Gujarat Farmers Await Relief: ગુજરાતમાં આ વર્ષે કમોસમી વરસાદે તબાહી મચાવી છે. ખેતીને મોટાપાયે નુકશાન પહોંચતાં ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે. વર્ષ 2024માં પણ જુલાઇ-ઓગસ્ટમાં વરસાદે ગુજરાતમાં ખાનાખરાબી મચાવી હતી જેના કારણે સરકારે કુલ મળીને1769 કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યુ હતું. જેમાં હજુ સુધી ખેડૂતોને 500 કરોડ રૂપિયા પણ ચૂકવાયાં નથી. સરકારે મોટાઉપાડે કૃષિ પેકેજ જાહેર કર્યું પણ પાક નુકશાનીનો ભોગ બનનારાં ખેડૂતોને ઠેંગો દેખાડી દેવાયો છે.
ખેડૂત આગેવાનોનો સરકારને પડકાર
છેલ્લાં કેટલાંક વર્ષોથી વરસાદની પેટર્નમાં બદલાવ થયો છે, જેના કારણે ગુજરાતમાં વરસાદની તિવ્રતા જ નહી, વરસાદનું પ્રમાણ વધ્યું છે. ચોમાસામાં અતિવૃષ્ટિ થઈ રહી છે પરિણામે ખેડૂતોને નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે. કમોસમી વરસાદ ખેતીને નુકશાન પહોંચતાં ખેડૂતોના મોઢામાંથી કોળિયો છિનવાઇ રહ્યો છે. વર્ષ 2024માં પણ માવઠાએ ગુજરાતના ઘણાં હિસ્સામાં ખેતીને વ્યાપક પ્રમાણમાં નુકશાન પહોંચાડ્યું હતું.
ખેડૂત આગેવાનોનો આક્ષેપ છે કે, માવઠાએ ખેતીને તબાહ કરતાં રાજ્ય સરકારે જુલાઈ 2024માં પ્રથમ તબક્કામાં 319 કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું. ત્યારબાદ ખેડૂતોને મદદરૂપ થવાના આશયથી ઓગષ્ટ 2024માં વધુ 1450 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું હતું. કુલ મળીને1769 કરોડ રૂપિયાનું કૃષિ પેકેજ જાહેર તો કર્યું, પરંતુ અત્યાર સુધી ખેડૂતોને 500 કરોડ રૂપિયા રાહત પેટે ચૂકવાયાં નથી. ખેડૂત આગેવાનોએ સરકારને પડકાર ફેંક્યો છે કે, વર્ષ 2024માં જાહેર કરેલાં કૃષિ પેકેજનો કેટલાં ખેડૂતોને લાભ અપાયો તેની સરકાર વિગતો જાહેર કરે. આ વખતે પણ સરકારે અત્યાર સુધી સૌથી મોટું 10 હજાર કરોડ રૂપિયાનું કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું છે, અત્યાર સુધી 10 લાખ ખેડૂતોએ અરજી કરી છે. 29 નવેમ્બરમી અરજી કરવાની આખરી તારીખ છે.
આ પણ વાંચો: ગોધરામાં કરુણ ઘટના : મકાનમાં ભીષણ આગને પગલે એક જ પરિવારના 4 લોકોના મોત
અરજી પ્રક્રિયા ગોકળગાય ગતિએ ચાલી રહી છે
રાજ્યમાં 42 લાખ હેક્ટરમાં માવઠાએ નુકશાન કર્યું છે અને 16,500 ગામડા અસરગ્રસ્ત થયાં છે, ત્યારે સર્વર ડાઉન થવાની ફરિયાદો ઊઠી છે સાથે સાથે દસ્તાવેજને લઇને વિસંગતતા પ્રવર્તી રહી છે. ત્યારે જે રીતે અરજી પ્રક્રિયા ગોકળગાય ગતિએ ચાલી રહી છે તે જોતાં અડધોઅડધ ખેડૂતોને લાભ મળશે કે કેમ તે અંગે પણ આશંકા પ્રવર્તી રહી છે. હાલ ગુજરાતમાં 54 લાખથી વધુ ખેડૂતો છે, ત્યારે કેટલાં ખેડૂતોને લાભ મળશે તે અંગે ખુદ સરકારે જ ફોડ પાડયો નથી.


