ગુજરાતમાં 24 કલાકમાં 101 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વાપીમાં 7 ઈંચ, 1000થી વધુનું સ્થળાંતર
Image Source- 'X' |
Gujarat Rain: ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના આગમન સાથે જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 101 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં 30 તાલુકામાં 1થી 7 ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો. વલસાડના વાપીમાં સૌથી વધુ સાત ઈંચ વરસાદ નોંધાયો હતો. વલસાડના પારડીમાં સવા પાંચ, તો કપરાડામાં પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે અત્યારસુધી કુલ ચાર જિલ્લામાં 1060 લોકોનું સ્થળાંતર કરાયું છે જ્યારે 189 લોકોનું રેસ્ક્યુ કરાયુ છે. હવામાન વિભાગ દ્વારા શુક્રવારે (20મી જૂન) ડાંગ-નવસારી-વલસાડમાં રેડ જ્યારે દાહોદ-મહીસાગર-ભરૂચ-સુરત-તાપીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
છેલ્લા 24 કલાક દરમિયાન વલસાડના ઉમરગામ અને નવસારીના ખેરગામમાં 4 ઈંચ જેટલો તેમજ ભરૂચના હાંસોટ અને વાલિયા, સુરતના ઓલપાડ તથા ડાંગના વઘાઈ તાલુકામાં 3 ઈચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના 7 તાલુકામાં બે ઈંચથી વધુ, 12 તાલુકામાં 1 ઈંચથી વધુ જ્યારે, 72 તાલુકામાં એક ઈંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે.
NDRF, SDRFની કુલ 33 ટીમ તહેનાત
ભારે વરસાદને પગલે એનડીઆરએફની 13, એસડીઆરએફની 20 ટીમ તહેનાત કરવામાં આવી છે. ભારે વરસાદના પગલે ભાવનગરમાંથી 89, અમરેલીમાંથી 69, બોટાદમાંથી 24, ગાંધીનગરમાંથી 7 લોકોનું રેસ્ક્યુ કરાયું છે. બીજી તરફ ભાવનગરથી 729, સુરેન્દ્રનગરથી 117, બોટાદથી 117 અને અમરેલીથી 80ને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. 19મી જૂનના બપોરની સ્થિતિએ સુરેન્દ્રનગરના 3, આણંદના 1 એમ ચાર સ્ટેટ હાઈવે, જ્યારે ભાવનગરના 1 નેશનલ હાઇવે સહિત 196 રસ્તા વાહન વ્યવહાર માટે બંધ છે. જેમાં ભાવનગરના સૌથી વધુ 60, વલસાડના 49 રસ્તાઓ બંધ છે.
ગુજરાતના 206 જળાશયોમાં હાલ 41 ટકા જળસંગ્રહ
ગુજરાતના 206 જળાશયોમાં હાલ 41 ટકા જળસંગ્રહ છે. જેમાં 15 હાઇ એલર્ટ, 10 એલર્ટ અને 9 વોર્નિંગ હેઠળ છે. 9 જળાશયો જે 100 ટકા ભરાઇ ગયા છે, તેમાં અમરેલીના ધાતરવાડી-સુરજવાડી, ભાવનગરના રોજકી-બાગડ, બોટાદના ભીમાદ, સુરેન્દ્રનગરના વાંસલ-લિમ ભોગાવો-સબુરી-ધોળી ધજાનો સમાવેશ થાય છે.