દર ચોથો ગુજરાતી મેદસ્વી, સુરત-અમદાવાદમાં સૌથી વધુ લોકો 'સ્થૂળ', જાણો શું છે કારણો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Obesity: ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં ‘મેદસ્વિતા મુક્તિ અભિયાન' શરૂ કરવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં યુવા વયે જ હૃદયની સમસ્યા, ડાયાબિટિસ, બ્લડપ્રેશરના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. આ તમામ પૈકીના મોટાભાગના કેસના મૂળમાં મેદસ્વિતાનું પરિબળ જવાબદાર હોય છે. ગુજરાતમાં હાલ પ્રતિ 100માંથી 23 પુરુષ અને 20 મહિલા મેદસ્વી છે.
વધુ વજન અને સ્થૂળતાના કારણે થતી સ્વાસ્થ્ય સમસ્યાઓ
ગુજરાત સરકાર દ્વારા યોગના માધ્યમથી 10 લાખ નાગરિકોનું 10 કિલો વજન ઘટાડવા માટેની જાહેરાત કરવામાં આવી છે. જાણકારોના મતે વધુ પડતું વજન હોવું અથવા સ્થૂળ હોવું તે આરોગ્ય પર ગંભીર પ્રભાવ ધરાવી શકે છે. તેનાથી હૃદય રોગ, સ્ટ્રોક, ટાઈપ 2 ડાયાબીટીસ, ઓસ્ટિયોઆર્થાઇટિસ, કેન્સર વગેરે જેવાં ગંભીર આરોગ્યનાં પરિણામો પેદા થઈ શકે છે. આ સ્થિતિઓ અકાળે મૃત્યુ અને વિકલાંગતા પેદા કરી શકે છે.

જીવનશૈલી અને સામાજિક પરિબળો
સ્થૂળતાથી પીડાતી વ્યક્તિ માટે 'આળસુ' , 'સ્વ-નિયંત્રણનો અભાવ' જેવી ઉપમા આપવામાં આવે છે. જોકે, સ્થૂળતા માટે આનુવંશિક, વિકારી ઉપાપચય, હોર્મોનમાં અસંતુલન, અમુક દવાઓની આડઅસરો પણ જવાબદાર હોય છે. આ પરિબળો વ્યક્તિઓના નિયંત્રણની બહારના છે. અલબત્ત, હાલ યુવા વયે મેદસ્વિતાના જે કેસમાં વધારો થઈ રહ્યો છે તેના માટે લાઇફસ્ટાઇલ વિલનની ભૂમિકામાં છે. જંકફૂડ, બેઠાડુ જીવન, કસરત-વોકિંગથી દૂર રહેવું જેવી બાબતોથી મેદસ્વિતાના કેસ વધે છે. ગુજરાતમાં 15થી 49 વયના અંદાજે 21.49 લાખ લોકો મેદસ્વિતાનો શિકાર છે.

સ્થૂળતાથી બચવાના ઉપાયો અને ગુજરાતમાં તેની સ્થિતિ
ડૉક્ટરોના મતે મેદસ્વિતા વધુ મોટું જોખમ સર્જે એ પહેલા દરેકે ચેતવું જરૂરી છે. સંતુલિત આહાર, નિયમિત કસરત, પૂરતી ઉંઘ, વધુ પાણી પીવું, માનસિક આરોગ્યનું ધ્યાન રાખવું જેવા પરિબળોથી મેદસ્વિતાને દૂર રાખી શકાય છે. ખાધેપીધે સુખી ગણાતા ગુજરાતીઓમાં મેદસ્વિતાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ઓબેસિટીની સારવાર સાથે સંકળાયેલા લોકોના મતે મેદસ્વિતાની સારવાર કરાવનારા લોકોમાં છેલ્લા કેટલાક સમયમાં 10%નો વધારો થયો છે. મોટાભાગના દર્દી 30થી 45ની વયના હોય છે. ઓબેસિટીની સારવાર કરાવવામાં મહિલાનું પ્રમાણ વધારે જોવા મળે છે.

આ પણ વાંચો: તમે અક્ષમ છો, ડેડલાઈન આપી તોય ચૂંટણી કેમ ના કરાવી? EC પર ભડક્યાં સુપ્રીમ કોર્ટના જજ
મેદસ્વિતા છે કે કેમ તે કઈ રીતે નક્કી કરવામાં આવે છે?
મેદસ્વિતા નક્કી કરવા માટે ‘બોડી માસ ઈન્ડેક્સ' એટલે કે બીએમઆઈ મહત્ત્વનું માપદંડ છે. બીએમઆઈ માપવા માટે વજન અને ઊંચાઈ બંને શારીરિક પરીમાપનોની જરૂર પડે છે. વ્યક્તિનું વજન કિલોગ્રામમાં જ્યારે ઉંચાઈને મીટરમાં નોંધવામાં આવે છે. વ્યક્તિના વજનને વ્યક્તિની ઊંચાઈના વર્ગ દ્વારા ભાગવામાં આવે છે. આ પછી જે આંક મળે તેને બીએમઆઈ તરીકે ઓળખવામાં આવે છે. બે વ્યક્તિનું વજન સમાન હોય તો પણ બીએમઆઈ અલગ-અલગ આવતું હોય છે. લોકો પોતાનું વજન તો માપી લે છે પરંતુ બીએમઆઈ નહીં માપતા હોવાને લીધે પોતાનું વજન ખરેખર કેટલું હોવું જોઈએ અને વજન સપ્રમાણ છે કે નહીં તે બાબતે અસ્પષ્ટ રહે છે.









