ગુજરાતના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી, એકસાથે 4 વરસાદી સિસ્ટમ એક્ટિવ
Gujarat IMD Forecast: ગુજરાત રાજ્યમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે, કારણ કે હાલ એકસાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. હવામાન વિભાગે બંગાળની ખાડીમાં ફરી એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાનું જણાવ્યું છે, જેના કારણે રાજ્યભરમાં ભારે વરસાદની સંભાવના છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા 4 વાગ્યા સુધી માટે 11 જિલ્લામાં યલો ઍલર્ટ અને 18 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. આગામી 3 કલાક ગુજરાત માટે ભારે રહેશે. આ ઉપરાંત આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
આ જિલ્લામાં 4 વાગ્યા સુધી યલો ઍલર્ટ
કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી
આ જિલ્લામાં 4 વાગ્યા સુધી ઑરેન્જ ઍલર્ટ
અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ
26 અને 27 જુલાઈની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (26 જુલાઈ) સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે. ખાસ કરીને અમરેલી, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, ભરુચ, સુરત અને તાપી જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત, નર્મદા, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લા માટે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવતીકાલે, 27 જુલાઈએ પણ રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.
આગામી દિવસોમાં વરસાદની સંભાવના
હવામાન વિભાગે આગામી 26, 27 અને 29 જુલાઈએ રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે 27થી 31 જુલાઈ દરમિયાન રાજ્યમાં સારો વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી
બીજી તરફ, જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદ અંગે મહત્ત્વપૂર્ણ આગાહી કરી છે. તેમણે જણાવ્યું હતું કે ઑગસ્ટ મહિનાની શરુઆત સુધી રાજ્યમાં ભારે વરસાદ જોવા મળશે. તેમણે ખાસ કરીને 27 અને 28 જુલાઈના રોજ રાજ્યના કેટલાક ભાગો જળ તરબોળ થશે તેવી સંભાવના વ્યક્ત કરી છે.
હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્યના નાગરિકોને સાવચેત રહેવા અને જરૂરી તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને વિશેષ કાળજી લેવા સૂચના અપાઈ છે.