Get The App

ગુજરાતમાં આ વર્ષે સોળ આનીથી વધુ વરસાદ ખાબકશે, નક્ષત્રોના આધારે નવરાત્રિમાં પણ મેઘમહેરની શક્યતા

Updated: Jun 19th, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાતમાં આ વર્ષે સોળ આનીથી વધુ વરસાદ ખાબકશે, નક્ષત્રોના આધારે નવરાત્રિમાં પણ મેઘમહેરની શક્યતા 1 - image


Rain in Gujarat: ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓ અને તાલુકામાં મેઘરાજાની એન્ટ્રી થઈ ચૂકી છે. હવામાન વિભાગ દ્વારા સતત વરસાદની આગાહીઓ પણ કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતમાં વરસાદી નક્ષત્રો આદ્રાથી હસ્ત સુધીના ગણાય છે. આગામી 22 જુને સૂર્યના આદ્રા નક્ષત્રમાં પ્રવેશ સાથે ચોમાસાનો વિધિવત્ પ્રારંભ થશે અને જૈન સમાજ 22 જુનથી કેરીનો ત્યાગ કરશે. આ વર્ષે સોળ આનીથી વધુ એટલે કે, 110 ટકા વરસાદ પડશે. એટલુ જ નહિ આ વર્ષે ચોમાસમાં પણ વરસાદની શક્યતા છે.

જયોતિષશાસ્ત્રીના જણાવ્યાનુસાર, દર વર્ષે સૂર્ય 21 કે 22મી જૂને આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરે છે. આ વર્ષે આગામી તા.22ને રવિવારે સૂર્યનો આદ્રા નક્ષત્રમાં સવારે 6 કલાક અને 5 મિનિટે પ્રવેશ થશે. તે સમયની કુંડલીના આધારે લગ્નમાં સૂર્ય, બુધ, ગુરૂ અને લાભ સ્થાને ચંદ્ર છે જે સારા વરસાદના સંકેત આપે છે.

જૂનમાં શરૂઆતમાં વરસાદ પડ્યા બાદ થોડા દિવસો કોરાધાકોડ રહેશે. પછી 15 થી 21 જુલાઈ દરમિયાન ભારે વરસાદ અને વિરામ બાદ ફરી 15 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદ પડશે. ચોમાસાની વિદાય ટાણે 27 સપ્ટેમ્બરથી 15 ઓકટોબર સુધી વરસાદના યોગો છે.

પાંચમાં નોરતેથી શરદપૂનમ સુધી ભારે વરસાદના યોગ છે. ઉપરાંત, નવરાત્રિમાં માતાનું વાહન, હોળીની ઝાળ, અખાત્રિજનો પવન વિગેરેના આધારે આ વર્ષે ભરપૂર વરસાદના યોગો છે. નક્ષત્રોના વાહનો જળ, વાયુ, અનાજ વગેરેના આધારે આ વર્ષે સોળ આનીથી વધુ સારા વરસાદની સાથે આગોતરો અને પાછોતરો વરસાદ પણ સારો હોવાનું તેમણે અંતમાં ઉમેર્યું હતું.
Tags :