વિકાસના બહાને ગુજરાતમાં 2.36 લાખ વૃક્ષોનું નિકંદન, ખુદ સરકારે જ મંજૂરી આપ્યાનો ઘટસ્ફોટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Green Cover Loss: વિકાસના નામે ગુજરાત ના શહેરો આજે જાણે કોંક્રિંટના જંગલમાં ફેરવાઇ રહ્યાં છે. રસ્તા સહિત અન્ય પ્રોજેક્ટના બહાના હેઠળ લીલા અને ઘટાદાર વૃક્ષોની કતલેઆમ કરવામાં આવી રહી છે. ખુદ સરકાર જ વૃક્ષો કાપવાની મંજૂરી આપી રહી છે. કેન્દ્રીય વન-પર્યાવ રણ વિભાગે ખુલાસો કર્યો છેકે, છેલ્લાં પાંચેક વર્ષમાં ગુજરાતમાં 2.36 લાખ વૃક્ષો કાપવામાં આવ્યા છે.
એક બાજુ, વન પર્યાવરણ વિભાગ-સરકાર વૃક્ષારોપણના કાર્યક્રમ યોજીને લાખો કરોડોનું આંધણ કરે છે. વૃક્ષારોપણ કરી જનજાગૃતિ કેળવવાનો દેખાડો કરવામાં આવી રહ્યો છે. સરકારના ખર્ચે નર્સરીઓમાં રોપા તૈયાર કરાય છે. સાથે સાથે જંગલ વિસ્તારમાં હજારો લાખો રોપાઓનું વાવેતર કરીને વાહવાહી મેળવવામાં આવે છે. વાસ્તવમાં વાવેતર પછી મોટી સંખ્યામાં રોપાઓ જીવંત રહેતાં નથી.
મેટ્રો સિટી અમદાવાદ સહિત અન્ય શહેરો ક્રોકિંટના જંગલમાં પરિવર્તિત થઇ રહ્યાં છે જેના કારણે શહેરી વિસ્તારોમાં તો વૃક્ષોની સંખ્યામાં નોધપાત્ર રીતે ઘટાડો નોઁધાઇ રહ્યો છે. પણ હવે ક્યાંક ફોર-સિક્સ લેન રોડ બની રહ્યાં છે તો ક્યાંક તળાવને ઉંડા કરવામાં આવી રહ્યાં છે. ક્યાંક ચેકડેમ બની રહ્યાં છે. તો ક્યાંક સરકારી બિલ્ડીંગોનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે. આ બધાય સરકારી કામોમાં અવરોધરુપ વૃક્ષોને કાપવામાં આવી રહ્યાં છે. ખુદ સરકાર-વન વિભાગની મંજૂરીને પગલે રાજ્યમાં 2,36,957 વૃક્ષોને કાપી નંખાયા છે. લીલા-ઘટાદાર વૃક્ષોને રાતોરાત કાપી નાંખવામાં આવ્યાં છે. વિકાસના નામે વન વિભાગ વૃક્ષો કાપવાની ધડાધડ મંજૂરી આપી રહ્યુ છે. વિશાળ અને ઘટાદાર લીલા વૃક્ષોને બચાવવા માટે કોઇ આયોજન જ નથી.
માનવ જીવનમાં વૃક્ષોનું અસ્તિત્વ જરૂરી છે. એટલુ જ નહીં, ક્લાઇમેટ ચેન્જને લીધે વાતાવરણની સાથે સાથે સામાન્ય જનજીવન પર ભારે અસર થઇ રહી છે તેમ છતાંય સરકાર જરાય ગંભીર નથી.
ઉલ્લેખનીય છેકે, ગુજરાતમાં મેન્ગ્રુવ્ઝના વિસ્તારમાં ય ઘટાડો થયો છે. દરિયાકાંઠાની સલામતી માટે જરૂરી એવા મેન્ગ્રુવ્ઝને સાચવી શકવામાં પણ વન વિભાગ નિષ્ફળ નિવડ્યુ છે.









