Get The App

ગુજરાતમાં મેઘમહેર યથાવત: સરદાર સરોવર ડેમ 90 ટકા ભરાયો, આ જિલ્લાના ગામો એલર્ટ કરાયા

Updated: Sep 4th, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાતમાં મેઘમહેર યથાવત: સરદાર સરોવર ડેમ 90 ટકા ભરાયો, આ જિલ્લાના ગામો એલર્ટ કરાયા 1 - image


Sardar Sarovar Dam News : રાજ્યમાં આ વર્ષે ચોમાસુ મન મૂકીને વરસ્યું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 92 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે, જેના પરિણામે જળાશયોમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. રાજ્યના 82 ડેમ 100 ટકાથી વધુ ભરાઈ ગયા છે, જ્યારે 113 ડેમ હાઈએલર્ટ પર મૂકવામાં આવ્યા છે અને 68 ડેમ 70 થી 100 ટકાની વચ્ચે ભરાયા છે. ત્યારે ગુજરાતની જીવાદોરી ગણાતા સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે.

ઉપરવાસમાંથી પાણીની ભારે આવકને કારણે નર્મદા ડેમમાં 4 લાખથી વધુ ક્યુસેક પાણીની આવક થઇ છે. ગત 24કલાકમાં ડેમની સપાટીમાં 10 સેમીનો વધારો થયો છે. હાલમાં ડેમની જળસપાટી 135.58 મીટર પર પહોંચી છે, જે ડેમની મહત્તમ સપાટી 138.68 મીટરની નજીક છે. હાલ ડેમમાં 89.75 ટકા પાણીનો સંગ્રહ થયો છે.

પાણીનું લેવલ જાળવી રાખવા માટે ડેમમાંથી 23 હજાર ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. આ વર્ષમાં ત્રીજી વખત ડેમના 15 દરવાજા 2.45 મીટર સુધી ખોલવામાં આવ્યા છે.

ડેમમાંથી પાણી છોડવામાં આવતા ભરૂચ, વડોદરા અને નર્મદા જિલ્લાના નદી કિનારે આવેલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે ખસી જવા અને સાવચેતી રાખવા માટે સૂચના આપવામાં આવી છે.


Tags :