હવે સાયબર ફ્રોડના ફરિયાદી મેળવી શકશે માહિતી, CID ક્રાઇમને આરટીઆઇમાંથી મળેલી મુક્તિ પાછી ખેંચવા ભલામણ
Right to Information Act: સાયબર ફ્રોડને લગતી માહિતીના સંદર્ભમાં CID ક્રાઇમને RTIમાંથી મળેલ મુક્તિ પાછી ખેંચવા માહિતી આયોગની રાજ્ય સરકારને ભલામણ કરવામાં આવી છે. એક સાયબર ફ્રોડના કેસમાં ચુકાદો આપતાં માહિતી આયોગના કમિશ્નર દ્વારા રાજ્ય સરકારને ભલામણ કરવામાં આવી છે કે ગુપ્તતાના હેઠળ સાઇબર ફ્રોડના ભોગ બનનારને માહિતી નકારવી યોગ્ય નથી.
ગુજરાત સરકારના ગૃહ વિભાગના નોટિફિકેશન નં. ગેઝેટ વોલ્યુમ XLVI એક્સ્ટ્રા નં. 88 part -IV – A તા. 25 ઑક્ટોબર 2005થી CID(ક્રાઇમ)ને RTIમાંથી મુક્તિ આપવામાં આવી છે. પરંતુ એક કિસ્સામાં ગાંધીનગર જિલ્લાના રહેવાસી રાકેશકુમાર પ્રજાપતિ સાથે 4.5 લાખ રૂપિયાનું સાયબર ફ્રોડ થયું હોવાથી તેમણે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. તે FIRની નકલ અને ફરિયાદ અંગેની તમામ પત્રવ્યવહારની નકલ RTI હેઠળ માંગી હતી. CID ક્રાઇમ દ્વારા “માહિતી અધિકાર કાયદાથી મુક્તિ મળેલી છે" તેવું કારણ બતાવી માહિતી નકારવામાં આવી હતી. જેને પડકારતાં અરજદારે રાજ્ય માહિતી આયોગમાં ફરિયાદ નોંધાવી હતી.
આ કેસની સુનાવણી બાદ એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં રાજ્ય માહિતી કમિશ્નર નિખિલ ભટ્ટ દ્વારા CID ક્રાઇમને મળેલી RTIની કલમ 24 હેઠળની મુક્તિને “સાયબર ફ્રોડ” પૂરતી પાછી ખેંચીને નવેસરથી જાહેરનામું બહાર પાડવા રાજ્ય સરકારને ભલામણ કરી છે. આ ચુકાદામાં કમિશ્નર નિખિલ ભટ્ટે નિરીક્ષણ કર્યું કે “સીઆઇડી ક્રાઇમ મોટા ભાગે ગુનાની તપાસ કરતું હોય છે, અને અંત્યંત સંવેદનશીલ ગુનાઓ હોય છે. તેથી CID (crime), તેથી ગુનાની તપસ સંદર્ભે માહિતી ગુપ્ત રાખવામાટે કલમ 24 હેઠળ RTI કાયદામાંથી મુક્તિ આપવામાં આવી છે.
પરંતુ જ્યારે રોજબરોજ હજારો નાગરિકો સાયબર ફ્રોડના ભોગ બનતા હોય છે, ત્યારે કોઈ પણ નાગરિક તેમના દ્વારા CID ક્રાઇમ ખાતે આવેલા સાયબર સેલના ટેલિફોન નંબર ઉપર ફરિયાદ કર્યા બાદ તેના નાણાં પાછા મળશે. તેને કરેલી ફરિયાદ અંગે શું કાર્યવાહી થઈ તે જાણવા માટે ઉત્સુક હોય છે. આ માહિતી પોલીસ સ્ટેશનને મળી શકતી નથી. અને સાયબર સેલ CID ક્રાઇમ ખાતે આવેલું હોવાથી ત્યાંથી પણ માહિતી મળતી નથી. RTI હેઠળ તેમની ફરિયાદના અનુસંધાને શું તપાસ થઈ તે જાણવાનો ભારતીય નાગરિકોને અધિકાર છે.”
કમિશ્નરએ વધુમાં કહ્યું છે કે, “CID ક્રાઇમને મળેલી મુક્તિનો ગેરલાભ લઈને નાગરિકોને તેમની ફરિયાદ સંદર્ભે થયેલી કાર્યવાહીની માહિતી મળી શકતી નથી તે યોગ્ય નથી. ગુપ્તતાના અંચળા હેઠળ આ અગત્યની માહિતી નકારવા સાથે આયોગ સહમત નથી. માહિતી નહીં આપવા માટે મળેલી મુક્તિને પાછી ખેંચી યોગ્ય સુધારો કરવામાં આવે.
માહિતી આયોગની આ ભલામણો ઉપરાંત આયોગે હુકમ કર્યો છે, કે સુધારેલું જાહેરનામું બહાર પડ્યા બાદ 5 દિવસની અંદર અરજદારને વિનામૂલ્યે આરપીએડીથી માહિતી આપવાનો હુકમ કર્યો છે. રાજ્યના સાયબર ક્રાઇમના ભોગ બનેલા સેંકડો નાગરિકોને રાહત મળી છે, કે તેઓ હવે તેમની ફરિયાદ પર થયેલી કાર્યવાહી જાણી શકશે.