રક્ષક જ ભક્ષક: ગુજરાતમાં એક જ સપ્તાહમાં પાંચ પોલીસકર્મી સામે નશો, અકસ્માત અને દુષ્કર્મ સહિતના આરોપ
Gujarat Police News: ગુજરાતમાં સતત વધતો ગુનાખોરીનો ગ્રાફ રાજ્યમાં સુરક્ષાના દાવાઓને પોકળ સાબિત કરી રહ્યો છે. હત્યા, લૂંટ, દુષ્કર્મ, છેડતી, હિટ એન્ડ રન અને નશાની હાલતમાં વાહન ચલાવી અકસ્માત સર્જવાની ઘટનાઓ ગુજરાતની પ્રજા માટે સામાન્ય બની ગઈ છે. ખાસ કરીને અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત જેવા મોટા શહેરોમાં તો જાણે આવા ગુનાઓ રોજિંદા બની ગયા છે. પરંતુ સૌથી ચોંકાવનારી અને શરમજનક બાબત એ છે કે છેલ્લા એક અઠવાડિયામાં ગુજરાત પોલીસના જ કર્મચારીઓએ ખાખી વર્દીને કલંકિત કરી છે. પ્રજાના રક્ષક કહેવાતા જ કેટલાક પોલીસકર્મીઓ ભક્ષક બન્યા હોય તેવું ચિત્ર ઊભું થયું છે.
જેમાં આજે અમદાવાદમાં પોલીસકર્મીએ બેફામ કાર હંકારી ત્રણ લોકોને ઇજા પહોંચાડતી હતી. જ્યારે અમરેલીના બે પોલીસકર્મીઓ સામે દૂષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. એક પોલીસકર્મીએ 14 વર્ષની સગીરા સાથે જ્યારે અન્ય એક પોલીસકર્મીએ 30 વર્ષની મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તો બીજી તરફ વડોદરામાં થોડા દિવસ અગાઉ એક પીએસઆઈએ નશાની હાલતમાં ડ્રાઇવિંગ કરી ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. આ ઘટનાના બે દિવસ બાદ અકસ્માત સર્જનાર પીએસઆઈ વાય.એચ. પઢિયારને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા હતા. સરકારના સુરક્ષાના તમામ દાવા પોકળ સાબિત થઇ રહ્યા છે. ભાજપના રાજમાં કાયદો વ્યવસ્થા જાણે પડી ભાંગી હોય તેવુ ચિત્ર ઊપસ્યું છે. છતાં સરકારના પેટનું પાણીય હલતું નથી.
આ પણ વાંચો: અમદાવાદના રાણીપમાં પોલીસકર્મીએ બેફામ કાર હંકારી એકથી વધુ વાહનોને અડફેટે લીધા, 3 ઈજાગ્રસ્ત
પોલીસકર્મીઓ જ તોડી રહ્યા છે કાયદો
આજે અમદાવાદના રાણીપ વિસ્તારમાં માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી યુવરાજ સિંહ એ બેફામ કાર હંકારી એકથી વધુ વાહનોને અડફેટે લીધા હતા, જેમાં ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાના દ્રશ્યો પણ સામે આવ્યા છે, જેમાં લોકોએ અકસ્માત સર્જનાર પોલીસકર્મીને મેથીપાક ચખાડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદમાં પોલીસની દાદાગીરી
અમદાવાદમાં પોલીસકર્મીએ જ બેફામ કાર હંકારતાં એકથી વધુ વાહનોને અડફેટે લીધા હોવાની ઘટના બાદ હવે અમદાવાદ પોલીસની દાદાગીરીનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં 2 પોલીસકર્મીઓ નિર્દયતાપૂર્વક યુવકને લાકડી વડે માર મારતાં નજરે પડે છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ દ્વશ્યો દીવાન બલ્લુભાઇ રોડ પરના હોવાનું કહેવામાં આવી રહ્યું છે. યુવક રોંગ સાઇડમાં આવતો હોવાથી પોલીસે લાતો અને લાકડી વડે માર માર્યો હતો. વીડિયો જોઇ શકાય છે કે પોલીસકર્મીઓ સત્તાનો દુરઉપયોગ કરી પોતાનો પાવર બતાવી રહ્યા છે. સામાન્ય બાબતે યુવકને ઢોર માર મારવામાં આવતાં શહેરોજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
અમરેલીમાં પોલીસકર્મી બન્યા દુષ્કર્મી: એક જ દિવસમાં બે ઘટનાઓ:
ગુજરાત પોલીસની છબીને કલંકિત કરતી અત્યંત શરમજનક અને ઘૃણાસ્પદ ઘટના અમરેલી જિલ્લામાં સામે આવી છે. 30મી મેના રોજ અમરેલી અને બાબરા પોલીસ કર્મચારીઓ સામે બળાત્કારની ફરિયાદો નોંધાતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે. બાબરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી રવિરાજસિંહ ચૌહાણ એ 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
આ નરાધમ પોલીસકર્મી છેલ્લા ચાર મહિનાથી સગીરા સાથે શારીરિક અડપલાં કરી રહ્યો હતો અને તેની સાથે શારીરિક સંબંધો બાંધતો હતો. સગીરાના પિતાની ફરિયાદના આધારે, રવિરાજસિંહ ચૌહાણ વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં અપહરણ, પોક્સો (POCSO) અને દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગંભીર ગુનો નોંધવામાં આવ્યો છે. ગુનો નોંધાયા બાદથી આરોપી પોલીસકર્મી ફરાર છે.
આ પણ વાંચો: અમરેલીમાં ખાખીને કલંકિત કરતી ઘટના: પોલીસકર્મીએ સગીરા સાથે આચર્યું દુષ્કર્મ, ફરિયાદ બાદ રવિરાજસિંહ ફરાર
અમરેલીમાં પોલીસકર્મી વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ
એક જ દિવસમાં અમરેલી પંથકમાં બીજી એક દુષ્કર્મની ફરિયાદ અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા મહેશ સોલંકી નામના પોલીસ કર્મચારી વિરુદ્ધ 30 વર્ષીય મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. મહેશ સોલંકી લગ્નની લાલચ આપીને મહિલા સાથે બળજબરીપૂર્વક અવારનવાર શારીરિક સંબંધ બાંધતો હતો. મહિલાની ફરિયાદના આધારે બળાત્કારનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ મહેશ સોલંકી પણ ફરાર છે. પોલીસે ખાખી વર્દીને કલંકિત કરનાર આ બંને પોલીસકર્મીઓને ઝડપી પાડવા માટે સઘન કવાયત હાથ ધરી છે. આ ઘટનાઓએ કાયદાના રક્ષકો પર જ ગંભીર સવાલો ઉભા કર્યા છે અને સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
વડોદરામાં નશામાં ધૂત PSI એ સર્જ્યો અકસ્માત
વડોદરાના છાણી બ્રિજ પાસે 24મી મેના રોજ રાત્રે કારેલીબાગ વિસ્તારમાં બનેલી ઘટના જેવી જ એક ઘટના બનતા રહી ગઈ હતી. એક કાર ચાલકે કોઇ GST એડિશનલ કમિશનરની કાર, બે મહિલા પોલીસકર્મીની એક્ટિવા અને અન્ય એક યુવકની એક્ટિવા એમ ત્રણ વાહનોને અડફેટમાં લીધા હતા. સદનસીબે તમામનો બચાવ થયો હતો. આ ઘટના બાદ નર્મદા જિલ્લા SPએ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયેલા અને અકસ્માત સર્જનાર PSI વાય.એચ. પઢિયાર ને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા હતા.
દારૂબંધીના લીરેલીરા અને કાયદો વ્યવસ્થા પર સવાલો
ગુજરાતમાં જે પ્રકારે ખાખી વર્દીધારકો કાયદાનો ભંગ કરીને અકસ્માત અને દુષ્કર્મ જેવા ગુનાઓ આચરી રહ્યા છે તેને જોતા લાગે છે કે સામાન્ય જનતા ક્યાંય સુરક્ષિત નથી. જેમને જનતાની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે તે લોકો દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂ પીને અકસ્માતો સર્જે છે, જેનાથી દારૂબંધીના લીરેલીરા ઉડી રહ્યા છે. જાણે ખાખી વર્દી ધારણ કરતા જ જનતાના સેવકોને કાયદો તોડવાનું અને ગુના આચરવાનું લાઇસન્સ મળી જતું હોય તેમ વર્તે છે. ઘણીવાર નિર્દોષ જનતાને વર્દીનો પાવર બતાવી ખોટી રીતે હેરાન-પરેશાન કરતા હોવાના પણ કિસ્સાઓ સામે આવે છે. પોલીસ ખાતા તરફથી પણ આવા કિસ્સાઓમાં માત્ર થોડા સમય માટે સસ્પેન્ડ કરીને મામલો શાંત પાડી દેવામાં આવે છે.
કાયદો વ્યવસ્થા જાળવનારાઓ કરી રહ્યા છે કાયદાનો ભંગ
સરકારના સુરક્ષાના તમામ દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. ભાજપના રાજમાં કાયદો વ્યવસ્થા જાણે પડી ભાંગી હોય તેવું ચિત્ર ઉપસ્યું છે, છતાં સરકારના પેટનું પાણી પણ હલતું નથી. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે, પોલીસકર્મીઓ જ નશાની હાલતમાં અકસ્માતો સર્જી રહ્યા છે અને દુષ્કર્મ જેવા ઘૃણાસ્પદ ગુનાઓ આચરી રહ્યા છે, ત્યારે ગૃહમંત્રી આવા કર્મચારીઓ વિરુદ્ધ કડક પગલાં ભરશે કે કેમ? આવા પોલીસકર્મીઓએ દારૂબંધીને મજાક બનાવી દીધી છે, ત્યારે તેમના વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવે છે તે તો આગામી સમય જ બતાવશે.