કૂતરું કરડવાના કેસ મામલે ગુજરાત ટોપ 5 રાજ્યમાં, રોજના 700થી વધુ કેસથી ફફડાટ
Gujarat Dog Bite Cases: તાજેતરમાં ઉત્તર પ્રદેશમાં કૂતરું કરડવાથી હડકવા થયા બાદ રાજ્યકક્ષાના કબડ્ડી પ્લેયરનું મૃત્યુ થયું હતું. બીજી તરફ કેરળમાં કૂતરું કરડવાથી બે બાળકોએ જીવ ગુમાવ્યો હતો.ગુજરાતમાં શ્વાન કરડવાના કેસમાં ચિંતાજનક રીતે વધાર થઈ રહ્યો છે. દર વર્ષે શ્વાન કરડવાના 2.41 લાખથી વધુ કેસ સામે આવે છે. આમ દરરોજ સરેરાશ 700થી વધુ લોકો શ્વાન કરડવાની સમસ્યાનો શિકાર બને છે.
અસારવા સિવિલ હોસ્પિટલમાં એનિમલ બાઈટના 29,000થી વધુ કેસ
અમદાવાદમાં પણ પણ કૂતરું કરડવાના કેસમાં વધારો જોવા મળ્યો છે. અસારવા સિવિલ હોસ્પિટલમાં એનિમલ બાઈટના 2023થી મે 2025 સુધી 29,000થી વધુ કેસ નોંધાયા છે. આમ, પ્રતિ દિવસે સિવિલમાં કૂતરું કરડવાની સમસ્યા સાથે સરેરાશ 33 દર્દી નોંધાયા છે. અસારવા સિવિલ હોસ્પિટલમાં સુપ્રિટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું કે, 'એનિમલ બાઇટના જે પણ કેસ નોંધાયા છે. તેમાંથી 95% ડોગબાઇટને લગતા હોય છે. આ સમયગાળામાં જૂના-નવા કેસ મળીને 17789 પુરુષ, 5696 મહિલા અને 5721 બાળકોને પ્રાણી કરડવાની સારવાર આપવામાં આવી છે. પ્રાણી કરડતા જ તેને નજરઅંદાજ કર્યા વગર તાકીદે ડૉક્ટરની સલાહ લેવી હિતાવહ છે.
હડકવા કૂતરા, બિલાડી, વાંદરા અથવા ચામાચીડિયા દ્વારા ફેલાય છે
ડૉક્ટરોના મતે આ 'હડકવા' નામના, વાઈરસથી થતો રોગ છે. હડકવાના વાઇરસ ચેપગ્રસ્ત પ્રાણીની લાળમાં હોય છે. હડકવા કૂતરા, બિલાડી, વાંદરા અથવા ચામાચીડિયા દ્વારા ફેલાય છે, પરંતુ હડકવાના ૯૦%થી વધુ કેસ કૂતરા કરડવાથી થાય છે. જ્યારે કોઈ વ્યક્તિ આ વાઈરસથી સંક્રમિત થાય છે ત્યારે તેને હડકવા થાય છે.
હડકવાના કારણે વ્યક્તિ લકવાગ્રસ્ત થઈ શકે છે કે કોમામાં પણ જઈ શકે છે
હડકવાના વાઈરસની શરીર પર શી અસર થાય છે? તેના જવાબમાં ડૉક્ટરોના મતે શરીરમાં પ્રવેશ્યા પછી વાઈરસ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પર હુમલો કરે છે અને 3થી 12 અઠવાડિયામાં મગજ અને કરોડરજ્જુ સુધી પહોંચે છે. મગજમાં પહોંચ્યા પછી વાઈરસ ઝડપથી ફેલાવા લાગે છે. આ પછી દર્દી લકવાગ્રસ્ત થઈ શકે છે, ઘણીવાર તો વ્યક્તિ કોમામાં જઈ શકે છે અને અંતે મૃત્યુ પામે છે. ક્યારેક હડકવાનાં લક્ષણો દેખાવામાં એક વર્ષ કે તેથી વધુ સમય લાગે છે.