ગુજરાતનાં વિવિધ ભાગોમાં થશે મેઘમહેર, જાણો હવામાન વિભાગની વિસ્તૃત આગાહી
ગાંધીનગર, 15 જુલાઇ 2021 ગુરૂવાર
હવામાન વિભાગ દ્વારા વરસાદને અંગે મહત્વની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી ૩ દિવસ સુધી રાજ્યમાં સારો વરસાદ પડશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઇ છે. સમુદ્ર તટે તેજ પવન ફૂંકાઇ શકે છે. અમદાવાદમાં વરસાદી ઝાપટું પડી શકે.
દક્ષિણ ગુજરાતમાં આજે અને કાલે પડશે. જો કે, મધ્ય ગુજરાતમાં છુટા છવાયો વરસાદ થઇ શકે. જ્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાં સારો વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંદરો પર 3 નંબરના ભયજનક સિગ્નલ લગાવાયા છે.
હવામાન વિભાગના મતે આજે વલસાડ, દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ, નવસારી, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. તો શુક્રવારે છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, પોરબંદર, દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આગામી બે દિવસ અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
ગુજરાતમાં આજે સવારે 6 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધીમાં 29 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ અમરેલીના રાજુલા તાલુકામાં પડ્યો છે. અહીં અડધો ઈચ વરસાદ પડ્યો છે. બનાસકાંઠામાં પણ આખરે મેઘરાજાની પધરામણી થઈ છે. ધાનેરા તાલુકાના સરહદીય વિસ્તારના ગામડામાં મેઘમહેર થઈ છે. ડીસા, ધાનેરા, દિયોદર, પાંથાવાડા સહિતમાં વરસાદી માહોલ છે. પવન અને વીજળીના ચમકારા સાથે વરસાદી માહોલ સર્જતાં વાતાવરણમાં ઠડક પ્રસરી છે.