Gujarat Bribery Scandal: લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ વર્ષ 2025માં ટ્રેપ, અપ્રમાણસર મિલકત સહિતના કુલ 213 કરોડ રૂપિયા લાંચના કુલ 213 જેટલા ગુના નોંધીને 310 વ્યક્તિઓ વિરૂદ્ઘ કાર્યવાહી કરી છે. જ્યારે 16.59 કરોડની અપ્રમાણસર મિલકતો જપ્ત કરી હતી. સૌથી વધારે લાંચના ગુના ગૃહ વિભાગ, પંચાયત ગ્રામ અને મહેસુલ વિભાગમાં નોંધાયા હતા. જે ગત વર્ષની સરખામણીમાં 15 ટકા વધારે છે. સૌથી મહત્વની વાત એ છે કે એસીબીએ 123 જેટલા ખાનગી વ્યક્તિઓની લાંચ કેસમાં ધરપકડ કરી હતી.
મહેસૂલ-ગૃહ વિભાગ સૌથી ભ્રષ્ટ
લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ વર્ષ 2025માં વર્ષ 2024ની સરખામણીમાં 15 ટકા વધારે કામગીરી કરી છે. આ અંગે માહિતી આપતા એસીબીના અધિકારીએ જણાવ્યું કે વર્ષ 2025માં એસીબીએ કુલ 213 ગુના નોંઘ્યા હતા. જેમાં ટ્રેપના 174 કેસ, ડીકોયના 19, અપ્રમાણસર મિલકતના 16 અને સત્તાનો દુરઉપયોગ કરવાના ચાર ગુનાઓનો સમાવેશ થાય છે. ગુનાઓમાં સંડોવાયેલા અધિકારીઓમાં વર્ગ એકના 13 આરોપીઓ, વર્ગ-2ના 35 આરોપીઓ, વર્ગ-3ના 134 આરોપીઓનો સમાવેશ થાય છ અને વર્ગ ચારના પાંચ કર્મચારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.
ખાસ કરીને છેલ્લાં ઘણા સમયથી અધિકારીઓ ભ્રષ્ટ્રાચાર આચરવા માટે ખાનગી લોકોની મદદ લેતા હોય છે. ત્યારે એસીબીએ 123 જેટલા ખાનગી વ્યક્તિઓને પણ અધિકારીઓ વતી લાંચ લેતા ઝડપી લીધા હતા.એસીબીમાં સૌથી વધારે ગૃહવિભાગના 62, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના 26 અને મહેસુલી વિભાગના 32 ગુના નોંધાયા હતા. અપ્રમાણસર મિલકતોના 16 ગુના નોંધાયા હતા. જેમાં કુલ 16.59 કરોડની અપ્રમાણસર મિલકતો શોધીને કાર્યવાહી કરવામાં આવી હતી.


