GPCB કારેલીબાગમાં વડોદરાનું પ્રથમ એમ્બિએન્ટ એર ક્વોલિટી મોનીટરીંગ સ્ટેશન કાર્યરત કરશે
Vadodara : જીપીસીબી દ્વારા કારેલીબાગ વિસ્તારમાં વડોદરાના પ્રથમ એમ્બિએન્ટ એર ક્વોલિટી મોનીટરીંગ સ્ટેશનની સ્થાપના કરાશે. જેથી હવાની ગુણવત્તામાં કોઈ ઘટાડો ન થાય અને હવામાં પ્રદુષણની માત્રા કેટલી છે તથા હવા કેટલી શુદ્ધ છે તેને જાણવું સરળ બનશે.
શહેરમાં હવાનાં પ્રદૂષણમાં ઉત્તરોત્તર વધારો થયો છે. શહેરની આસપાસમાં આવેલા ઉદ્યોગો અને વધી રહેલા વાહનોની સંખ્યાને કારણે હવાનું પ્રદૂષણ વધી રહ્યું છે. જેને ધ્યાનમાં રાખી વર્ષ 2021માં હવા પ્રદૂષણ પર નિયંત્રણ લાવવા વડોદરા કોર્પોરેશન, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, આરટીઓ અને ઉદ્યોગ વિભાગના અધિકારીઓની સંયુક્ત બેઠકમાં હવાના પ્રદૂષણ પર સતત મોનિટરિંગ થાય તે માટે કેન્દ્ર સરકારના નેશનલ ક્લીન એર પ્રોગ્રામ અંતર્ગત કોર્પોરેશન દ્વારા કારેલીબાગ વિસ્તારમાં 24 કલાક કાર્યરત રહે તેવું રૂ.10 કરોડના ખર્ચે એર ક્વોલિટી મોનીટરીંગ સ્ટેશનના નિર્માણનું આયોજન હતું. બીજા તબક્કામાં ચારથી પાંચ સ્થળે જેમાં ઔદ્યોગિક વાણિજ્ય રહેઠાણ વિસ્તારનો પણ સમાવેશ કરવામાં આવનાર હતો. આ પ્રોજેક્ટની કામગીરી ગોકળગતીએ ચાલતી હોવાનો લેખ પ્રકાશિત કરાયા બાદ હરકતમાં આવેલ તંત્રએ હવે આગામી એક મહિનામાં જીપીસીબીના ખર્ચે કારેલીબાગ વિસ્તારમાં વડોદરાનું પ્રથમ એર ક્વાલિટી મોનિટરિંગ સ્ટેશન સ્થાપવાનો નિર્ણય કર્યો છે. મહત્વનું છે કે, સ્ટેશન ખાતે મશીન કાર્યરત થયા બાદ મેજરમેન્ટ મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ થતું હોય હ્યુમન હેન્ડલિંગ રહેશે નહીં. હાલ વડોદરા શહેર જિલ્લામાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નિયંત્રણમાં 8 સ્થળોએ હવાના પ્રદૂષણ નોંધના સેન્ટર કાર્યરત છે. જે પૈકી વડોદરામાં 05 મેન્યુઅલી સ્ટેશન પર મોનીટરિંગ થઈ રહ્યું છે.
વેબસાઈટ તથા એપ્લિકેશન ઉપરથી રીયલ ટાઇમ એક્યુઆઈ જાણી શકાશે
જીપીસીબી પ્રાદેશિક અધિકારી જે.એમ.મહીડાના જણાવ્યા મુજબ આ સ્ટેશનની કામગીરી ગાંધીનગરથી થર્ડ પાર્ટીને સોંપી હોય હાલ ડેટા પરચેસ મોડના તબક્કે કામગીરી છે. વર્ષે અંદાજિત 50 લાખના ખર્ચનું અનુમાન છે. આગામી બે ત્રણ દિવસમાં સ્ટેશન સ્થાપવા માટે કારેલીબાગ પાણીની ટાંકી અથવા કારેલીબાગ અર્બન હેલ્થ સેન્ટર પૈકી કોઈ એક સ્થળની પસંદગી કરાશે. સ્થળ પર મશીન લાગ્યા બાદ ત્રણથી ચાર દિવસમાં કાર્યરત થઈ જશે. ત્યારબાદ અન્ય સ્થળોએ પણ આ પ્રકારના સ્ટેશન સ્થાપવામાં આવશે. જીપીસીબી તથા સીપીસીબીના સર્વર પર ડેટા પહોંચ્યા બાદ સીપીસીબીની વેબસાઈટ તથા "સમીર" નામની એપ્લિકેશન ઉપર જનતા રીયલ ટાઇમ AQI (એર ક્વોલીટી ઇન્ડેક્સ)જાણી શકશે.
રાત્રિના સમયે અવાર નવાર કેમિકલયુક્ત ગેસની દુર્ગંધથી લોકો પરેશાન છે
શહેરના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં અવારનવાર રાત્રિના સમયે ઔદ્યોગિક પ્રદૂષણના કારણે હવામાં એક પ્રકારની કેમિકલ જેવી દુર્ગંધ પ્રસરતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. આંખોમાં બળતરા થાય છે. વિસ્તારના રહીશો આ અંગે ઘણી વખત રજૂઆત કરે છે, જો કે પરિસ્થિતિમાં કોઈ સુધાર થઈ રહ્યો નથી. શહેરની આસપાસની કંપનીઓમાંથી રાત્રીના સમયે કેમિકલયુકત ગેસ છોડાતો હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. ત્યારે એર મોનીટરીંગ સ્ટેશનના આંકડાઓ હવાની ગુણવત્તા સુધારવા માટે મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે.