ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવ મંજુલા સુબ્રમણ્યમનું અવસાન
- વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના અવસાન પર દુ:ખ વ્યક્ત કર્યું
વડોદરા, તા. 02 જાન્યુઆરી 2023, સોમવાર
ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવ ડો. મંજુલા સુબ્રમણ્યમનું અવસાન થઈ ગયુ છે. રવિવારે વડોદરાની એક હોસ્પિટલમાં આરોગ્ય સંબંધી સમસ્યાઓના કારણે તેમનું અવસાન થયું હતું. તેમની ઉંમર 74 વર્ષની હતી. તેઓ 1972ની બેચના ગુજરાત-કેડરના અધિકારી હતા. જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ડો. મંજુલા સુબ્રમણ્યમને 2007માં પ્રથમ મહિલા મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ એકે રાકેશે જણાવ્યું હતું કે, તેવો છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્ય સબંધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. તેઓ લગભગ એક અઠવાડિયાથી હોસ્પિટલમાં હતા અને રવિવારે તેમનું અવસાન થઈ ગયુ હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના અવસાન પર શોક વ્યક્ત કર્યો છે.
મંજુલા સુબ્રમણ્યમ 1972ની બેચના IAS અધિકારી હતા. 2008માં નિવૃત્ત થયા બાદ તેઓએ અનેક પદો ઉપર ફરજ બજાવી હતી. ત્યારે મંજુલા સુબ્રમણ્યમના અવસાનથી IAS બેડામાં શોક વ્યાપી ગયો છે. ડો. મંજુલા સુબ્રમણ્યમનો ગુજરાતના ચીફ સેક્રેટરી તરીકેનો કાર્યકાળ 1 સપ્ટેમ્બર 2002થી 30 સપ્ટેમ્બર 2008 સુધીનો રહ્યો હતો.
PM નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું
પીએમ નરેન્દ્ર મોદીએ મંજુલા સુબ્રમણ્યમના અવસાન પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે ટ્વીટ કર્યું કે ડૉ. મંજુલા સુબ્રમણ્યમજીના નિધનથી હું દુઃખી છું. તેમની નીતિ સંબંધિત મુદ્દાઓની સમજણ અને કાર્યલક્ષી અભિગમ માટે તેઓ જાણીતા હતા. જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે મને તેમની સાથેની મારી વાતચીત યાદ છે. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.
CM ભૂપેન્દ્ર પટેલે તેમના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું
ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ ડૉ. મંજુલા સુબ્રમણ્યમજીના અવસાન પર દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વીટ કર્યું કે, ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવ ડૉ. મંજુલા સુબ્રમણ્યમજીના નિધન પર દુ:ખની લાગણી વ્યક્ત કરું છું. રાજ્યની વિકાસયાત્રામાં તેમણે આપેલું યોગદાન પ્રશંસનીય છે. પ્રભુ તેમના આત્માને શાંતિ આપે અને તેમના સ્વજનોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું. ઓમ શાંતિ.
ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવ ડૉ. મંજુલા સુબ્રમણ્યમજીના નિધન પર દુ:ખની લાગણી વ્યક્ત કરું છું. રાજ્યની વિકાસયાત્રામાં તેમણે આપેલું યોગદાન પ્રશંસનીય છે. પ્રભુ તેમના આત્માને શાંતિ આપે અને તેમના સ્વજનોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું. ૐ શાંતિ.
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 1, 2023