ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ: 10 જળાશયો છલકાતા હાઈ ઍલર્ટ, જાણો સરદાર સરોવર ડેમની સ્થિતિ
Gujarat Dam Water Status 2025 : ચાલુ વર્ષે ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થઈ ગયું છે ત્યારે રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરિણામે અમરેલી જિલ્લાના ધાતરવાડી અને સુરજવાડી, સુરેન્દ્રનગરના વાંસલ, લીમ-ભોગાવો-1 અને સબુરી, જામગનર જિલ્લાના વાઘડીયા, કચ્છના કલાઘોઘા, ભાવનગરના રોજકી તથા બગડ અને બોટાદ જિલ્લાના ભીમદાદ એમ કુલ 10 જળાશયો સંપૂર્ણ એટલે કે 100 ટકા ભરાયા છે જેથી હાઇ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 29 જળાશયો 70થી 100 ટકા વચ્ચે ભરાતાં ઍલર્ટ અને વોર્નિંગ જાહેર કરવામાં આવી છે.
આ પણ વાંચો: સુરતમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ, બે કલાકમાં 6 ઈંચ જેટલો વરસાદ ખાબકતાં ચોરેકોર જળબંબાકાર
ગત વર્ષે તેમજ ચાલુ વર્ષે પૂરતા પ્રમાણમાં વરસાદ થયો હોવાના પરિણામે હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 45.01 ટકા જળ સંગ્રહ ઉપલબદ્ધ છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં કુલ સંગ્રહશક્તિના 50.15 ટકા પાણી સંગ્રહાયેલું છે. ગત વર્ષે આ સમયે એટલે કે, તા. 23 જૂન 2024ની સ્થિતિએ રાજ્યના 207 જળાશયોમાં 38.26 ટકા જળ સંગ્રહ હતો.
વધુમાં સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં સૌથી વધુ 48.15 ટકા જળ સંગ્રહ, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 43.80 ટકા જળ સંગ્રહ, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 42.03 ટકા, ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 33.10 ટકા તેમજ કચ્છના 20 જળાશયોમાં 28.72 ટકાથી વધુ જળ સંગ્રહ ઉપલબ્ધ છે. આ સિવાય સરદાર સરોવર સહિત રાજ્યના 25 જળાશયો 50થી 70 ટકા વચ્ચે, 61 જળાશયો 25થી 50 ટકા વચ્ચે જ્યારે 82 જળાશયો 25 ટકાથી ઓછા ભરાયા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 159 તાલુકામાં ધોધમાર વરસાદ, આજે આ જિલ્લામાં યલો એલર્ટ
હાલની સ્થિતિએ સરદાર સરોવરમાં 18 હજાર ક્યુસેકથી વધુ, દમણગંગામાં 16 હજાર ક્યુસેકથી વધુ, વંથલીના ઓઝત-વિઅરમાં 13 હજાર ક્યુસેકથી વધુ તેમજ ઓઝત-વિઅરમાં 13 હજારથી વધુ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.