જ્ઞાનસેતુ પ્રોજેક્ટ મુદ્દે સરકારનો યુ-ટર્ન : રદ્દ કર્યા બાદ નામ બદલી ફરી શરૂ કરાયો
આ પ્રોજેક્ટમાં સરકારી સ્કૂલ કરતાં ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓને વધુ સ્કોલરશીપ મળશે
ખાનગી શાળાના વિદ્યાર્થીઓને ગોળ અને સરકારી શાળાના વિદ્યાર્થીઓને ખોળની સરકારી નીતિ
ગાંધીનગરઃ એક બાજુ સ્કૂલોમાં રાજ્યભરમાં નવા શૈક્ષણિક સત્રનો સોમવારથી આરંભ થઈ ગયો છે. બીજી બાજુ મોટા ઉપાડે અને શરૂઆતથી વિવાદમાં રહેલા જ્ઞાનસેતુ પ્રોજેક્ટ શિક્ષણ વિભાગ દ્વારા આ પ્રોજેક્ટને રદ્દ કરવામાં આવ્યો હોવાની જાહેરાત કરવામાં આવી હતી. હવે રાજ્ય સરકારે યુ ટર્ન લઈને આ પ્રોજેક્ટને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ સ્કોલર શિપ યોજના નામ આપી ફરી શરૂ કરી દીધો છે. આ યોજના અંતર્ગત 30 હજાર જેટલા વિદ્યાર્થીઓને લાભ મળશે.
પ્રોજેક્ટમાં ફેરફાર કરવામાં આવ્યા
પ્રાપ્ત વિગતો પ્રમાણે અગાઉ જ્ઞાન સેતુ પ્રોજેક્ટ માટે સરકારને કેટલીક શંકાઓ ઊભી થઈ હતી. જેમાં સ્કૂલ પસંદગીમાં અધિકારીઓ દ્વારા ગેરરીતિની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. આ માટે પ્રોજેક્ટ અંતર્ગત વિદ્યાર્થી દીઠ 20 હજાર આપવાના હતા અને ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓની પસંદગી થવાની હતી પરંતુ સરકારને શંકા જતા પ્રોજેક્ટમાં ફેરફાર કરવામાં આવ્યા છે.આ વચ્ચે પ્રોજેક્ટ શરૂ થાય તે પહેલાં જ સ્કૂલોની પસંદગી પ્રક્રિયામાં ફરિયાદો સામે આવી હતી.
પ્રારંભિક ધોરણે 30 હજાર વિદ્યાર્થીઓને લાભ
જેમાં શરૂઆતના તબક્કામાં 400 શાળાઓ શરૂ કરવાની હતી. તેમજ દરેક શાળામાં 500 વિદ્યાર્થીઓની સહાય આપવાની હતી. આ પ્રમાણે અંદાજે 2 લાખ જેટલા વિદ્યાર્થીઓને આવરી લેવાના હતા. પરંતુ શાળાઓ તરફથી સહકાર ન મળતાં આખરે નિર્ણય બદલાવાની સ્થિતિ ઊભી થઈ હતી. આ પછી આજે રાજ્ય સરકારે જ્ઞાન સેતુ પ્રોજેક્ટના નામમાં ફેરફાર કર્યો છે. જેને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ સ્કોલરશીપ યોજના કરવામાં આવ્યું છે. જેમાં પ્રારંભિક ધોરણે 30 હજાર વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવશે.
ખાનગી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ફાયદો
આ પ્રોજેક્ટ અંતર્ગત 30 હજાર બાળકોને જ્ઞાનસેતુ સ્કોલરશીપ આપવામાં આવશે. જેમાં ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ ને 20 હજાર, ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓને 22 હજાર, જ્યારે ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓને 25 હજાર રૂપિયાની સ્કોલરશિપ મળશે. આ સ્કોલરશીપ માત્ર ખાનગી શાળામાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને જ મળશે. બીજી તરફ સરકારી શાળામાં ધો. 6થી 8ના વિદ્યાર્થીઓને રૂપિયા 5 હજાર, સરકારી શાળાના ધો. 9 અને 10ના વિદ્યાર્થીઓને રૂપિયા 6 હજાર, જ્યારે સરકારી શાળાના ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓને રૂપિયા 7 હજાર મળશે. આમ સરકારી શાળ કરતા ખાનગી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વધુ સ્કોલરશીપ મળશે.
આ જાહેરાત બાદ અનેક સવાલો ઉભા થયા
સરકારની આ જાહેરાત બાદ અનેક સવાલો ઉઠી રહ્યા છે. લોકો સવાલ કરી રહ્યા છે કે, શું સરકાર સરકારી શાળાને બદલે પ્રાઈવેટ શાળાને પ્રોત્સાહન આપી રહી છે. સ્કોલરશીપની જે રકમ સામે આવી છે તેમાં 17 હજાર રુપિયા સરકારી કરતા ખાનગી શાળાના વિદ્યાર્થીઓ ને વધારે મળે છે. સરકારી શાળામાં ભણતા વિદ્યાર્થીઓને ખોળ અને પ્રાઈવેટ સ્કૂલમાં ભણતા બાળકોને ગોળ આપવાની સરકારની નીતિ સામે આવી છે.