Gujarat

કચ્છમાં 10 વર્ષે જન્મેલું ઘોરાડનું બચ્ચું ગુમ! શિકાર કરાયાની આશંકા, 'ઓપરેશન એગ ટ્રાન્સફર' માટે આંચકાજનક ઘટના

By GS TEAM
1 May 20262 mins read
TukuTouch Logo
કચ્છના ઘોરાડ અભયારણ્યમાંથી એક આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ 'ઓપરેશન એગ ટ્રાન્સફર' હેઠળ એક દાયકાના લાંબા સમયગાળા બાદ જન્મેલું ઘોરાડનું બચ્ચું માત્ર એક મહિનાની અંદર જ લાપતા થયું છે. 60 વન કર્મચારીઓના ચુસ્ત બંદોબસ્ત અને દેખરેખ હોવા છતાં બચ્ચું ગુમ થતા વન વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કચ્છમાં 10 વર્ષે જન્મેલું ઘોરાડનું બચ્ચું ગુમ! શિકાર કરાયાની આશંકા, 'ઓપરેશન એગ ટ્રાન્સફર' માટે આંચકાજનક ઘટના

Great Indian Bustard Chick Missing in Kutch: કચ્છના ઘોરાડ અભયારણ્યમાંથી એક આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ 'ઓપરેશન એગ ટ્રાન્સફર' હેઠળ એક દાયકાના લાંબા સમયગાળા બાદ જન્મેલું ઘોરાડનું બચ્ચું માત્ર એક મહિનાની અંદર જ લાપતા થયું છે. 60 વન કર્મચારીઓના ચુસ્ત બંદોબસ્ત અને દેખરેખ હોવા છતાં બચ્ચું ગુમ થતા વન વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે.

શું છે સમગ્ર ઘટના?

કચ્છમાં ઘોરાડની વિલુપ્ત થતી પ્રજાતિને બચાવવા માટે રાજસ્થાનના બ્રીડિંગ સેન્ટરમાંથી ઘોરાડનું એક ફલિત ઈંડું લાવવામાં આવ્યું હતું. માદા ઘોરાડે આ ઈંડાનું ત્રણ દિવસ કુદરતી સેવન કર્યું અને 26મી માર્ચના રોજ તંદુરસ્ત બચ્ચાનો જન્મ થયો હતો. જ્યારે 26મી એપ્રિલના રોજ આ બચ્ચું અચાનક લાપતા થયું હોવાનું જાણવા મળ્યું છે. વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા મુજબ, 18મી એપ્રિલ બાદ બચ્ચું દેખાયું નથી. હાલ 1600 હેક્ટરના વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

શિકાર થયો હોવાની પ્રબળ આશંકા

અબડાસા તાલુકાના નલિયા પાસેના આ અભયારણ્યમાં ચાર દિવસથી સતત સર્ચ કરવા છતાં બચ્ચાનો કોઈ પત્તો લાગ્યો નથી. સૌથી ગંભીર બાબત એ છે કે બચ્ચાના કોઈ અવશેષો પણ મળી આવ્યા નથી, જેના કારણે તેનો શિકાર થયો હોવાની આશંકા સેવાઈ રહી છે.

શા માટે આ પ્રોજેક્ટ મહત્વનો હતો?

કચ્છમાં છેલ્લા સાત વર્ષથી એકપણ નર ઘોરાડ ન હોવાથી માદા ઘોરાડના ઈંડા ફલિત થઈ શકતા નહોતા. 1999માં ભારતમાં ઘોરાડની સંખ્યા 1260 હતી, જે 2019માં ઘટીને 150થી પણ ઓછી થઈ ગઈ છે. વર્ષ 2017થી ચાલી રહેલા પ્રયાસોને 9 વર્ષ બાદ સફળતા મળી હતી અને આ બચ્ચાનો જન્મ થયો હતો, જેના પર વડાપ્રધાને પણ સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરી હતી.

વન વિભાગની આગામી રણનીતિ

આ ઘટનાથી પડેલા આંચકાને હળવો કરવા માટે વન વિભાગ દ્વારા રાજસ્થાનથી વધુ એક ફલિત ઈંડું લાવીને કચ્છમાં ફરીથી આ પ્રક્રિયા હાથ ધરવા માટેના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ, બચ્ચું ગુમ થવા પાછળ શિકાર જવાબદાર છે કે અન્ય કોઈ કુદરતી કારણ, તેની ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે.