Get The App

બાંગ્લાદેશથી 11 વર્ષની સગીરાનો અમદાવાદમાં 40 હજારમાં કર્યો સોદો! ચોકલેટની લાલચ આપી કર્યું હતું અપહરણ

Updated: Mar 23rd, 2025

GS TEAM

Google News
Google News
બાંગ્લાદેશથી 11 વર્ષની સગીરાનો અમદાવાદમાં 40 હજારમાં કર્યો સોદો! ચોકલેટની લાલચ આપી કર્યું હતું અપહરણ 1 - image

Bangladeshi Minor Girl Trafficking: બાંગ્લાદેશમાં રહેતી 11 વર્ષની સગીરાને કોલકાતાથી દલાલોએ ચોક્કસ નેટવર્ક મારફતે અમદાવાદ લાવીને દેહ વ્યાપારમાં ધકેલી દેવામાં આવી હતી. દેહ વ્યાપારનું નેટવર્ક ધરાવતા દલાલ મારફતે નારોલમાં 40 હજાર રૂપિયામાં તેનો સોદો કરી દેવાયો હતો. આ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને કેટલીક ચોંકાવનારી વિગતો મળી છે. જેમાં સગીરાનો સોદો કરનાર ગેંગ દ્વારા બાંગ્લાદેશથી 50 જેટલી સગીરાઓનું અપહરણ કરીને ગુજરાતમાં લાવી દેહવ્યાપારના ધંધામાં ધકેલી દેવામાં આવી હતી. આ ઉપરાંત, ચાંદલોડિયા વિસ્તારમાં સગીરાને છુપાવનાર આરોપી અંગે પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે. 

મોટા દલાલો અંડર ગ્રાઉન્ડ

કેસની તપાસમાં પોલીસને જણવા મળ્યું હતું કે, ચાંદલોડિયામાં ચોક્કસ વિસ્તારમાં મોટા પ્રમાણમાં બાંગ્લાદેશી તેમજ દેશના અન્ય રાજ્યોની યુવતીઓને લાવીને તેમને એજન્ટો દ્વારા દેહવ્યાપારના સોદા કરવામાં આવતાં હતા. જોકે,  ક્રાઇમ બ્રાન્ચના દરોડા બાદ અનેક મોટા દલાલો અંડર ગ્રાઉન્ડ થઈ ગયા છે.

આ પણ વાંચોઃ રેલવે વર્કશોપના ઓ.એસ.ના આત્મહત્યા પ્રકરણે હેડક્વાર્ટરથી તપાસ સમિતિ આવી

બાંગ્લાદેશની સગીરાનું અપહરણ કરી દેહવ્યાપારમાં ધકેલી

ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોના કેટલાંક શહેરોમાં દેહવ્યાપારમાં સગીરાઓની ડિમાન્ડ વધારે રહે છે. તેથી, બાંગ્લાદેશથી અપહરણ કરીને કોલકાતાના માર્ગે ભારતમાં લાવીને દલાલોના નેટવર્કથી અલગ-અલગ શહેરમાં પહોંચતી કરવામાં આવે છે. ત્યારે સગીરાઓનું શારીરિક શોષણ કરીને નાણાંની કમાણી કરવા માટે દલાલો બે પ્રકારની ડીલથી કામ કરે છે. જેમાં સગીરાઓને દેહવ્યાપાર માટે તેમના જાણીતા લોકોને એક મહિનાની ડીલથી આપવામાં આવે છે. જેમાં એક લાખ રૂપિયા સુધીનો સોદો કરવામાં આવે છે. આ સોદામાં એક મહિના સુધી સગીરાને સાચવવાની જવાબદારી તેને લઈ જનારની રહે છે અને તે એક મહિના સુધી સગીરાનો દેહવ્યાપારમાં ઉપયોગ કરીને એક મહિના બાદ પરત કરે છે. જ્યારે કાયમી સોદાની રકમ 10 લાખ સુધી હોય છે. જેમાં સગીરાને લઈને તેને ચોક્કસ જગ્યાએ કાયમ માટે રાખવામાં આવે છે. ત્યારે નારોલમાં મળી આવેલી સગીરાનો સોદો 40 હજારમાં નહીં પણ વધારે રકમ થવાની શક્યતા છે.

ચોકલેટની લાલચ આપી ભારત લાવવામાં આવી

બાંગ્લાદેશથી સગીરાને આશરે એક વર્ષ પહેલાં ચોકલેટની લાલચ આપીને નિઝામ અને હસીના નામના દંપતિએ તેનું અપહરણ કરીને જંગલ માર્ગે કોલકાતા લાવ્યા હતાં. બાગમાં ત્યાંથી તેને ગુજરાતમાં સક્રિય ગેંગ દ્વારા અમદાવાદના ચાંદલોડિયામાં લાવવામાં આવી હતી. 

આ પણ વાંચોઃ મહુવામાં બાળકોના નવા આધારકાર્ડ કાઢવાની કામગીરી એક વર્ષથી બંધ

ત્યારબાદ, તેની સાથે કેટલાંક લોકો સાથે દેહનો સોદો કરાવ્યો હતો અને નારોલમાં રહેતી સુલતાનસિંઘે 40 હજાર રૂપિયામાં સોદો કરી તેને નારોલ રંગોલીનગર ખાતે રાખીને તેને ચોક્કસ ગ્રાહકો પાસે મોકલવામાં આવતી હતી. જેના બદલામાં સુલતાનસિંઘ તગડા રૂપિયા વસુલતી હતી. ત્યારે સુલતાનસિંઘે હ્યુમન ટ્રાફિકિંગ દ્વારા લાવવામાં આવેલી યુવતીઓ અને સગીરાઓને ખરીદીને દેહવ્યાપારનું મોટું નેટવર્ક ચલાવ્યું હતું.