Gujarat Government: ગુજરાતમાં તાજેતરમાં થયેલા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફાર બાદ તમામ મંત્રીઓને રાજ્યના વિવિધ જિલ્લાઓના પ્રભારી તરીકેની જવાબદારી સોંપી દીધી છે. આ નિયુક્તિઓ દ્વારા સરકાર જિલ્લા સ્તરે વહીવટ અને યોજનાઓના અમલ પર વધુ અસરકારક દેખરેખ રાખી શકશે. જેમાં 9 મંત્રીઓને બે જિલ્લાની, 10 મંત્રીઓને એક જિલ્લાની અને 6 મંત્રીઓને સહપ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
મંત્રીઓની મુખ્ય જવાબદારીઓ
નિયુક્ત કરાયેલા પ્રભારી અને સહ-પ્રભારી મંત્રીઓએ નીચે મુજબની મુખ્ય જવાબદારીઓ નિભાવવાની રહેશે. જેમાં મંત્રીઓએ સમયાંતરે તેમના ફાળવેલ જિલ્લાની મુલાકાત લેવાની રહેશે. મુલાકાત દરમિયાન, મંત્રીઓએ જે તે જિલ્લાના વહીવટી પ્રશ્નો અને સ્થાનિક પડકારોથી સંપૂર્ણપણે વાકેફ થવું પડશે. પ્રશ્નોની ગંભીરતા અને સ્થિતિ સમજ્યા બાદ, તેના નિકાલ સંબંધે મંત્રીઓ દ્વારા જિલ્લા અધિકારીઓને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.
વહીવટી નિયંત્રણ અને અમલ પર ધ્યાન
રાજ્ય સરકારનો આ નિર્ણય પ્રાદેશિક સંતુલન જાળવવા અને જિલ્લા સ્તરે રાજકીય તેમજ વહીવટી પકડ મજબૂત કરવાના હેતુથી લેવામાં આવ્યો છે. પ્રભારી મંત્રીઓ તેમના નિયુક્ત જિલ્લાઓમાં કલ્યાણકારી યોજનાઓનો અમલ, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ સ્થાનિક સમસ્યાઓના નિરાકરણ પર વિશેષ ધ્યાન આપશે. સરકારના આ પગલાથી વહીવટી પ્રક્રિયા વધુ ઝડપી બનશે અને વિકાસના કામોમાં ઝડપ આવશે તેવી અપેક્ષા છે.



