Gujarat

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર રોક લગાવવાની માંગ કરતી અરજી હાઇકોર્ટે ફગાવી

By GS TEAM
27 Mar 20262 mins read
TukuTouch Logo
ગુજરાત હાઇકોર્ટે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીઓ પર સ્ટે મૂકવાની માંગને નામંજૂર કરી છે. આ ચૂંટણીઓમાં 16 મહાનગરપાલિકા, 86 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 261 તાલુકા પંચાયતનો સમાવેશ થાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર રોક લગાવવાની માંગ કરતી અરજી હાઇકોર્ટે ફગાવી

Gujarat High Courts: ગુજરાત હાઇકોર્ટે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીઓ પર સ્ટે મૂકવાની માંગને નામંજૂર કરી છે. આ ચૂંટણીઓમાં 16 મહાનગરપાલિકા, 86 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 261 તાલુકા પંચાયતનો સમાવેશ થાય છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર સ્ટે મૂકવાની હાઇકોર્ટમાં અરજી થઈ હતી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર સ્ટે મૂકવામાં આવે તેવી પાથુજી છગાજી ઠાકોર નામના વ્યક્તિએ તેમના વકીલ હર્ષ કે. રાવલ મારફતે હાઇકોર્ટમાં અરજી કરી હતી. અરજીમાં ગુજરાત લોકલ ઓથોરિટીઝ કાયદા(સંશોધન) અધિનિયમ-2023ની બંધારણીય માન્યતા પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો. આ અધિનિયમ મુજબ રાજ્યની તમામ સ્થાનિક સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગો(OBC) માટે 27% અનામતનો પ્રાવધાન કરવામાં આવ્યો છે.

અરજદાર તરફથી દલીલ કરવામાં આવી હતી કે, રાજ્ય સરકારે 13 એપ્રિલ, 2023ના રોજ સમર્પિત આયોગ દ્વારા રજૂ કરાયેલા અહેવાલની ભલામણોને અમલમાં મૂક્યા વગર આ સુધારો કર્યો હતો. આ આયોગનું અધ્યક્ષપદ પૂર્વ ઓરિસ્સા હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ કે. એસ. ઝવેરીએ સંભાળ્યું હતું. આ પગલું સુપ્રીમ કોર્ટના કે. કૃષ્ણ મૂર્તિ વિ. યુનિયન ઓફ ઇન્ડિયા અને વિકાસ કિશનરાવ ગાવલી વિ. મહારાષ્ટ્ર રાજ્ય કેસોમાં નક્કી કરાયેલા સિદ્ધાંતોના વિરુદ્ધ છે.

આ ચુકાદાઓ મુજબ 'ટ્રિપલ ટેસ્ટ'નો અમલ આવશ્યક છે, જેમાં (1) પ્રાયોગિક માહિતી એકત્ર કરવા માટે સમર્પિત આયોગની રચના, (2) સ્થાનિક સંસ્થાઓ મુજબ અનામતનું પ્રમાણ નક્કી કરવું અને (3) કુલ અનામત 50%થી વધુ ન થવું જોઈએ.

રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ સાથે વિનય વિશેન (એજીપી) દલીલ કરી હતી કે, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સમયસર ચૂંટણી લોકશાહીની મૂળભૂત આવશ્યકતા છે અને તેને અટકાવી શકાય નહીં.

આ પણ વાંચો: ગુજરાત વહીવટી તંત્રમાં મોટા ફેરફાર: IAS, GAS અને મહેસૂલ વિભાગમાં મોટાપાયે બદલી-બઢતી

રાજ્ય સરકારે વધુમાં જણાવ્યું હતું કે, અગાઉના આયોગનો અહેવાલ જાહેર કરવામાં આવ્યો નથી. કારણ કે તે બંધારણીય માપદંડોને અનુરૂપ નહોતો. તેમજ 04 સપ્ટેમ્બર, 2025ના ઠરાવ દ્વારા પૂર્વ હાઇકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ બી. એન. કારિયા અધ્યક્ષતામાં નવો સમર્પિત આયોગ રચવામાં આવ્યો છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ, મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલ અને ન્યાયમૂર્તિ ડી. એન. રેની ખંડપીઠે ચૂંટણી પર સ્થગિતી મૂકવાની માંગને નામંજૂર કરી હતી. આ મામલે આગળની સુનાવણી ઓગસ્ટ 2026માં રાખવામાં આવી છે.