રાજ્યમાં વરસાદી માહોલ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, વૃક્ષો-મકાન-વીજથાંભલા ધરાશાયી, 2ના મોત
Gujarat Weather Update: ગુજરાતભમાં બુધવારે મોડીરાતથી અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. જોકે, સતત ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાયી થવાથી લઈને જર્જરીત મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી. આ સિવાય રાજ્યમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો, તેમજ અનેક વિસ્તારોમાં તો અંડરપાસ પણ પાણીથી ભરાઈ ગયા હતા. જોકે, મોડી રાતે વરસેલા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
ભારે વરસાદથી વૃક્ષો ધરાશાયી
મળતી માહિતી મુજબ, ઊંઝા શહેર સહિત પંથકમાં રાત્રે વીજળીના કડાકા સાથે ભારે વરસાદ વરસ્યો હતો. જેના કારણે તમિલનાડુથી માલ ભરીને આવતી ટ્રક અંડરબ્રિજમાં ફસાઈ ગઈ હતી. વળી અરવલ્લી જિલ્લામાં અનેક સ્થળે ભારે પવન સાથે વરસાદના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી. આ સિવાય માલુપરમાં વીજ તાર તૂટી પડતા લોકોએ અંધારામાં રાત વિતાવવાનો વારો આવ્યો હતો. તેમજ અમીરગઢ-ઈકબાલગઢમાં અનેક વૃક્ષ ધરાશાયી થયા હોવાની માહિતી સામે આવી છે.
આ પણ વાંચોઃ ચંડોળા બાદ બાપુનગરમાં મેગા ડિમોલિશન, 400થી વધુ કાચા-પાકા દબાણો પર બુલડોઝર ફેરવાયું
મકાન ધરાશાયી થતા બે લોકો મોતને ભેટ્યા
રાજ્યભરમાં અનેક જગ્યાએ ભારે પવન સાથે વરસાદ વરસતા મકાન ધરાશાયી થવાની ઘટના પણ સામે આવી હતી. જેમાં મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ભાદરોડ ગામે એક વૃદ્ધનું જર્જરીત મકાન તૂટી પડતા તેમનું કાટમાળમાં દબાઈ જવાના કારણે મોત નિપજ્યું હતું. આ સિવાય પાટણમાં પણ ભારે વરસાદના કારણે શહેરના વોર્ડ નંબર-8માં આવેલા ખરાદી વાડામાં જર્જરિત મકાનની ગેલેરી તૂટી પડી હતી. બનાસકાંઠામાં પણ ભારે પવન સાથે વરસાદ વરસતા અનેક વિસ્તારમાં મકાનના પતરા ઉડી ગયા હતાં. આ સિવાય અમદાવાદના કાલુપુર વિસ્તારમાં પણ મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી. જેમાં ધનાસુથારની પોળમાં જર્જરીત મકાન ધરાશાયી થતા બે મહિલા કાટમાળમાં દટાઈ હતી, જેમાંથી એક 30 વર્ષીય મહિલાનું મોત નિપજ્યું છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં મોડી રાતે ધોધમાર વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી, ઠેર-ઠેર પાણી ભરાયા
અમરેલીના શહેરા કાલુકાના પસનાલ ગામમાં રાત્રે વાવાઝોડાના કારણે ગ્રામજનો ચિંતામાં મૂકાયા હતાં, વાવાઝોડાના કારણે અનેક લોકોના ઘરના પતરા ઊજી ગયા હતા. પસનાલ ગામમાં એક કાચા મકાન પરથી પતરા ઊડી ગયા બાદ ભારે પવન સાથે વરસાદના કારણે દીવાલ પણ પડી ગઈ હતી. આ દરિમયાન ઘરમાં છ લોકો હતાં, જોકે તમામનો આબાદ બચાવ થયો હતો. જોકે, ઘરમાં ઘરવખરી સહિતની ચીજવસ્તુઓને ભારે નુકસાન થયું હતું. આ સિવાય ગામમાં વીજ થાંભલાઓ પણ તૂટી પડ્યા હતાં જેના કારણે ગામમા લાઈટ જતી રહી હતી. હાલ, છત છીનવાતા પરિવારમાં દુઃખની લાગણી છવાઈ છે.
નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
ઉત્તર ગુજરાતના મહેસાણામાં પણ મોડી રાત્રે વરસદાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. આ સિવાય રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. જોકે, સવાર પડતા સ્થિતિ સામાન્ય થઈ ગઈ હતી.