જો મારી વિરુદ્ધ બોલશો તો તમારી ટિકિટ કન્ફર્મ સમજો, ગૃહમાં ઈટાલિયા-કાંતિ વચ્ચે મોરેમોરો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Assembly Monsoon Session: ગુજરાત વિધાનસભા સત્રના અંતિમ દિવસે (10મી સપ્ટેમ્બરે) કારખાના વિધેયક પરની ચર્ચા પર આપના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ સટાસટી બોલાવી હતી. છેલ્લાં ઘણાં સમયથી ઈટાલિયા-કાંતિ અમૃતિયા વચ્ચે રાજકીય દુશ્મની ચાલી રહી છે જેના કારણે ગૃહમાં ગોપાલ ઈટાલિયા ચર્ચામાં ભાગ લઈ રહ્યાં હતાં, ત્યારે કાંતિ અમૃતિયાએ અધવચ્ચે ટકોર કરી કે, ગુજરાતમાં લોકો અન્ય રાજ્યમાંથી આવી કામ મેળવે છે. ત્યારે ઇટાલિયાએ રોકડું પરખાવ્યું કે, 'રોજગારીની આટલી ડીંગો હાંકો છો તો પછી લોકો નોકરી માટે અમેરિકા, લંડન -વિદેશમાં જઈ રહ્યાં છે એનું શું. એક તબક્કે વચ્ચે શાબ્દિક તડાફડી જામી હતી.'
આપ ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું કે, 'જો તમે મારા વિરુદ્ધ બોલશો તો તમારી ટિકિટ પાકી થઈ ગઈ સમજો. મારા કારણે કોઈનું સારું થતું હોય તો મને કોઈ વાંધો નથી.'
ગોપાલ ઈટાલિયાએ કારખાના વિધેયક અંગે શું કહ્યું....
કારખાના વિધેયક 2025 અંગે ગોપાલ ઈટાલિયાએ સીધો પ્રહાર શ્રમ વિભાગના અધિકારીઓ પર કર્યો. તેમણે કહ્યું કે, 'જે અધિકારીઓ પોતે વિધાનસભામાં બે કલાક બેસી શકતા નથી, તે મજૂરો માટે 12 કલાકના કામની હિમાયત કઈ રીતે કરી શકે? પોલીસ કોન્સ્ટેબલ તરીકેના મારો અનુભવ પરથી હું જાણું છું કે પોલીસનું પણ શોષણ થાય છે. સરકાર પહેલા પોલીસને 12-14 કલાકના કામનો ઓવરટાઇમ ચૂકવે, પછી મજૂરો માટે આવા કાયદા બનાવે. જ્યારે શ્રમ વિભાગમાં 50% સ્ટાફ ખાલી હોય, ત્યારે રાજ્યના મજૂરો અને ફેક્ટરીઓનું નિરીક્ષણ કોણ કરશે?'
આ પણ વાંચો: અમદાવાદમાં ગરબા યોજવા માટે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ લેવું ફરજિયાત, તંત્રએ SOP જાહેર કરી
ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભામાં શ્રમિકોના કામના કલાકો અને ઓવરટાઇમને લગતા મહત્ત્વના 'કારખાના ધારા (ગુજરાત સુધારા) 2025 વિધેયક'ને બહુમતીથી પસાર કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી(AAP)ના ધારાસભ્યોએ આ બિલનો સખત વિરોધ કર્યો હતો, તેમ છતાં સરકારે તેને પસાર કરાવી લીધું છે.








