજ્યમાં અરવલ્લી, વલસાડ, મહીસાગર, પાટણ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, દાહોદ, ગીરસોમનાથ, રાજકોટ, તાપી, ડાંગ, જૂનાગઢ અને નવસારી તેમજ અમરેલી સહિતના 27 જિલ્લામાં 100 ટકા કામગીરી પૂર્ણ કરવાનો દાવો કરવામાં આવ્યો છે. જિલ્લાવાર મૂકવામાં આવેલી વિગતોમાંથી મતદારો પોતે પણ ચકાસણી કરી શકે તેવી સરળ વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યાર સુધીની કામગીરીમાં 18 લાખથી વધુ મતદારો અવસાન પામ્યા હોવાનું અને મતદાર યાદીમાં હોવાનું સામે આવ્યું છે. જ્યારે 10.26 લાખથી વધુ મતદારો તેમના સરનામે ગેરહાજર હતા. 40.44 લાખથી વધુ મતદારોનું કામયી સ્થળાંતર થઈ ચૂક્યું છે. જ્યારે 3.37 લાખ લાખથી વધુ મતદારો રિપીટેડ એટલે કે બે જગ્યાએ નોંધાયેલા હોવાનું ઘ્યાને આવ્યું છે.


