મહેસૂલ વિભાગનો મહત્ત્વનો નિર્ણય: 7 વર્ષ બાદ ફરી તલાટીઓ વસૂલશે મહેસૂલ, સિટી સર્વે કચેરીનો બોજ હળવો થયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Revenue Collection: રાજ્યભરમાં મહાનગરપાલિકા તેમજ નગરપાલિકા વિસ્તારમાં મહેસૂલની વસૂલાતની સત્તા તલાટીઓ પાસેથી આંચકી સિટી સર્વે કચેરીઓને સોંપવામાં આવી હતી પરંતુ આ સત્તા ફરીથી સાત વર્ષે પંચાયત તલાટીઓને સોંપવાનો નિર્ણય સેટલમેન્ટ કમિશ્નર અને જમીન દફ્તર નિયામક દ્વારા લેવામાં આવ્યો છે.
મહેસૂલની ઉઘરાણીમાં પરેશાની
ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર દ્વારા જાન્યુઆરી-2018માં પ્રસિદ્ધ થયેલા જાહેરનામા મુજબ મહેસૂલ ઉઘરાવવાની સત્તા તલાટીઓ પાસે હતી તે સત્તા તેઓ પાસેથી લઈને સિટી સર્વે કચેરીના મેન્ટેનન્સ સર્વેયરોને સોંપવામાં આવી હતી. મેન્ટેનન્સ સર્વેયરોને મહેસૂલ ઉઘરાવવાની સત્તા અપાતાં જ શરુઆતથી જ વિરોધનો વંટોળ શરુ થયો હતો. પ્રોપર્ટીકાર્ડ બનાવવા ઉપરાંત માપણી સહિતની કામગીરી તેમજ ઓછો સ્ટાફ હોવાથી કામના બોજના કારણે મહેસૂલની ઉઘરાણી મુશ્કેલ બનતી હતી.
આ અંગે ઉચ્ચ કક્ષાએ સિટી સર્વે કર્મચારીઓ દ્વારા રજૂઆતો પણ કરવામાં આવી હતી. દરમિયાન તા. 5 ફેબ્રુઆરીના રોજ સેટલમેન્ટ કમિશ્નરે એક પરિપત્ર બહાર પાડી તમામ જિલ્લા કલેકટરો તેમજ જિલ્લા વિકાસ અધિકારીઓને મોકલવામાં આવ્યો હતો. આ નવા પરિપત્રના નિયમો મુજબ હવે મહાનગરપાલિકા તેમજ નગરપાલિકા વિસ્તારોમાં પરિવર્તનીય વિસ્તાર સિવાયના અને સિટી સર્વે સહિતના તમામ વિસ્તારોમાં બિનખેતીની ગામ નમૂના નંબર-2ની વસૂલાત પહેલાની જેમ જ પંચાયત વિભાગ દ્વારા એટલે કે તલાટીઓ દ્વારા કરવાની રહેશે.
આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે, અગાઉ જ્યારે જાહેરનામું બહાર પડાવામાં આવ્યું હતું. ત્યારે જ સિટી સર્વે કચેરીઓએ માત્ર પરિવર્તનીય વિસ્તાર સ્પષ્ટ લખ્યું હતું પરંતુ તેનો અર્થ અલગ થતાં તલાટીઓ દ્વારા વસૂલાતી મહેસૂલની રકમ સિટી સર્વે કચેરીઓના મેન્ટનન્સ સર્વેયરોના માથે નાખી દેવામાં આવી હતી.
સૂચિત સોસાયટીઓનું મહેસૂલ વસૂલવાની સત્તા સિટી સર્વે પાસે
મહેસૂલ વસૂલવાની સત્તા કોના માથે તે અંગે છેલ્લા સાત વર્ષથી વિવાદ ચાલતો હતો. અગાઉ જાહેરનામા મુજબ મહાનગરપાલિકા તેમજ નગરપાલિકા વિસ્તારોમાં પરિવર્તનીય વિસ્તાર એટલે કે સૂચિત સોસાયટીઓની મિલકતોનું મહેસૂલ વસૂલવા માટેની સત્તા સિટી સર્વે કચેરીઓને સોંપવામાં આવી હતી પરંતુ તેનો અર્થ અલગ કરીને તમામ મહેસૂલ વસૂલવાની કામગીરી સિટી સર્વે કચેરીઓના માથે નાંખી દેવાઈ હતી જેમાં સુધારો કરી નવો પરિપત્ર બહાર પાડવાની ફરજ પડી છે. હવે માત્ર સૂચિત સોસાયટીઓનું જ મહેસૂલ સિટી સર્વે કચેરીઓ કરશે.








