ગુજરાતમાં બ્રેસ્ટ કેન્સરના રોજ 32થી વધુ કેસ અને 12 મોત, સ્થૂળતા અને દારૂ જવાબદાર

Breast Cancer Awareness Month : ગુજરાતમાં હૃદયરોગ સાથે કેન્સરના કેસમાં પણ ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જ સ્તન કેન્સરના કુલ 6686 કેસ નોંધાઇ ચૂક્યા છે. આમ, હાલની સ્થિતિએ દરરોજના સરેરાશ ચાર દર્દીમાં સ્તન કેન્સરનું નિદાન થાય છે. દર વર્ષે ઓક્ટોબર માસની ઉજવણી ‘બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મંથ’ તરીકે કરવામાં આવે છે ત્યારે સ્તન કેન્સરના વધતાં જતાં કેસ ચિંતાનો વિષય બન્યા છે.
છેલ્લા પાંચ વર્ષમાં 87 પુરુષમાં પણ બ્રેસ્ટ કેન્સરનું નિદાન
વર્ષ 2019થી 2023 દરમિયાન ગુજરાતમાં સ્તન કેન્સરના 54616 કેસ નોંધાયા છે જ્યારે 20317ના મોત થયા છે. ભારતમાં હાલ કેન્સરના 32.58 લાખ દર્દીઓ છે. જેમાં દર વર્ષે 14.13 લાખ નવા દર્દી નોંધાય છે. આ પૈકી મોં-ગળાના તમામ પ્રકારના કેન્સર, સ્તન-ગર્ભાશયના મુખના કેન્સરનું પ્રમાણ કુલ કેન્સરના લગભગ 50 ટકા જેટલું છે. ભારતમાં મહિલાઓમાં નોંધાતા કેન્સરના કેસમાં 27 ટકામાં સ્તનના કેન્સર હોય છે. વર્ષ 2022માં ભારતમાં 1.92 લાખથી વધુ મહિલાઓમાં સ્તન કેન્સરના કેસ નોંધાયા હતા.
આ પણ વાંચો: ભારતમાં કેન્સરના દર્દીઓમાં ઝડપી વધારો, સામે આવ્યું મોટું કારણ, ચીન-અમેરિકાએ કર્યું કન્ટ્રોલ
અમદાવાદની સિવિલ મેડિસિટીમાં આવેલી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ (જીસીઆરઆઇ)માં 2020થી 2024 એમ પાંચ વર્ષમાં 6686 કેસ સ્તન કેન્સરના નોંધાયા છે. સ્તન કેન્સરના નોંધાયેલા દર્દીઓમાં સૌથી વધુ 32 ટકા જેટલા 41થી 50ની વયજૂથમાં છે. સ્તન કેન્સર મહિલાઓને જ થાય તેવું પણ નથી. સિવિલની કેન્સર હોસ્પિટલમાં 3 વર્ષમાં 44 જેટલા પુરુષમાં પણ સ્તન કેન્સરના કેસ નોંધાયા છે.
કેન્સરના કેસમાં જાગૃતિ દાખવવી મહત્ત્વની ચાવી છે તેમ જણાવતાં સિવિલની કેન્સર હોસ્પિટલના ડિરેક્ટર ડૉ. શશાંક પંડ્યાએ જણાવ્યું કે, ‘રજસ્વાલા સ્ત્રીએ માસિક બાદના 5-7 દિવસમાં સ્તનની જાત તપાસ કરવી જોઇએ. રજોનિવૃત્તિ ધરાવતી મહિલાઓએ મહિને કોઇ એક ચોક્કસ દિવસ સ્તનની જાત તપાસ કરે તે હિતાવહ છે. ગાંઠ જેવું કે આકારમાં ફેરફાર જણાય તો ડૉક્ટરનો સંપર્ક કરવો જોઇએ. ’