Get The App

પ્રત્યેક નાગરિકને ચૂંટણી પ્રક્રિયા અને મતદાનમાં ભાગ લેવાનો અધિકાર : SIR અંગે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો

Updated: Apr 9th, 2026

GS TEAM

Google News
Google News
પ્રત્યેક નાગરિકને ચૂંટણી પ્રક્રિયા અને મતદાનમાં ભાગ લેવાનો અધિકાર : SIR અંગે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો 1 - image

High Court verdict on Democracy: ગુજરાત હાઇકોર્ટએ એક પુરુષ મતદારનું નામ વિધાનસભા મતવિસ્તારની મતદાર યાદીમાં સામેલ કરવા ચૂંટણી અધિકારીઓને આદેશ કર્યો હતો અને સ્પષ્ટપણે ઠરાવ્યું હતું કે, પ્રત્યેક નાગરિક (રહેવાસી)ને ચૂંટણી પ્રક્રિયામાં એટલે કે, મતદાનમાં ભાગ લેવાનો અધિકાર છે. જસ્ટિસ એન.એસ.સંજય ગૌડા અને જસ્ટિસ જે.એલ. ઓડેદરાની ખંડપીઠે જણાવ્યું હતું કે, ટેકનીકલ કારણોસર મતદારને મતદાનમાં ભાગ લેવાના અધિકારથી વંચિત રાખી શકાય નહીં. આમ, SIR મામલે હાઈકોર્ટએ નાગરિકોના લોકતાંત્રિક અધિકારોનું રક્ષણ કરતો આ મહત્ત્વનો ચુકાદો આપ્યો છે.

લોકશાહીમાં દરેક નાગરિકની ભાગીદારી જરૂરી

રાજ્ય ચૂંટણી પંચ અને સત્તાવાળાઓએ એ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે, સ્થાનિક સ્વરાજ્યના દરેક રહેવાસીને ચૂંટણી પ્રક્રિયામાં એટલે કે, મતદાનમાં ભાગ લેવાનો અધિકાર છે, તેમાં શરત માત્ર એટલી જ છે કે, તે મતદાર યાદીમાં સમાવિષ્ટ હોવો જોઈએ.

વિધાનસભા યાદીમાં ફેરફાર પછી અરજદારને લાભ

હાઈકોર્ટે વધુમાં એમ પણ જણાવ્યું કે, મતદાર યાદીનું સંચાલન કરવાની રીત નિયમો દ્વારા નિયંત્રિત થાય છે. જોકે, એકવાર વિધાનસભા મત વિસ્તારની મતદાર યાદીમાં સુધારો થઈ જાય પછી અરજદારને નિયમો-1994 હેઠળ પ્રકાશિત અંતિમ યાદીમાં તેનું નામ સામેલ કરી તેનો લાભ આપવો જોઈએ.

તંત્રની ટેકનિકલ ભૂલ

મતદાર યાદીમાંથી કમી કરી દેવાયેલા એક નાગરિકે ચૂંટણી પંચ સત્તાવાળાઓના નિર્ણયને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જેમાં હાઈકોર્ટે કેસની હકીકતોની નોંધ લેતાં જણાવ્યું કે, રેકોર્ડ પરથી સ્પષ્ટ થાય છે કે, અરજદારનું નામ સંબંધિત વિધાનસભા મત વિસ્તારની મતદાર યાદીમાં અગાઉ હતું પરંતુ તેમણે પોતાનું રહેઠાણ બદલ્યું હોવાથી તેમનું નામ કાઢી નાંખવામાં આવ્યું હતું. જોકે, બાદમાં તા. 3-3-2026 દ્વારા સંબંધિત અધિકારી દ્વારા નિયમો 1994ના નિયમ-4 હેઠળ અરજદારનું નામ સામેલ કરવાની અરજી સ્વીકારી હતી પરંતુ મતદાર યાદીમાં તેમનું નામ ઉમેરવામાં આવ્યું નથી.

આ પણ વાંચો: નર્મદા પરિક્રમા પૂર્ણ કર્યા બાદ અમદાવાદના યુવકનું મોત, ઘાટલોડિયામાં કોચિંગ ક્લાસ ચલાવતા હતા

પ્રારંભિક યાદીના બહાને નાગરિકને મતાધિકારથી વંચિત ન રખાય

રાજ્ય ચૂંટણી પંચે દલીલ કરી કે, પ્રારંભિક મતદાર તૈયાર કરવાનો આધાર ભારતના ચૂંટણી પંચ દ્વારા તા. 17-2-2026ના રોજ મતદાર યાદીનું પ્રકાશન હતું અને રાજ્ય ચૂંટણી પંચ તે મતદાર યાદીનું પાલન કરવા બંધાયેલ હતી. જેથી હાઈકોર્ટે ચૂંટણી પંચને સુણાવ્યું કે, આ દરખાસ્ત કે પ્રકાશન બાબતે કોઇ વિવાદ નથી પરંતુ જયારે અરજદારનું નામ મતદાર તરીકે સામેલ કરવાની અરજી એક વખત સ્વીકારાઈ હોય પછી નિયમો-1994ના નિયમ-4 હેઠળ તા. 23-03-2026ના રોજની પ્રારંભિક યાદીનું પ્રકાશન ગૌણ બની જાય છે. કેન્દ્રીય ચૂંટણી પંચની મતદાર યાદીનો આધાર આગળ ધરી ટેકનીકલ કારણોસર અરજદારને ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવાના મતાધિકારથી વંચિત રાખી શકાય નહી. હાઈકોર્ટે રાજય ચૂંટણી પંચની દલીલો ફગાવી અરજદાર નાગરિકની રિટ અરજી મંજૂર રાખતાં તેમનું નામ આગામી તા. 10-04-2026ના રોજ પ્રકાશિત થનારી મતદાર યાદીમાં પ્રસિદ્ધ થાય તે પ્રમાણે તેમનું નામ મતદાર યાદીમાં સામેલ કરવા ચૂંટણી અધિકારીને હુકમ કર્યો હતો.

પ્રત્યેક નાગરિકને ચૂંટણી પ્રક્રિયા અને મતદાનમાં ભાગ લેવાનો અધિકાર : SIR અંગે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો 2 - image