Farmer MSP News: રાજ્યમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. 'માવઠા'ના કારણે ખેતરોમાં ઊભા પાકને મોટું નુકસાન થવા પામ્યું છે, જેમાં ખાસ કરીને મગફળી, કપાસ અને સોયાબીન જેવા મુખ્ય પાકોને વ્યાપક અસર થઈ છે. પાક તૈયાર થવાના સમયે જ વરસાદ પડતાં ખેડૂતોને આર્થિક ફટકો પડવાની ભીતિ સેવાઈ રહી છે.
આ વિકટ પરિસ્થિતિ વચ્ચે રાજ્ય સરકારે ખેડૂતોને રાહત આપવાના હેતુથી ફરી એકવાર ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી છે. જોકે, અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા અગાઉ ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરવામાં આવી હોવા છતાં ખરીદી શરુ થઈ શકી નહોતી. જેના કારણે ખેડૂતોમાં અસંતોષ જોવા મળ્યો હતો.
પરંતુ હવે, રાજ્ય સરકારે ખેડૂતો દ્વારા પકવેલી મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી કરવાનો નવેસરથી નિર્ણય કર્યો છે. સરકારી જાહેરાત મુજબ આ પાકોની ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા આગામી 9મી નવેમ્બરથી રાજ્યભરમાં શરુ કરવામાં આવશે. આ નિર્ણયથી નુકસાન વેઠી રહેલા ખેડૂતોને મોટી રાહત મળવાની આશા છે.
ઉલ્લેખનીય છે કે સરકારે અગાઉ એવું જાહેર કર્યુ હતું કે સહકારી એજન્સી ગુજકોમાસોલ મારફત ખરીદી કરવામાં આવશે. પરંતુ ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ એવો ખુલાસો કર્યો હતો કે સંસ્થાને ખરીદી વિશે કોઈ જાણ જ કરવામાં આવી નથી.


