3 વર્ષ બાદ કોરોનાથી અમદાવાદમાં મૃત્યુની પહેલી ઘટના, ગુજરાતમાં 320 એક્ટિવ કેસ નોંધાયા
Gujarat Corona Case Updates : ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 320 પાર થઈ ગયો છે. સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા રાજ્યોમાં કેરળ, મહારાષ્ટ્ર, દિલ્હી બાદ ગુજરાત ચોથા સ્થાને છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં એક્ટિવ કેસમાં 55નો ઉમેરો થયો છે. માહિતી અનુસાર 3 વર્ષ બાદ અમદાવાદમાં કોરોનાને કારણે કોઈનું મોત નીપજ્યું છે.
ગુજરાતના 320 એક્ટિવ કેસમાંથી 163 માત્ર અમદાવાદમાં છે. 31 મેના એક જ દિવસમાં અમદાવાદમાં કોરોનાના 35 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત એલ.જી. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી 46 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું છે. હાલ અમદાવાદમાં કોરોનાના 163 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
અમદાવાદમાં કોરોનાના મે મહિનામાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થયો હતો. મે મહિનામાં જ અમદાવાદમાંથી કોરોનાના 230 કેસ સામે આવ્યા હતા. જેમાંથી 56 દર્દીઓ દર્દીઓ સાજા થતાં રજા આપવામાં આવી છે. હાલમાં 163 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે એલ.જી. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી દાણીલીમડાની 46 વર્ષીય મહિલાનું કોરોનાથી મૃત્યુ થયું છે. અમદાવાદમાં ૩ વર્ષ બાદ કોરોનાથી આ સંભવતઃસૌપ્રથમ મૃત્યુ છે. અમદાવાદમાં છેલ્લા બે દિવસથી કોરોનાના 30થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. હાલ અમદાવાદના પશ્ચિમ ઝોનમાં 45, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 43, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 33, દક્ષિણ ઝોનમાં 18, મધ્ય ઝોનમાં 7, ઉત્તર ઝોનમાં બે કેસ નોંધાયાની વિગતો સામે આવી છે. 31 મેના રોજ 35 કેસ નોંધાયા હતા અને 17 દર્દીઓને રજા આપવામાં આવી હતી. એલ.જી. હોસ્પિટલની બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલમાંથી પણ કોરોનાના 1-1 કેસ કન્ફર્મ થયા છે. આ સ્થિતિને પગલે એલ.જી., વાડીલાલ, શારદાબેન અને એસવીપી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે.
એક તરફ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે જ્યારે બીજી તરફ ગુજરાતના આરોગ્ય વિભાગ જેમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ કોરોનાની સાચી માહિતી છુપાવવા માટે રાબેતા મુજબ હવાતિયા મારી રહ્યું છે. જેની સરખામણીએ મહારાષ્ટ્ર, દિલ્હી, કેરળ દ્વારા કોરોના અંગેની માહિતી નિયમિત રીતે જાહેર કરી લોકોને અવગત કરાવવામાં આવે છે.