ગુજરાતમાં આવતીકાલથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, જાણો ખેડૂતો માટે શું છે નવી વ્યવસ્થા?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Farmer : ગુજરાતમાં રવિ પાકની સિઝન પૂર્ણ થતા હવે સરકાર દ્વારા ટેકાના ભાવે (MSP) ખરીદીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. 23 માર્ચ 2026થી રાજ્યભરમાં ચણા અને રાયડાની ખરીદીનો પ્રારંભ થશે. આ વર્ષે કુલ 2.96 લાખથી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે પાક વેચવા માટે ઓનલાઇન નોંધણી કરાવી છે. આ અંગે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ માહિતી આપી હતી.
અલગ-અલગ જિલ્લાઓમાં ખરીદ કેન્દ્રો ફાળવાયા
રાજ્યભરમાં ખેડૂતોની સુવિધા માટે પૂરતા પ્રમાણમાં ખરીદ કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે. ખેડૂતોએ કરાવેલી નોંધણી, વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને લઈને ચણાની ખરીદી માટે 165 તથા રાયડાની ખરીદી માટે 60 ખરીદ કેન્દ્રો કાર્યરત કરવામાં આવશે.
મોટી સંખ્યામાં ખેડૂતોએ નોંધણી કરાવી
ચણા અને રાયડાના ટેકાના ભાવે વેચાણ માટે ચાલુ વર્ષે પુષ્કળ સંખ્યામાં ખેડૂતોએ નોંધણી કરાવી છે. જેમાં ચણા માટે 2.59 લાખથી વધુ તેમજ રાયડા માટે 37,000 થી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે. નોંધણી કરાવેલા તમામ ખેડૂતો પાસેથી પૂરતી માત્રામાં જથ્થાની ખરીદી કરવામાં આવશે.
આ વર્ષે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન અને નવી વ્યવસ્થા
ખરીદી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા અને ખેડૂતોને હાલાકી ન પડે તે માટે આ વર્ષે કેટલાક મહત્ત્વપૂર્ણ પગલાં લેવાયા છે. પ્રથમ વખત આધાર ઇનેબલ્ડ બાયોમેટ્રિક અથવા ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ખેડૂતની ઓળખ ચકાસવામાં આવશે. જો ખેડૂત પોતે હાજર ન રહી શકે તેમ હોય, તો તેમના દ્વારા નિયુક્ત 'નોમિની' પણ વેચાણની પ્રક્રિયા પૂર્ણ કરી શકશે.
ખેડૂતોને SMS દ્વારા જાણ કરાશે
ખરીદ કેન્દ્રો પર ભીડ ન થાય તે માટે જે ખેડૂતોએ નોંધણી કરાવી છે તેમને SMS મોકલીને ચોક્કસ તારીખ અને સમયની જાણ કરવામાં આવશે. ખેડૂતોએ આ નિયત સમયે જ પોતાના પાકનો જથ્થો લઈને કેન્દ્ર પર પહોંચવાનું રહેશે.








