Get The App

જીએસટી કાઉન્સિલની ૫૬મી બેઠકમાં FSIના વેચાણ પર વસૂલાતા GSTને મુદ્દે ચર્ચા કરી નિર્ણય કરવામાં આવશે

સર્વિસ લેનાર ને આપનાર વચ્ચેના મધ્યસ્થી પાસેથી લેવામાં આવતા GSTના મુદ્દે ચર્ચા કરીને નિર્ણય લેશે

ડ્રોન પરના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સને મુદ્દે પણ જીએસટી કાઉન્સિલની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે

Updated: Jun 25th, 2025

GS TEAM

Google News
Google News
જીએસટી કાઉન્સિલની ૫૬મી બેઠકમાં FSIના વેચાણ પર વસૂલાતા GSTને મુદ્દે ચર્ચા કરી નિર્ણય કરવામાં આવશે 1 - image


(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,બુધવાર

એફએસઆઈ પર મ્યુનિસિપાલટીઓ દ્વારા વસૂલવામાં આવી રહેલી ફી પર જીએસટી લેવો કે નહિ તે અંગે પણ જીએસટી કાઉન્સિલની આગામી બેઠકમાં ચર્ચા વિચારણા કરીને નિર્ણય લેવામાં આવશે. બીજીતરફ જીએસટી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા અંગે સમગ્ર દેશમાંથી ઊઠી રહેલી ફરિયાદ અંગે પણ નિર્ણય લેવામાં આવે તેવી સંભાવના છે. તેની સાથે જ ડ્રોન પર લેવામાં આવતા જીએસટીના મુદ્દે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે.

કોમ્પેન્સેશન સેસ વસૂલવાની મર્યાદા લંબાવવામાં આવશે તો ગ્રાહકોને માથે વધારાના ટેક્સનો બોજો ચાલુ રહેશે

જૂનના અંતમાં કે પછી જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયામાં મળનારી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની નેશનલ કાઉન્સિલની બેઠકમાં સર્વિસ લેનાર અને સર્વિસ પૂરી પાડનાર વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા ભજવનારની સેવા પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કેવી રીતે લેવો તે અંગે ચર્ચા વિચારણા કરીને તે અંગેના નિશ્ચિત તારણ પર પહોંચવાનો પ્રયાસ કરશે. સંસદમાં ચોમાસુ સત્ર પહેલા જ જીએસટી કાઉન્સિલની બેઠક યોજાઈ જાય તેવી સંભાવના છે.

વિદેશમાં રહેતી વ્યક્તિ કોઈ સેવા લે અને ભારતમાંથી તે સેવા આપવામાં આવતી હોય તેવા કિસ્સાઓમાં કોની પાસેથી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વસૂલવો તે એક મોટી સમસ્યા છે. રિવર્સ ચાર્જ મિકેનિઝમથી તે જીએસટી વસૂલવો કે કેમ તે અંગે નિર્ણય લેવાનો હોય છે. આ સર્વિસ પૂરી પાડનારાઓનું કહેવું છે કે તેને નિકાસ ગણવી જોઈએ. તેના પર ભારતમાં કોઈ જ ટેક્સ લગાડવો ન જોઈએ. આ મુદ્દે કંપનીઓ અને જીએસટીના સત્તાવાળાઓ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.

ગુડ્સ એન્ડ સર્વિસ કાઉન્સિલ જ ઇન્ટરમિડિયેટ સર્વિસ પરના ટેક્સનો મામલો નીપટાવશે. આ સેવાઓને નિકાસ તરીકે ગણતરીમાં લેવામાં આવશે તો તેના પર શૂન્ય ટકા ટેક્સ લાગશે. તેને નિકાસ ગણવામાં આવશે તો સર્વિસ સેક્ટરને મોટું પ્રોત્સાહન મળ જશે. તેમ થવાથી સંખ્યાબંધ કાનૂની વિવાદોનો અંત પણ આવી જશે. જોકે આ લાભ મેળવવા માટે કંપનીઓએ સર્વિસના પ્રમાણમાં વિદેશી હૂંડિયામણ મેળવવું પડશે.

જીએસટી કાઉન્સિલની બેઠકમાં કોમ્પેન્સેશન સેસને મુદ્દે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે. પહેલી જુલાઈ ૨૦૧૭થી જીએસટી લાગુ કરવામાં આવ્યો તેને પરિણામે રાજ્યોની આવકમાં ૧૪ ટકાના વધારા સાથે પડનારી ઘટને સરભર કરવા માટે કોમ્પેન્સેશન સેસ લાગુ કરવામાં આવી હતી. આ કોમ્પેન્સેશન સેસ ક્યાર સુધી ચાલુ રાખવી કે બંધ કરી દેવી તે અંગે નિર્ણય લેવામાં આવશે. જીએસટીના નિષ્ણાતોનું કહેવું છે કે રાજ્ય સરકારો હજીય જીએસટીની આવકને મુદ્દે દબાણનો સામનો કરી રહ્યા છે. તેથી રાજ્ય સરકારે કોમ્પેન્સેશન સેસ ચાલુ રાખવાનો મત વ્યક્ત કરી રહ્યા છે. કોમ્પન્સેશન સેસની મર્યાદા લંબાવવામાં આવશે તો ગ્રાહકોને માથે વધારાનો ખર્ચ બોજ ચાલુ જ રહેશે. તેથી જીએસટી કાઉન્સિલે કોમ્પેન્સેશન સેસ વસૂલવાનું બંધ કરી દેવા માટેનો નિશ્ચિત પ્લાન તૈયાર કરી દેવો જોઈએ. આ રીતે લોકોને માથે વધારાનો બોજ નાખવાનું અટકાવી દેવું જોઈએ.

ત્રીજું, જીએસટીનો બાર ટકાનો સ્લેબ દૂર કરવાને મુદ્દે પણ ચર્ચાવિચારણા કરવામાં આવશે. જીએસટીને સ્લેબ ચારથી ઘટાડીને ત્રણ કરી દેવાને મુદ્દે વિચારણા કરવામાં આવશે. ૧૨ ટકાનો સ્લેબ કાઢીને તેમાં આવતી ચીજવસ્તુઓને ૫ ટકા અને ૧૮ ટકાના સ્લેબમાં મૂકી દેવાનું આયોજન થઈ રહ્યું છે. આ ફેરફારથી સરકારની આવકમાં ઘટાડો ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવશે.

જીએસટી કાઉન્સિલે જીએસટી એપેલેટ ટ્રિબ્યુનલની સ્થાપના કરવાને મુદ્દે પણ નિર્ણય લેવો પડશે. જીએસટી એપેલેટ ટ્રિબ્યુનલ ચાલુ ન થઈ હોવાથી કંપનીઓએ ન્યાય મેળવવા માટે અત્યારે હાઈકોર્ટનો આશરો લેવો પડે છે. તેથી હાઈકોર્ટમાં કેસનો ભરાવો થઈ રહ્યો છે. 


Tags :