ગુજરાતમાં AAPમાં ડખાં, દંડક પદેથી ઉમેશ મકવાણાનું રાજીનામું પણ ધારાસભ્ય પદ અંગે અસમંજસ
Gujarat AAP: તાજેતરમાં યોજાયેલી વિસાવદરની પેટા ચૂંટણીમાં આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની જીતથી આપમાં ખુશીનો માહોલ છે. ત્યારે બીજી તરફ બોટાદના આપના ધારાસભ્યએ પાર્ટીને મોટો ઝટકો આપ્યો છે. બોટાદના આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ યોજી આમ આદમી પાર્ટીના દંડક પદેથી રાજીનામું આપ્યું હતું.
ઉમેશ મકવાણા છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટીના કાર્યક્રમોમાં ગેરહાજર રહેતા હતા. દંડકપદેથી રાજીનામું આપ્યા બાદ તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ વિપક્ષની ભૂમિકામાં નિષ્ફળ રહી છે. હું આપના કાર્યકર તરીકે કામ કરતો રહીશ અને ધારાસભ્ય પદ છોડવા અંગે પ્રજાને પૂછીને નિર્ણય કરીશ.
કડીનો દલિત નેતા એકલો પડી ગયો
તેમણે પત્રકારોને સંબોધતાં કહ્યું હતું કે ભાજપ-કોંગ્રેસ પછાત સમાજનો અવાજ ઉઠાવતી નથી, વિપક્ષની ભૂમિકામાં કોંગ્રેસ નિષ્ફળ રહી છે. કડીમાં આપની હારને લઇને ઉમેશ મકવાણાએ નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે બધા જ મોટા નેતાઓ વિસાવદરમાં હતા, કડીમાં કોઇ હાજરી ન હતી. કડીમાં મોટા નેતાઓની ક્યાંય હાજરી જોવા મળી ન હતી. કડીમાં દલિત સમાજનો 10 લાખની લોન લઇને લડતો હતો તે આજે એકલો છે. ગોપાલ ઈટાલિયા માટે આખી પાર્ટી મેદાનમાં ઉતરી અને કડીના ઉમેદવારને એકલો મૂકી દીધો છે. કારણ કે એ દલિત સમાજના હતા.
પછાત વર્ગના લોકોના મુદ્દા ઉપાડવામાં પાર્ટી નિષ્ફળ રહી છે, ચૂંટણીમાં પછાત સમાજના નેતાઓનો ઉપયોગ થયો છે. ગુજરાતના રાજકારણમાં ઘણા વર્ષોથી દરેક પક્ષની અંદર જાતિવાદી વિચારધારાવાળા લોકોનું પ્રભુત્વ વધતું જાય છે. જેના કારણે તેની સીધે સીધી અસર દેશની જનતા પર પડે છે. 2020 પહેલાં હું ભાજપમાં કાર્યકર્તા તરીકે કામ કરતો હતો. 2020 બાદ મેં આમ આદમી પાર્ટી જોઇન કરી ત્યારબાદ અલગ અલગ પદ પર મેં સેવા આપી. છેલ્લા 5 વર્ષમાં આમ આદમી પાર્ટીના અલગ અલગ પદ પર સેવા આપી છે.
ગુજરાતની પછાત સમાજની જનતાનો અવાજ ઉઠાવવાની વાત આવે, કોળી સમાજની વાત કરવામાં આવે ત્યારે દરેક પાર્ટીમાં ખૂટતું જણાયું. ભાજપનો ગુજરાતમાં ઉદય થયો ત્યારથી આજ દિન સુધી ભાજપ પછાત સમાજ કે કોળી સમાજનો મુખ્યમંત્રી બનાવવામાં નિષ્ફળ નિવડી છે. એટલું જ નહી પ્રદેશ પ્રમુખ સુદ્ધા પણ બનાવવામાં નથી આવ્યો.
ઓબીસીનો માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ થાય છે
કોંગ્રેસ છેલ્લા વર્ષોથી સત્તાથી દૂર છે તેમછતાં પછાત સમાજનો અવાજ બની શકી નથી. હું જ્યારે આપમાં અલગ અલગ હોદ્દાઓ પર હતો ત્યારે મને ખુદ અહેસાસ થઇ રહ્યો છે કે પછાત સમાજના મુદ્દા ઉઠાવવાના હોય છે ત્યારે પાર્ટી તરફથી ઉણપ જોવા મળે છે. હોદ્દા આપવાની વાત આવે ત્યારે સવર્ણ સમાજને હોદ્દા આપવામાં આવે છે. ચૂંટણી ટાણે ઓબીસીનો માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ થાય છે. ચૂંટણી પૂરી થઇ ગયા બાદ હાંસિયામાં ધકેલી દેવામાં આવે છે.
પછાત લોકોના મુદ્દા ઉપાડવામાં દરેક પાર્ટી નિષ્ફળ નિવડી
મેં જે ઉદ્દેશ્યથી આમ આદમી પાર્ટી જોઇન કરી હતી તેમાં મને ક્યાંકને ક્યાંક ઉણપ જણાઇ રહી છે. ત્યારે વિધાનસભાના દંડક તરીકેની જવાબદારી હતી, જેથી રાજ્યના જોઇન્ટ સેક્રેટરી અને દંડક પદેથી રાજીનામું આપુ છું. મેં અરવિંદ કેજરીવાલને વોટ્સએપ કરી દીધું છે અને અપીલ કરી છે કે મને પાર્ટીના દરેક પદ પરથી જવાબદારીમાંથી મુક્ત કરે અને મારી જગ્યાએ કોઇ સારા વ્યક્તિને જવાબદારી સોંપવામાં આવે.
પછાત સમાજના નેતાને ચૂંટણી પૂરતા ઉપયોગમાં લેવાય છે. પછાત લોકોના મુદ્દા ઉપાડવામાં દરેક પાર્ટી નિષ્ફળ છે. દરેક પાર્ટીમાં જાતિવાદી માનસિકતા ધરાવતા લોકો વધતા જાય છે. દંડક અને AAPના રાષ્ટ્રીય માળખામાં પણ સેવા આપી છે. રાષ્ટ્રીય જોઇન્ટ સેક્રેટરી તરીકે પણ રાજીનામું આપ્યું છે. AAPના કાર્યકર તરીકે કાર્યરત રહીશ.
ધારાસભ્ય પદેથી રાજીનામું આપવા અંગે પ્રશ્ન પૂછવામાં આવતાં ઉમેશ મકવાણાએ જણાવ્યું હતું કે હું બોટાદની જનતાને પૂછીને નિર્ણય કરીશ, હું મારી જનતાને અધવચ્ચે મૂકીશ નહી. જો રાજીનામું આપીશ તો અપક્ષ લડીશ કે નવી પાર્ટી બનાવીશ એ આગામી સમયમાં નક્કી કરીશ. ટૂંક સમયમાં પછાત સમાજના આગેવાનો સાથે બેઠક યોજાવવાની છે.