Gujarat

રૂપાલમાં હિજરતની ચીમકી, માઢીમાં વરઘોડો રોક્યો! ગુજરાતમાં દલિતો સાથે ભેદભાવની ત્રણ દિવસમાં ત્રણ ઘટના

By GS TEAM
19 May 20262 mins read
TukuTouch Logo
ચૂંટણીનો સમય નજીક આવે ત્યારે દરેક રાજકીય પક્ષના નેતાઓને મોટી વોટબેન્ક ગણાતો દલિત સમાજ અચૂક યાદ આવે છે. મતદારોને રીઝવવા માટે નેતાઓ ભલે દલિતોના ઘરે જઈને તેમની સાથે ભોજન લેતા હોવાના ફોટા પડાવે, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. ગુજરાતમાં આજે પણ ગ્રામીણ સ્તરે દલિતો સામેનો ભેદભાવ યથાવત્ હોવાનું સાબિત કરતી ત્રણ અલગ-અલગ ઘટનાઓ માત્ર ત્રણ દિવસમાં સામે આવી છે, જેણે સામાજિક સમરસતાના દાવાઓ સામે મોટા સવાલો ઊભા કર્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રૂપાલમાં હિજરતની ચીમકી, માઢીમાં વરઘોડો રોક્યો! ગુજરાતમાં દલિતો સાથે ભેદભાવની ત્રણ દિવસમાં ત્રણ ઘટના

Gujarat Dalit Discrimination: ચૂંટણીનો સમય નજીક આવે ત્યારે દરેક રાજકીય પક્ષના નેતાઓને મોટી વોટબેન્ક ગણાતો દલિત સમાજ અચૂક યાદ આવે છે. મતદારોને રીઝવવા માટે નેતાઓ ભલે દલિતોના ઘરે જઈને તેમની સાથે ભોજન લેતા હોવાના ફોટા પડાવે, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. ગુજરાતમાં આજે પણ ગ્રામીણ સ્તરે દલિતો સામેનો ભેદભાવ યથાવત્ હોવાનું સાબિત કરતી ત્રણ અલગ-અલગ ઘટનાઓ માત્ર ત્રણ દિવસમાં સામે આવી છે, જેણે સામાજિક સમરસતાના દાવાઓ સામે મોટા સવાલો ઊભા કર્યા છે.

રૂપાલમાં ન્યાય ન મળતાં 7 દિવસમાં સામૂહિક હિજરતની ચીમકી

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના રૂપાલ ગામમાં દલિત સમાજ પર થઈ રહેલા અત્યાચારનો મામલો ગરમાયો છે. ગામના અસામાજિક તત્વો દ્વારા દલિતો સાથે સામાજિક, આર્થિક, ધાર્મિક અને ન્યાયિક સ્તરે ભેદભાવ રાખવામાં આવતો હોવાનો આક્ષેપ કરાયો છે. દલિત આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને જણાવ્યું છે કે, અત્યાર સુધીમાં એટ્રોસિટી એક્ટ હેઠળ 7 જેટલી ફરિયાદો અને અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવાયા નથી. જો આગામી સાત દિવસમાં યોગ્ય ન્યાયિક કાર્યવાહી કરવામાં નહીં આવે, તો પીડિત પરિવારોએ ગામમાંથી સામૂહિક હિજરત કરવાની ગંભીર ચીમકી ઉચ્ચારી છે.

માઢી ગામમાં વરરાજાને ઘોડા પરથી ઉતારી વરઘોડો અટકાવ્યો

બીજો કિસ્સો મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના માઢી ગામેથી સામે આવ્યો છે. ગત 10મી મેના રોજ ગામમાં એક દલિત પરિવારના લગ્ન પ્રસંગ દરમિયાન વરરાજાનો વરઘોડો નીકળ્યો હતો. આ દરમિયાન કેટલાક તત્વોએ વરરાજાને ઘોડા પરથી નીચે ઉતારી દીધા હતા અને જાતિસૂચક ગાળો આપી વરઘોડો રોકી દીધો હતો. આ મામલે મહેસાણા જિલ્લા દલિત સંગઠને કલેક્ટરને આવેદનપત્ર આપીને તમામ દોષિત આરોપીઓ સામે સત્વરે અને કડક પગલાં લેવાની માંગ કરી છે.

મેતાસરમાં કૂવેથી પાણી ભરવા બદલ સામાજિક બહિષ્કાર

જ્યારે ત્રીજી ઘટના સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના મેતાસર ગામે બની છે. રાજકોટમાં રહેતો એક દલિત પરિવાર વતન મેતાસર ગામે આવ્યો હતો. આ પરિવારની વ્યક્તિઓ ગામના કૂવે પાણી ભરવા ગઈ ત્યારે તેમને પાણી ભરતા અટકાવવામાં આવ્યા હતા અને સમગ્ર પરિવારનો સામાજિક બહિષ્કાર કરી દેવાયો હતો. ગત શનિવારે આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ પોલીસે કડક વલણ અપનાવીને અત્યાચાર ગુજારનારા 6 શખસો સામે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.